મૂંઝવણ - ડૉ. અનિમેષ .
મારી ઈચ્છા છે કે હું મોડેલિંગ ક્ષેત્રમાં મારું વિશિષ્ટ સ્થાન બનાવું, પરંતુ મુશ્કેલી એ છે કે મારું નાક જરૂર કરતાં વધારે લાંબુ અને જાડું છે
હું ૧૯ વરસની છોકરી છું, એમ.એસ. યુનિવર્સિટીમાંથી બી.એ. કરી રહી છું અને મારી ઈચ્છા છે કે હું મોડેલિંગ ક્ષેત્રમાં મારું વિશિષ્ટ સ્થાન બનાવું, પરંતુ મુશ્કેલી એ છે કે મારું નાક જરૂર કરતાં વધારે લાંબુ અને જાડું છે તો આ માટે કોઈ એવો ઉપાય છે કે જેનાથી તેને સુંદર બનાવી શકાય? મહેરબાની કરીને સલાહ આપશો.
- એક યુવતી (વડોદરા)
૦ રાઈનોપ્લાસ્ટી નામની સૌંદર્યવર્ધક પ્લાસ્ટિક સર્જરી દ્વારા નાકનુ ંરૂપ અને આકાર આકર્ષક બનાવી શકાય છે. તેની લંબાઈ ઓછી થઈ શકે છે અને તેની પહોળાઈ ઓછી કરાવી તેને અણીદાર ઘાટીલું કરાવી શકાય છે. જો નાક અસાધારણ ઊપસેલું હોય તો તેને પણ સરખું કરી શકાય છે અને જો વાંકુ હોય તો પણ તેને વ્યવસ્થિત કરાવી શકાય છે.તમે આ સંદર્ભમાં કોઈ પ્લાસ્ટિક સર્જનનો સંપર્ક કરો એ યોગ્ય રહેશે. તમે તમારા સર્જનને મળીને તમારી અપેક્ષા સ્પષ્ટ રીતે કહો અને તેમને પૂછો શું તમારો વિચાર બરાબર છે. સર્જન માટે પણ એ અનુમાન કરવું જરૂરી છે કે તમારા ચહેરા પર કેવા પ્રકારનું નાક સુંદર દેખાશે.ઘણીવાર મુશ્કેલી નાક કરતાં વધારે ચહેરાની આકૃતિ સાથે જોડાયેલી હોય છે, જેમ કે હડપચી જો અંદરની તરફ પેસેલી હોય તો સાધારણ નાક પણ ઠેકાણા વગરનું દેખાઈ શકે છે. એવામાં નાક કરતાં તો વધારે હડપચીની સર્જરી કરવાની જરૂર પડે છે.
હું ૩૨ વર્ષની ગૃહિણી છું, અને છેલ્લાં ૪ વર્ષથી છીંકો આવવાના કારણે પરેશાન છું. એકવાર છીંક આવવા લાગે છે તો ૬-૭ વાર છીંક આવે પછી જ આરામ થાય છે. એમાં ૩-૪ વખત ઈ.એન.ટી. નિષ્ણાતની સલાહ લઈ ચૂકી છું. જ્યાં સુધી દવા લઉં છું, ત્યાં સુધી આરામ રહે છે, પરંતુ દવા બંધ કરું કે તરત જ મુશ્કેલી ફરીવાર શરૂ થઈ જાય છે. શું આ માટે કોઈ કાયમી ઉકેલ શક્ય છે?
- એક સ્ત્રી (રાજકોટ)
૦ વારંવાર છીક આવવી અને શરદી થવી એ નાકની એલર્જી થવાનું લક્ષણ છે. એના પર કાબૂ મેળવવા માટે એ જરૂરી છે કે તમે ધૂળ, ધૂમાડો, ફૂલોની રજ, પશુપક્ષીઓના વાળ, પાંખો, ચામડી વગેરેથી દૂર રહો. પોતાના ઓશીકાં, ચાદર, ગાદલાં એટલે કે આખી પથારીને દર અઠવાડિયે ઓછામાં ઓછું ૧ વાર તડકામાં જરૂર તપાવો. ઓશીકાંના કવર અને પથારીની ચાદર દર અઠવાડિયે બદલો અને તેને ગરમ પાણીમાં ધુઓ. પડદા પર ટેનિક એસીડ સાધારણ ઓગાળીને છંટકાવ કરો. આ ઘોળમાં ચાની પત્તીની ૨ પડીકી એક લીટર પાણીમાં ઓગાળીને તૈયાર કરી શકાય. આ સાથે સાથે જ્યાં સુઍધી શક્ય હોય, જૂના પુસ્તકો અને કાગળોના સંપર્કથી દૂર રહેવાનું રાખો. ઘરમાં સાફસફાઈ થતી હોય તે વખતે ત્યાંથી દૂર રહેવું. ડોક્ટરની સલાહ લઈને એન્ટિએલર્જીક દવા નિયમિત લો. ખાસ સ્ટીરોઈડ યુક્ત સ્પ્રેનો ઉપયોગ કરવાથી પણ રોગ પર કાબૂ મેળવી શકાય છે. સ્પ્રેની વિશેષતા એ છે કે તેની મદદથી દવા સીધી નાકમાં જઈ શકે છે.
હું ૨૭ વર્ષનો યુવક છું, છેલ્લા ૪ વર્ષથી મને શિશ્નના જમણા ભાગમાં ફોડલા થઈ જાય છે. આ ફોડલા થોેડા દિવસ પછી ફૂટીને આપોઆપ સુકાઈ જાય છે. પરંતુ થોડા દિવસો પછી ફરીથી ઉપસી આવે છે. ડોક્ટરની સલાહ લઈને ઘણીવાર એન્ટિબાયોટિક દવા લઈ ચૂક્યો છું, પરંતુ મુશ્કેલી તો જેવી છે તેવી જ રહી છે. મહેરબાની કરીને ઉપાય બતાવો.
