વિવાદ વધતાં નોરા ફતેહીએ નારીવાદ વિશે ફેરવી તોળ્યું

- સ્વતંત્રતા અને પાર્ટનરશિપ એક સાથે અસ્તિત્વ ધરાવી શકે
અભિનેત્રી નોરા ફતેહીએ તેણે અગાઉ નારીવાદ વિશે કરેલા મંતવ્યો ફરતે ભારે વિવાદ સર્જાતા પોતાના અભિગમ બાબતે સ્પષ્ટતા કરી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા ચેનલ પર લીલી સિંહ સાથેની ચર્ચામાં નોરાએ સ્પષ્ટતા કરી કે ૨૦૨૪માં તેણે રજૂ કરેલા મંતવ્યોમાં કાપકૂપ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરાતા તેના વિશે ભારે ગેરસમજણ ઊભી થઈ છે. તેના મતે લાંબી ચર્ચામાંથી ટૂંકા સંદર્ભો ઘણીવાર કાઢી નાખવામાં આવતા હોવાથી ખોટા અર્થઘટનો થાય છે. નોરા ફતેહીએ જણાવ્યું કે તેના મંતવ્યોનો મુખ્ય મુદ્દો નારીવાદની વિરુદ્ધમાં નહોતો પણ કોઈપણ વિચારધારા સાથે સંકળાયેલા અંતિમવાદ સાથે હતો.
નોરા ફતેહીએ ધ્યાન દોર્યું કે કેવી રીતે રીલ અને ટૂંકા પ્રકારના વીડિયો જેવા મંચો ચોક્કસ મંતવ્યોને મોટુ સ્વરૂપ આપી દે છે અને એવા વૃત્તાંતો સર્જે છે જેમાં વક્તાનો ઈરાદો ખરા અર્થમાં પ્રતિબિંબિત નથી થતો. નોરા ફતેહીએ જે રીતે તેના શબ્દોમાં ફેરફાર કરાયા તેના વિશે હતાશા વ્યક્ત કરતા કહ્યું કે તેણે જેમાં ભાગ લીધો હતો તે વિસ્તૃત ચર્ચામાં ટૂંકા વીડિયોમાં દર્શાવાયું તેનાથી વિપરીત સંતુલિત વિચારો હતા. સમગ્ર ઘટનાને ફરી યાદ કરતા નોરા ફતેહીએ પોતાનો અભિગમ ટીકાત્મક નહિ પણ સંતુલિત હોવાનું કહીને છૂટક ક્લિપોના સ્થાને સંપૂર્ણ ચર્ચા જોવાના મહત્વને ઉજાગર કર્યું.
નોરાના અભિગમનો મહત્વનો હિસ્સો તેના અંગત ઉછેરથી ઘડાયો છે. સિંગલ મધર દ્વારા ઉછેર પામેલી નોરાએ પરંપરાગત પારિવારીક માળખાનો અભાવ હોય તેવા ઘરમાં ઉછેરની ભાવનાત્મક વાસ્તવિકતા બાબતે નિખાલસતાથી વાત કરી. સમલૈંગિક માતાપિતા સહિત પરિવારો વિવિધ સ્વરૂપના હોવાની કબૂલાત કરીને નોરા ફતેહીએ જણાવ્યું કે તે બંને વાલીઓની હાજરી સાથેના સ્થિર પારિવારીક વાતાવરણને વધુ મૂલ્યવાન ગણે છે. નોરા ફતેહી માટે આવા માળખામાં સુરક્ષા, અનુશાસન અને ભાવનાત્મક ટેકો હોય છે, જે ઘટકો એક બાળકના વિકાસ માટે મહત્વના હોય છે. નોરા ફતેહીના મંતવ્યો ગાઢ રીતે અંગત હતા, જેમાં બાળપણના અનુભવો એક પુખ્ત તરીકે પણ વિશ્વ પ્રત્યેના અભિગમને કેવી રીતે ઘડે છે તેનું પ્રતિબિંબ પડતું હતું.
નોરાએ કબૂલ કર્યું કે માતાપિતા બંનેની હાજરી વિનાના માળખાએ તેની સમક્ષ એવા ભાવનાત્મક પડકારો સર્જ્યા જે તેના જીવનમાં ફરીથી સપાટી પર આવ્યા. નોરા સ્પષ્ટતા કરે છે કે આ મનોમંથનથી સ્પષ્ટ થાય છે કે પોતે મજબૂત પારિવારીક એકમોની તરફેણ કરે છે. જો કે નોરાના નિવેદનોએ વિવાદ પણ સર્જ્યો છે, કારણ કે આલોચકોની દલીલ મુજબ સિંગલ પેરન્ટ પર તેના દ્વારા મહત્વ આપવાથી વૈકલ્પિક પારિવારીક માળખાની વૈધતા અને સફળતાની અવગણના થઈ શકે. જો કે નોરાએ પોતાના નિવેદનો વૈશ્વિક ભલામણ નહિ પણ અંગત ઈચ્છાઓ હોવાનું જણાવીને સ્પષ્ટતા કરી કે તેના મંતવ્યો પોતાના ઉછેર દરમ્યાન તેણે જેના અભાવને મહેસૂસ કર્યો તેનાથી ઘડાયા હતા.
