Magazines

લતાદીદીનાં ગીતોએ શ્રેયા ઘોષાલને સંગીતનો ચસકો લગાડયો

By GS TEAM
19 Mar 20263 mins read
લતાદીદીનાં ગીતોએ શ્રેયા ઘોષાલને સંગીતનો ચસકો લગાડયો

- 'મૈં બહોત છોટી થી, લેકિન લતાજીની  આવાઝને મુઝે ઈસ તરહ ખીંચા  કિ મૈંને   મ્યુઝિક  સે પ્યાર  કરના શુરુ કર દિયા.  અમારી  વચ્ચે એક આત્મીય  સંબંધ  બંધાઈ  ગયો.  દીદીના  વોઈસમાં  એ પાવર છે. '

શ્રેયા  સ્વરસમ્રાજ્ઞાી  લતા મંગેશકરને દેવીની  જેમ પૂજે  છે એવું કહેવામાં કદાચ અતિશયોક્તિ નથી. એ પોતાને  દીદીની  ફેન નહીં પણ ભક્ત ગણે છે. હમણાં  મુંબઈમાં પોતાના  મ્યુઝિક કોન્સર્ટ ને  'લેટર્સ ટુ લતાદીદી'  એવું ટાઈટલ  આપી શ્રેયા  ઘોષાલે  એનો પુરાવો આપ્યો. પ્રોગ્રામમાં  ગાયિકાએ  ૭ દશકની  પોતાની  સંગીત  સફરમાં ૪૫ હજાર ગીતો ગાનાર લેજેન્ડરી  સિંગરને દિલથી શ્રધ્ધાંજલિ  આપી. બોલિવુડની  હાઈએસ્ટ  પેઇડ પ્લેબેક સિંગરનો મુંબઈ જેવા ઈન્ટરનેશનલ સિટીમાં કોન્સર્ટ  હોવા છતાં એમાં લતાજીના વ્યક્તિત્વ  સાથે વણાયેલી  લાક્ષણિક  સાદગી વર્તાતી હતી.  કોઈ આતશબાજી નહિ,  આંખને  આંજી  દેતી  રોશની  નહીં. 

ગણેશ વંદના કર્યા બાદ શ્રેયાએ લતાજીના   અજરાઅમર ગીત  'આયેગા આયેગા આયેગા આનેવાલા  આયેગા'થી પ્રોગ્રામની શરૂઆત કરી.  મધુર  સંગીતભરી સાંજને અંગત  સ્પર્શ  આપતા ગાયિકા કહે છે,  'આજકી યે શામ મારે  લિયે ખાસ હૈ. યે ઈમોશનલ  મેરે દિલ કે બહોત કરીબ હૈ.  મને લાગે છે કે મારી લાગણીઓને તમારા જેવા સુજ્ઞા  શ્રોતાઓ   સમજી શકશે.  આપણે બધા  અહીં  મા સરસ્તી, આપણાં બધાના વ્હાલા  લતાદીદીના  સંગીત વારસાને   ઉજવવા  ભેગા થયા છીએ.  મને ખાતરી  છે કે દીદી- સ્વર્ગમાંથી  આપણને બધાને જોઈને સ્મિત આપતા હશે.'

પછી  તો શ્રેયાએ  શોમાં  જાવેદ અલી અને કિંજલ ચેટરજી  સાથે કેટલાક  યુગલ ગીતો ગાઈ માહોલ બનાવી  દીધો.  એ બધાની  વચ્ચે ઘોષાલે  લતાજીના  સુરીલા  કંઠે  બાળપણમાં  જ  પોતાને  કઈ  રીતે  સંગીત તરફ આકર્ષિત  કરી એ વિશે  વાત કરતા કહ્યું, 'ઉસ છોટી સી  લડકી કો જરા ભી અંદાજ નહીં  થા  કિ યે વો આવાઝ હૈ જો ઉસકા હાથ થામકર  ઉસે આનેવાલે  કલ કી ઔર લે જાયેગી. હું તો એ વખતે સાવ નાની  હતી લેકિન  લતાજીની  આવાઝને મુઝે ઈસ તરહ ખીંચા  કિ મૈંને   મ્યુઝિક  સે પ્યાર  કરના શુરુ કર દિયા. અમારી  વચ્ચે એક આત્મીય   સંબંધ  બંધાઈ  ગયો. દીદીના   વોઈસમાં  એ પાવર છે. 

શ્રેયા  ઘોષાલના  પેક્ડ  કોન્સર્ટમાં ઉદ્યોગપતિ  કુમારમંગલમ  બિરલા,  નીરજા બિરલા,  સંગીતકાર  કલ્યાણજીભાઈ, ગીતકાર  અને સ્ક્રીપ્ટ રાઈટર  પ્રસૂન જોશી, સોનુ નિગમ, નીતિન  મુકેશ અને ઉષા મંગેશકર જેવી સેલિબ્રિટીની હાજરી  હતી. એમની સમક્ષ  લતાજી સાથેની ૨૦૦૫ની   પોતાની પહેલી મુલાકાત સંભારતા  શ્રેયા  કહે છે,  'હું એમના સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરી રહી હતી ત્યારે દીદી ત્યાં આવ્યાં હતાં.  હું  એમને  મળવા નીચે દોડી ગઈ અને એમણે  મને જોતાવેંત  પૂછ્યું, 'તુમ  શ્રેયા હો ના? મૈં  ઉસ વક્ત ઉન્હે  કુછ  ભી નહીં  બોલ પાયી.  હું સ્તબ્ધ થઈ ગઈ  હતી અને  મારી બોલતી બંધ થઈ ગઈ.  ખેર,  મુઝે  ઉસ દિન લતા દીદી કે દર્શન હો ગયે  થે, ઉસ વક્ત કુછ નહીં સુઝા ઔર મેં  થેન્ક યુ  ભી નહીં બોલ પાયી.  આજ  મુજે  દીદી કો થેન્ક યુ બોલના હૈ, મારા માટે  તેઓ જે રીતે  એક દિવ્ય  આત્મા અને સંગીતનું  શિખર  બની રહ્યા  એ માટે.

સંગીત  જલસાના સમાપનમાં  તબક્કામાં  શ્રેયાએ  'એ  મેરે વતન કે લોગો,   'નામ ગુમ જાયેગા' અને 'રહે ના રહે હમ' જેવા મંગેશકરના  ક્લાસિક  સોંગ્સ  સંભળાવી  શ્રોતાઓને ડોલાવી દીધા.  અને ફાઈનલી   ગાયુ, 'લગજા  ગલે, ફિર  યે હસી રાત હો ના હો..... એ  ગીતને  લોકોએ ઊભા થઈ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું  ત્યારે શ્રેયા ઘોષાલની  આંખમાંથી દડદડ  આંસુ વહેતાં  હતાં.