- એક યુવક (સૂરત)
૦ તમારાં લક્ષણોનાં વર્ણન પરથી એવું લાગે છે કે તમે શિશ્ન હર્પીઝ સિંપ્લેક્સથી પીડાઓ છો. આ ખાસ પ્રકારનાં વાયરસથી ઉત્પન્ન થતો રોગ છે, જે જાતીય સંબંધ દ્વારા એકથી બીજી વ્યક્તિમાં પહોંચે છે અને ચેપ લાગી ગયા પછી વાયરસ ત્વચાની કોશિકાઓ પર હુમલો કરી શિશ્ન પર નાના નાના ફોડલા કે ફોલ્લીઓ ઉત્પન્ન કરે છે. પછી થોડા દિવસો પછી જ્યારે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા આ વાયરસ સામે ઝૂઝવા માટે સક્ષમ થઈ જાય છે ત્યારે વાયરસ નસોમાં ગુપ્ત થઈ જાય છે અને ફોલ્લીઓ ઠીક થઈ જાય છે.પરંતુ આ શેતાન વાયરસ ફરીથી અંદર છુપાઈ રહે છે અને તકની શોધમાં રહે છે કે જેવી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે તરત ફરીવાર ત્વચા પર હુમલો કરી દે છે. આ રીતે ફોલ્લીઓ અથવા ફોડલાં વારંવાર થયા કરે છે.હર્પીઝ સિંપ્લેક્સ વાયરસ એક વાર શરીરમાં પ્રવેશી જાય તો એનાથી છૂટકારો મેળવવો મુશ્કેલ થઈ જાય છે. હા, એના માટેની એવી દવાઓ જરૂર ઉપલબ્ધ છે,
જેેનો ઉપયોગ કરવાથી વાયરસના હુમલાની ઝડપ અને રોગના વધારે કોપ પર કાબૂ મેળવી શકાય છે. આ વાયરસવિરોધી દવાઓમાં એસાઈક્લોવિ મુખ્ય છે. ડોક્ટરની સલાહ લઈને એ લેવાથી રોગના પુનરાવર્તન પર પણ કાબૂ મેળવી શકાય છે.
હું ૨૧ વર્ષનો કુંવારો યુવક છું. મને છેલ્લા પાંચ વર્ષથી હસ્તમૈથુનની આદત છે. અઠવાડિયામાં ચારેક વાર હસ્તમૈથુન કરું છું. આને કારણે મારું વજન એકદમ ઘટી ગયું છે અને લિંગની લંબાઈ ઓછી થઈ ગઈ છે. ઉત્તેજિત અવસ્થામાં પણ લિંગનુ ંકદ નાનું અને ત્રાંસુ લાગે છે. મારા વૃષણ પણ દબાઈ ગયા છે. શું આની અસર મારા લગ્નજીવન પર પડશે?
૦ હસ્તમૈથુનથી વજન નથી ઘટતું. એકવાર હસ્તમૈથુન કરો એમાં જેટલી કેલેરીનો વ્યાપ થાય છે એટલી તમને અડધા ગ્લાસ લીંબુના શરબતમાંથી મળી રહે છે. તમે રોજ હસ્તમૈથુન કરો તો પણ કમજોરી નહીં આવે. વજન ઊતરવાનું કારણ છે હસ્તમૈથુન વિશેના ખોેટા વહેમો કે ખયાલો. ઘણી વખત માણસ હસ્તમૈથુનથી શું થશે, વજન ઊતરી જશે, હું નપુંસક થઈ જઈશ, મને ટીબી થશે એવા વિચારો કરતો હોય છે. એને કારણે તે ડિપ્રેશનમાં આવી જાય છે, તેની ઊંઘ ઊડી જાય છે, ફિલ્મ જોવાની ઈચ્છા ખતમ થઈ જાય છે, ભૂખ મરી જાય છે, મન ઉદાસ રહ્યા કરે છે અને કોઈ વાર આપઘાતનાં વિચારો પણ આવી જાય છે. આને પરિણામે વજન ઊતરી જાય છે.હસ્તમૈથુનના કારણે લિંગ નાનું થવાનો પ્રશ્ન જ નથી આવતો, કારણ કે એમાં કોઈ સ્નાયુ નથી.
૧૮-૨૦ વર્ષે એક અવસ્થાએ પહોંચ્યા પછી લિંગ નાનુ-મોટું થઈ શકતું જ નથી. જેમ મૈથુન કરવાથી ઈન્દ્રિયમાં વાંકાપણું નથી આવતું એ જ રીતે હસ્તમૈથુનના કારણે પણ શિશ્નમાં કોઈ જાતની વક્રતા નથી આવતી. થોડી ઘણી ઈન્દ્રિય તો બધાની વાંકી હોય છે. કોઈની ઈન્દ્રિય સીધી નથી હોતી. ઈન્દ્રિય થોડી ડાબે હોય કે જમણે, યોનિમાર્ગમાં જવાની તો સીધી જ. વૃષણ દબાતો નથી, તમે જે જુઓ છો એ વૃષણની કોથળી છે. વૃષણ અંદર હોય છે જેમાં મૈથુનને હિસાબે કોઈ ફેરફાર નથી થતો. વૃષણનું ઉપર-નીચે થવાનું કારણ વાતાવરણની ઠંડી કે ગરમી પર આધાર રાખે છે. તમારા લગ્નજીવન પર આની કોઈ વિપરીત અસર નહીં પડે.