ગુરુ બીના જ્ઞાાન નહીં, પ્રકાશ નહીં
- ભગવાન શ્રીરામને વશિષ્ઠ ઋષિ અને ભગવાન શ્રીકૃષ્ણને પણ જ્ઞાાન માટે સાંદિપની ઋષિને ગુરુ કરવા પડયા હતા
અ ષાઢ સુદ પૂનમ એટલે મહાભારતના રચયિતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મદિવસ. આ દિવસને આપણે 'ગુરુપૂર્ણિમા' કે 'વ્યાસ પૂર્ણિમા' તરીકે પણ ઉજવીએ છીએ. ગુરુપૂર્ણિમા એટલે ગુરુજીનો મહિમા કરવાનો દિવસ અને ગુરુજીનો ઋણ સ્વીકાર કરવાનો દિવસ. ગુરુજીની ચરણ વંદના કરવાનું પર્વ એટલે 'ગુરુપુર્ણિમા'. આપણી સંસ્કૃતિમાં ગુરુ-શિષ્યની પરંપરાનો ખૂબ જ મહિમા દર્શાવવામાં આવેલો છે. સદ્ગુરુ મળી જાય તો મનુષ્યનો બેડો પાર થઈ જાય છે. તેથી જ તો કહેવાયું છે કે 'સા વિદ્યા યા વિમુક્તયે' એટલે કે 'મુક્તિ અપાવે તે વિદ્યા' મનુષ્યને અહં બ્રહ્માસ્મિ અને તત્વમસિની દિવ્ય સ્થિતિ સુધી લઈ જનાર પરમ વિદ્યા પ્રદાન કરનાર સદ્ગુરુ જ હોય છે.
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે આપણને જ્ઞાાન આપનાર અને માર્ગદર્શક બનનાર તમામ વ્યક્તિઓને આપણા ગુરુ ગણીને તેમને સાદર વંદન કરીએ. આપણું જીવન ઉજ્જવળ બનાવનાર આપણા માત-પિતા એ આપણા સર્વ પ્રથમ ગુરુ છે. તેથી જ તે કહેવાય છે કે 'એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.' બાળકને બાળપણથી જ સંસ્કારના પાઠ શીખવનાર માતા-પિતાને પણ ગુરુ ગણીને વંદન કરીએ. જ્ઞાાનની ગંગા વહાવીને શિષ્યોને પાવન કરનાર સર્વે ગુરુજીઓને નમન કરીએ. આપણા જીવનમાં આપણને માર્ગદર્શન આપનાર સર્વે વ્યક્તિઓને ગુરુ સમાન ગણીને તેમને વંદન કરીએ.
ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂ દેવો મહેશ્વરા ।
ગુરૂ સાક્ષાત્ પરમ્ બ્રહ્મ: તસ્મૈ શ્રી ગુરુવે નમ: ।।
- બી.એ.રાજગોર