Get The App

નફરત જલસા કરે અને પ્રેમ મોઢું સંતાડીને રીબાયા કરે!

- સુજ્ઞા સમાજે પણ લગ્નેતર સંબંધો પ્રત્યેની છોછ પડતો મૂકીને લગ્નેતર સંબંધોથી ટેવાઈ જવું પડશે

- ત્રિકોણનો ચોથો ખૂણો : ખલીલ ધનતેજવી

Updated: Oct 6th, 2021

GS TEAM

Google News
Google News
નફરત જલસા કરે અને પ્રેમ મોઢું સંતાડીને રીબાયા કરે! 1 - image


પથ્થરયુગની નાગીપૂંગી માનવજાતિને કલ્પના પણ નહિ હોય કે માણસ આટલી હદે બદલાઇ જશે. એમાં એવું જ નથી કે માત્ર જે તે પરિસ્થિતિમાં જ બદલાવ આવ્યો છે. માણસે મૂળભૂત સ્થિતિને જાળવી રાખીને  નવી નવી સ્થિતિનું સર્જન કર્યુ, જીવન જીવવા માટે નવા નવા ક્ષેત્રોનું નિર્માણ કર્યું એટલુ જ નહિ, એ નવા ક્ષેત્રોમાં પણ સમયાન્તરે સુધારા વધારા જેવા ફેરફારો થતાં જ અને ક્ષેત્રની વ્યાપકતા પણ વિસ્તૃત થતી રહી છે. આજે માણસે ભૌતિક ક્ષેત્રે જે પ્રાપ્ત કર્યું છે એના વિશે ભૂતકાળના માણસને ખ્યાલ સુધ્ધાં નહિ આવ્યો હોય કે આ વસ્તુ મને ખપ લાગશે અથવા આ વસ્તુનો મને ખપ પડશે! જેમ જેમ નવા નવા ક્ષેત્રો ઉઘડતા ગયા તેમ તેમ માણસ વધુ ને વધુ આધુનિક થતો ગયો! નૈતિક ક્ષેત્રે પરિસ્થિતિમાં કશો જ ફેરફાર થયો નથી. માત્ર એની ઉપયોગિતા અને રીતભાત જ બદલાયા છે. પ્રેમ અને નફરત બાવા આદમના જમાનાની ઉત્પત્તી છે, તે આજે પણ હયાત છે. આજે પણ માનવ સમાજમાં પ્રેમ અને નફરત હયાત છે. આજે પણ એજ નફરત, એ જ વેરની વસુલાત માટેના ષડયંત્રો, એ જ દગાખોરી વ્યાપક રીતે આપણા સમાજમાં આપણી સાથે જ જીવે છે! પ્રેમની વાત કરીએ તો સાચા પ્રેમની સ્થિતિમાં પણ કશો ફરક પડયો નથી. અગાઉ પણ પ્રેમને મોઢું સંતાડવું પડતું હતું. આજે પણ પ્રેમને સંતાઇ રહેવું પડે છે. આ માનવજાતની કપરી કરૂણતા છે કે  નફરત સરેઆમ ઉઘાડેછોગે સમાજને  ડરાવતી વટભેર ફરે છે અને પ્રેમને  સમાજથી ડરવું પડે છે. પ્રેમ સરેઆમ પોતાનું પ્રદર્શન કરી શકે નહિ !  પ્રેમના દર્શન થાય છે અને નફરતના પ્રદર્શન થાય છે. નફરતથી જે સમાજ ડરે છે એ સમાજથી  પ્રેમને ડરવું પડે છે !  નફરત જલસા કરે અને  પ્રેમ મોઢું સંતાડીને રીબાયા કરે એ ભૂમિકા સમજાતી નથી ! જો કે એક વાત સમજાઇ ગઇ છે !  હવે સ્વાર્થહિન નિખાલસ પ્રેમ ભાગ્યે જ ક્યાંક હશે. જોવા કે  જાણવા તો નથી જ મળતો. જે પ્રેમ છે એ શુધ્ધ પ્રેમ નથી. શુધ્ધ પ્રેમ તો મન પ્રેરિત હોય છે. એવો પ્રેમ લગભગ ક્યાંય રહ્યો નથી ! હવે મન પ્રેરિતને બદલે તનપ્રેરિત પ્રેમના અછોવાના થાય છે.  પ્રેમના નામે નરદમ શારીરિક વાસના જ હોય છે. પ્રેમની વ્યાખ્યા જ બદલાઇ ગઇ છે. શારીરિક સંબંધને હવે પ્રેમસંબંધ કહેવામાં આવે છે.  હવે એ જ દ્રષ્ટિએ જોવામાં આવે છે. એજ દ્રષ્ટિએ આંખો મળે છે. એજ દ્રષ્ટિએ એકબીજાની નિકટ આવે છે, અને એજ દ્રષ્ટિએ મુલાકાત થાય છે. મુલાકાત એટલે શારીરિક રીતે સમર્પિત થઇ જવું જ પડે એમ માની લેવામાં આવ્યું છે. મિલન એટલે સમર્પિત થવાનું પૂર્વ આયોજિત ટાણું ! શુધ્ધ પ્રેમને તો હવે લોકો પણ ભૂલી  ગયા છે. કોઇ એમ કહે કે ફલાણા બે વચ્ચે પ્રેમસંબંધ છે તો દ્રષ્ટિ શારીરિક સંબંધ પર જ પહોંચી જાય છે. હવે પ્રેમનો એ જ અર્થ નીકળે છે. બંને એકબીજાને મળે છે. બંને એકબીજામાં ઓગળે છે. બંને તરબોળ થઇ જાય છે. પણ પ્રેમને તો એક છાંટોય અડતો નથી !  પ્રેમ તો કોરોકટ જ રહે છે. ત્યાં પ્રેમ હોતો જ નથી, હોય તો ભીંજાયને ?  પ્રેમ તો અળગો જ રહે છે. બધો ખેલ વાસના પૂર્તિ માટેનો જ હોય છે !  

