Magazines

પ્રકૃતિ સાથે જોડાયેલું જ્ઞાન પણ ઇશ્વરની દેન છે

By GS TEAM
3 Jun 20263 mins read
પ્રકૃતિ સાથે જોડાયેલું જ્ઞાન પણ ઇશ્વરની દેન છે

- આજની કથા

- નકુલ-સહદેવનું પશુ-પક્ષી જ્ઞાન

મહાભારત કથા

નકુલ-સહદેવને પશુ-પક્ષી જ્ઞાનનો દૈવી વારસો

મહાભારતની કથામાં પાંચેય પાંડવોના જન્મનો પ્રસંગ અત્યંત વિલક્ષણ છે. કુંતીના ત્રણ પુત્રો પછી માદ્રીએ દુર્વાસા ઋષિ દ્વારા આપેલા મંત્રથી અશ્વિની કુમારોનું આહ્વાન કર્યું. અશ્વિનીકુમારો દેવતાઓના વૈદ્ય હતા. પ્રકૃતિના સૂક્ષ્મતમ રહસ્યોના જ્ઞાતા અને પશુ-પક્ષી-વનસ્પતિના અદ્ભુત સંસારના રક્ષક હતા. તેમના જ અંશથી નકુલ અને સહદેવનો જન્મ થયો.

પિતૃ-દેવતાઓનું એ જ્ઞાન તેમના લોહીમાં ઉતર્યું. નકુલને અશ્વ-વિદ્યા (ઘોડાઓનું જ્ઞાન)ની એવી અલૌકિક સમજ પ્રાપ્ત થઈ જે ત્રણેય લોકમાં દુર્લભ હતી. તેઓ ઘોડાની ચાલ, તેનો શ્વાસ, તેના અંગ-પ્રત્યંગ અને રોગના લક્ષણોને માત્ર સ્પર્શ કરવાથી જ જાણી લેતા હતા. સહદેવને ગો-વિદ્યા (ગાયોનું જ્ઞાન)માં એ જ સિદ્ધિ મળી હતી. તેઓ ગાયોના સ્વભાવ, તેમની ભાષા, તેમના રોગો અને તેમના ભવિષ્યને વાંચી શકતા હતા. સહદેવ પાસે શુકન-શાસ્ત્રનું જ્ઞાન પણ હતું. પક્ષીઓની ઉડાન અને તેમની બોલી પરથી તેઓ આગામી સમયની સૂચના મેળવી લેતા હતા.

વિરાટ-નગરીમાં પરીક્ષા

અજ્ઞાતવાસના સમયમાં જ્યારે પાંચેય પાંડવોને છદ્મવેશ (પોતાની ઓળખ છુપાવીને) ધારણ કરવો પડયો, ત્યારે આ જ જ્ઞાન તેમનું કવચ બન્યું. નકુલે રાજા વિરાટની અશ્વશાળા (તબેલા)ની જવાબદારી સંભાળી અને પોતાની વિદ્યાથી ત્યાંના ઘોડાઓને નવજીવન આપ્યું. સહદેવ ગોપાલક (ગાયોના રક્ષક) બન્યા અને તેમની ગાયોમાં સમૃદ્ધિ પાછી આવી. અજ્ઞાતવાસ સફળ રહ્યો. પ્રકૃતિનું આ જ્ઞાન, સંકટના સમયે સૌથી મોટું રક્ષક સાબિત થયું.

એ જ્ઞાન જેને આપણે 'નાનું' સમજીએ છીએ

મહાભારતની કથામાં અર્જુનનું ધનુષ્ય ચમકે છે, યુધિષ્ઠિરનો ધર્મ ગુંજે છે, ભીમનું બળ પર્વતોને હલાવી દે છે. પરંતુ નકુલ અને સહદેવ અવારનવાર એવા પડછાયામાં ઉભા રહે છે જ્યાં લોકોની દ્રષ્ટિ ઓછી પહોંચે છે. આ જ મહાકાવ્યનો સૌથી સૂક્ષ્મ સંદેશ છે. વેદવ્યાસે જાણીજોઈને એવા બે પાત્રોની રચના કરી છે જેમનું જ્ઞાન ન તો યુદ્ધભૂમિ પર ગર્જના કરે છે, ન તો દરબારમાં વાદ-વિવાદ કરે છે. તેમનું જ્ઞાન ગૌશાળામાં છે, અશ્વશાળામાં છે અને વનના પક્ષીઓની બોલીમાં છે. અને એટલા માટે જ તે જ્ઞાન સૌથી વધુ મૂલ્યવાન છે.