પોતાના મંતવ્યોને વધુ વિસ્તૃત કરતા નોરા ફતેહીએ સ્પષ્ટતા કરી કે જેન્ડર ભૂમિકાઓ અને સંબંધો વિશેના સંતુલિત અભિગમમાં તેની માન્યતા દ્રઢ છે. તેણે મહિલાઓને આર્થિક સ્વતંત્રતા, અંગત મહત્વાકાંક્ષા અને આત્મ-નિર્ભરતા અપનાવવાની સલાહ આપી તેમજ સંબંધોમાં સહિયારી જવાબદારીના મહત્વ પર પણ ભાર મુક્યો. નોરાના મતે સ્વતંત્રતાનો અર્થ એકલતા અથવા પાર્ટનરશીપ નકરાવાનો ન હોવો જોઈએ. તેના સ્થાને નોરાએ એવા મોડલની હિમાયત કરી જેમાં પુરુષ અને મહિલા બંને સમાન રીતે ફાળો આપતા હોય, અલબત્ત પૂરક રીતે, જેથી એક સ્થિર અને સમર્થનકારી વાતાવરણ સર્જાઈ શકે.
નોરાએ સમકાલીન સમાજમાં પુરુષોમાં જવાબદારીનો અભાવ હોવાનું પણ જણાવ્યું. તેણે પુરુષોને આગળ વધીને માત્ર આર્થિક જ નહિ પણ ભાવનાત્મક અને પારિવારીક ભૂમિકામાં એક સક્રિય ભાગીદાર તરીકે જવાબદારી ઉપાડવાની હાકલ કરી. સાથે જ, તેણે સ્વતંત્રતા એટલે કોઈની જરૂર નથી તેવી ધારણા વિશે પણ સવાલ ઉઠાવ્યા અને તેના સ્થાને સૂચન કર્યું કે પારસ્પરિક નિર્ભરતા સાથે પણ સશક્તિકરણ અસ્તિત્વ ધરાવી શકે. નોરાના મતે આવો અભિગમ એવા સ્વસ્થ સમીકરણ તરફ દોરી જઈ શકે જેમાં બંને પાર્ટનરો એક બીજાને ટેકો આપતા હોય અને એકબીજા પર મદાર રાખતા હોય.
અગાઉ ૨૦૨૪માં રણવીર અલાહબાદિયાના એક પોડકાસ્ટ દરમ્યાન નોરાએ કરેલા નિવેદનો સામે ભારે પ્રમાણમાં વિપરીત પ્રતિસાદ પડયા હતા, ખાસ કરીને નારીવાદે સામાજિક માળખાની ઘોર ખોદી નાખી તેવા તેના નિવેદને ભારે રોષ ફેલાવ્યો હતો. આલોચકોએ આ નિવેદનોને વ્યાપક નારીવાદ ચળવળના વિરોધ તરીકે તેમજ તેના અપમાન તરીકે ગણાવ્યા. તાજેતરની સ્પષ્ટતામાં નોરાએ પોતે જેને નારીવાદના મૂળભૂત લક્ષ્યાંકો માને છે તેવા સમાન અધિકારો અને શિક્ષણની ઉપલબ્ધતા જેવી બાબતો તેમજ નારીવાદના અંતિમવાદી અર્થઘટનો વચ્ચે તફાવત જોવાની અપીલ કરી, જે તેના મતે સામાજિક સંતુલન ખોરવી શકે.
આખરે નોરા ફતેહીની સ્પષ્ટતામાં જટિલ અને ઘણીવાર ધૂ્રવીકરણ થયેલી ચર્ચામાંથી બહાર નીકળવાના પ્રયાસનું પ્રતિબિંબ પડે છે. સંતુલન, પારસ્પરિક આદર અને સહિયારી જવાબદારી માટે ભલામણ કરીને તેણે પોતાને એવી મધ્યમ ભૂમિકામાં સ્થાપી છે જે મહિલા સશક્તિકરણના મહત્વ કબૂલ કરવા સાથે ભાગીદારીના મૂલ્યને પણ સમજે છે. તેના મંતવ્યોની ચર્ચા થઈ શકે, પણ તેનાથી ઝડપી, સંદર્ભ વિનાની ડિજિટલ ચર્ચાવાળા યુગમાં જટિલ સામાજિક મુદ્દા વિશે ચર્ચા કરવામાં રહેલા પડકારો પણ ઉજાગર થાય છે.