એક એવા સમયમાંથી પસાર થવાનું થયું છે  કે જ્યારે કૌમાર્યકાળના પ્રેમથી  સમાજમાં ભૂકંપ આવી જતો હતો. આજે એજ સમાજ લગ્નેતર સંબંધોને પણ ચુપચાપ સાંખી રહ્યો છે.  લગ્નેતર સંબંધો આપણા સમાજનું સૌથી મોટું અને સૌથી વધુ જોખમકારક છે. એ વખતે લાંબા ગાળે જવલ્લે જ આવી કોઈ ઘટના બનતી હતી. સમજદાર લોકો આવા સંબંધોની છોછ રાખતા હતા. સાવ નફ્ફટ, નકટા અને   નઠારા લોકો જ લગ્નેતર સંબંધ રાખતા અને ક્યારેક વાત બહાર આવતી ત્યારે આખો પરિવાર વગોવાઈ જતો હતો. માબાપ સહિત પરિવારના તમામ સભ્યોને સમાજને શું મોઢું દેખાડવાની પીડા વેઠવી પડતી હતી અને વર્ષો  સુધી એ વાત ભૂલાતી નહોતી ! આજે લગ્નેતર સંબંધોએ વસ્ત્રો માથે મૂકીને સમાજમાં ઊંચા મોઢે ફરવાની હિંમત કેળવી લીધી છે.

જયારથી સમાજ રચના સાથે લગ્નપ્રથા શરૂ થઈ ત્યારથી જ   પતિ પત્ની બંને માટે એક મર્યાદા રેખા ખેંચવામાં આવી હતી, જે સમયાન્તરે લક્ષ્મણ રેખાના નામે પ્રચલિત થઈ. શાદી સુદા સ્ત્રી  માટે તો ઘરનો ઊંબરો જ એક અતૂટ રેખા છે. સ્ત્રીનું મન ક્યારેક વિચલિત થાય તો પણ ઘરનો ઊંબરો ઓળંગવાની હિંમત કરી શકતી નહોતી !ં સ્ત્રીને રોકવા માટે ઘરના ઊંબરામાં જે તાકાત એવી તાકાત બીજે ક્યાંય નથી ! ઘરનો ઊંબરો જ એને રોકી શકે તો રોકાય, એ પછી ક્યાંય એ રોકાય નહિ ! ઘરનો ઊંબરો ઓળંગી જતી સ્ત્રીને કોઈના બાપની તાકાત નથી કે રોકી શકે ! પોતાનો ઉંબરો ઓળંગી જતી સ્ત્રી પછી તો કેટલાય ઘરોના ઊંબરા તોડાવે છે પણ પાછી વળતી નથી. કુંવારા નિર્દોષ સંબંધોને ફાંસીએ લટકાવી દેતા સમાજમાં લગ્નેતર સંબંધોને ઠપકો દેવાની પણ  તાકાત નથી ! અગાઉ તો કોઈ જોઈ જશે, કોઈ શું કહેશે, એની  પણ ચિંતા કરવામાં આવતી. કારણ કે કોઈ જોઈ જાય તો સમાજમાં વગોવાઈ જવાની બીક રહેતી હતી.  આજે એ બીક રહી નથી ! આજે એવી ઘટનાઓ અદાલતોમાં પહોંચે છે. અખબારોમાં પ્રસિધ્ધ થાય છે એ અંગે હવે   બીક તો  શું  શર્મિન્દગી પણ કોઈ મહેસૂસ કરતું નથી ! આવી નફફટ સ્થિતિમાં લગ્નેતર સંબંધોને  રોકવા ખરેખર મુશ્કેલ  લાગતુ હોય તો સુજ્ઞા સમાજે પણ લગ્નેતર સંબંધો પ્રત્યેની છોછ પડતો મૂકીને લગ્નેતર સંબંધોથી ટેવાઈ જવું પડશે.  અને સમાજમાં જેમ અન્ય વહેવારો ચાલે છે  તેમ  લગ્નેતર સંબંધને પણ એક પ્રકારનો વહેવાર હોવાનું  સ્વીકારી લેવું પડશે ! પછી તો આવી ઘટનાઓ તમારા જ પરિવારમાં બનશે ને છતાં તમે આંચકો નહિ અનુભવો ! અનુભવશો તો જૂનવાણી ગણાશો ! ઓર્થોડોક્સ ગણાશો.

વાન્સમોર

પ્રેમસંબંધ માટે હમણાં ધ્યાનમાં રાખું તને,

હમણાં ખાલી ધારણા પૂરતું જ હું ધારું તને !

એટલું તો ધ્યાન હું રાખું જ છું મારા ઉપર

 તારી પાસે હોઊં તો તારો જ હું લાગું તને !


Tags :