युवं वृकस्य वर्तिकामपारतम् ।

એટલે કે 'તમે વરુના મોંમાંથી પક્ષીને બચાવ્યું'. આ જ રૂપક નકુલ-સહદેવના જ્ઞાનનો મૂળ ભાવ છે - પ્રકૃતિની રક્ષા અને પ્રાણીઓની સેવા.

એ જ્ઞાન જે સંકટમાં કામ આવ્યું

દાર્શનિક દ્રષ્ટિથી વિચાર કરીએ તો વિરાટ-નગરીનો પ્રસંગ અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યારે સત્તા છીનવાઈ જાય છે, જ્યારે રાજમહેલની દીવાલો પડી ભાંગે છે, ત્યારે શું બાકી રહે છે ? અર્જુનનું ધનુષ્ય તે વર્ષે છદ્મવેષમાં બંધાયેલું હતું. યુધિષ્ઠિરનો રાજધર્મ દેશનિકાલામાં હતો. પરંતુ નકુલનું અશ્વ-જ્ઞાન અને સહદેવની ગો-વિદ્યા ક્યાંય છુપાયા નહોતા. તે તેમની અંદર હતા. મહાભારતનો આ એક ગૂઢ સંદેશ છે કે પ્રકૃતિ સાથે જોડાયેલું જ્ઞાન ક્યારેય પણ છીનવી શકાતું નથી. રાજ્યો છીનવાઈ જાય છે, ધન ચાલ્યું જાય છે, યશ ઝાંખો પડી જાય છે, પરંતુ જે જ્ઞાન જીવનના મૂળ લય સાથે જોડાયેલું છે, તે અવિનાશી છે.

આધુનિક જગતમાં નકુલ-સહદેવ

આજના સમાજમાં આપણે એ જ્ઞાનને પ્રતિષ્ઠા આપીએ છીએ જે દેખાય છે, જે મંચ પર બોલાય છે, જે પ્રમાણપત્રોમાં માપવામાં આવે છે. પશુ-ચિકિત્સક, વન-રક્ષક, પારિસ્થિતિકી-વિદ્, આ બધા નકુલ-સહદેવના વંશજો છે. તે ખેડૂતો જે વાદળોની દિશા અને પક્ષીઓના અવાજ પરથી હવામાન પારખી લે છે, તે આદિવાસીઓ જે વનની અંદર જીવનની ભાષા જાણે છે, તે બધામાં અશ્વિનીકુમારોનું જ્ઞાન આજે પણ જીવંત છે. પરંતુ આધુનિક સભ્યતાએ તે જ્ઞાનને અવારનવાર 'અશિક્ષિત' કહીને હાંસિયામાં ધકેલી દીધું છે.

ઇશ્વરની દેન : એ વિદ્યા જે પુસ્તકોમાં નથી

સહદેવ શુકન-શાસ્ત્ર પણ જાણતા હતા. એવું કહેવાય છે કે તેમને ભવિષ્યનું જ્ઞાન પણ હતું. પક્ષીઓની ઉડાનમાં તેઓ કાળ (સમય)નો સ્વર સાંભળતા હતા. આ એ જ જ્ઞાન છે જેને ઉપનિષદ 'અપરા વિદ્યા' નહીં, પણ 'પરા વિદ્યા'ની નજીક માને છે. એ વિદ્યા જે અનુભવથી, પ્રકૃતિના સંપર્કથી અને કોઈ ઊંડી આંતરિક નિષ્ઠાથી ઉત્પન્ન થાય છે.

ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે :

अहं सर्वस्य प्रभवो मत्तः सर्व प्रवर्तते (હું જ સર્વનો ઉદ્ગમ છું, મારામાંથી જ બધું પ્રવર્તે છે) જો સૃષ્ટિમાં જે કંઈ પણ છે તે ઇશ્વરથી છે, તો પ્રકૃતિનું જ્ઞાન પણ તેનો જ અંશ છે. નકુલ-સહદેવ આ જ સત્યના પ્રતીક છે. શું આપણી શિક્ષણ વ્યવસ્થામાં આજે પણ એવો કોઈ નકુલ છે જેને આપણે નજરઅંદાજ કરી રહ્યા છીએ?