Magazines

તન, મન અને ડિજિટલ શુદ્ધિનો ત્રિવેણી સંગમ એટલે નિર્જળા (ભીમ) એકાદશી

By GS TEAM
24 Jun 20262 mins read
તન, મન અને ડિજિટલ શુદ્ધિનો ત્રિવેણી સંગમ એટલે નિર્જળા (ભીમ) એકાદશી

સંયમનો મહાઉત્સવ એટલે જેઠ સુદ-એકાદશી. જેને ભીમ અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં સંયમ, શ્રદ્ધા અને આત્મશુદ્ધિનું અનોખું મહત્વ છે. મહાભારતના મહાબલી ભીમસેન માટે વર્ષભરની દરેક એકાદશીઓનું વ્રત કરવું શક્ય ન હતું. ત્યારે મહર્ષિ વ્યાસજીએ તેમને નિર્જળા એકાદશીનું એક જ વ્રત કરવાની સલાહ આપી. ભીમે અડગ નિષ્ઠા અને દ્રઢ સંકલ્પથી આ વ્રત કર્યું અને તમામ ૨૪ એકાદશીનું ફળ પ્રાપ્ત કર્યું. આ પ્રસંગ આપણને શીખવે છે કે, જીવનમાં શક્તિ કરતાં સંયમ અને શ્રદ્ધાનું મહત્વ અનેરું છે.

એકાદશીના દિવસે નકોરડો ઉપવાસ કરવો જોઈએ. કદાચ ના થઈ શકે તો ફલાહાર કરવું જોઈએ. પરંતુ અનાજ તો ન જ ખાવું જોઈએ. સાથે - સાથે એકાદશીના દિવસે સંયમ પણ રાખવો જોઈએ. આપણી દશ ઇન્દ્રિયો અને અગિયારમું મન તેને પણ વશ કરવા પ્રયત્ન કરવો જોઈએ. આપણામાં રહેતા કામ, ક્રોધાદિ દોષોને પણ ત્યાગવા જોઈએ. નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ. આજના સમયમાં ખાસ કરીને મોબાઈલ, સોશિયલ મીડિયા અને અનાવશ્યક મનોરંજનથી થોડો વિરામ લઈને આત્મચિંતન કરવું જોઈએ. મંદિરમાં જઈને ધ્યાન, ભજન કીર્તન કરવું જોઈએ. ઘરની અંદર ઘરસભા કરવી જોઈએ. આવી રીતે એકાદશીના દિવસે સંયમપૂર્વક વર્તન કરવામાં આવે તો જીવનમાં શાંતિ, શક્તિ અને સુખનો સૂર્ય સદાય પ્રકાશતો રહે.

એકાદશી એ યુવાનો માટે લાઈફ ટિપ વિલપાવર અને સેલ્ફ કંટ્રોલ છે. આજની યુવા પેઢી ઇન્સ્ટન્ટ લાઈફમાં જીવે છે. જ્યાં બધું એક ક્લિકમાં પ્રાપ્ત થઈ જાય. જે યુવાનો ૨૪ કલાક પાણી અને અન્ન વિના એકાદશીના દિવસે રહેતો થઈ જાય. તે યુવાનનો વિલ પાવર હિમાલય જેવો અડગ બની જાય છે. તેથી યુવાનોને ખાસ કરીને આ એકાદશી કરવી જોઈએ.

મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, 'ઉપવાસ વિના આત્મશુદ્ધિ થતી નથી. તેથી ઉપવાસ અવશ્ય કરવો જોઈએ.'

સ્વામી વિવેકાનંદજી કહેતા કે, 'જે માણસ જીભ અને સ્વાદ ઉપર કાબૂ મેળવી શકતો નથી, તે ક્યારેય મન ઉપર વિજય મેળવી શકતો નથી. અને જે મનને જીતી ના શકે તે દુનિયામાં કાંઈ વિશેષ જીત મેળવી શકતો નથી.'

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી કહેતા કે, 'અન્નનો ત્યાગ સહેલો છે, પરંત અહંકારનો ત્યાગ મહાન છે. અગિયારસનું સાચું વ્રત એ જ છે કે, મન પ્રભુમાં અને જીવન સંયમમાં રહે.'

આવું સંયમનું મહાપર્વ નિર્જળા ભીમ એકાદશી આપણે પણ અવશ્ય કરીએ અને સંયમના પંથે પ્રયાણ કરીએ.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