Magazines

ઇમ્તિયાઝ અલીનો પ્રેમ સંદેશો : ચાલો , આપણે કલાકારો ભેગા મળીને સુંદર વિશ્વનું સર્જન કરીએ

By GS TEAM
30 Apr 20263 mins read
ઇમ્તિયાઝ અલીનો પ્રેમ સંદેશો : ચાલો , આપણે કલાકારો ભેગા મળીને સુંદર વિશ્વનું સર્જન કરીએ

- સમસ્ત માનવજાત  હાલ  યુદ્ધના ચિંતાજનક  તબક્કામાંથી પસાર થઇ રહી છે  ત્યારે આ વિચારશીલ ફિલ્મ સર્જકે ઉમદા વિચાર રજૂ કર્યા 

ઈમ્તિયાઝ અલી હિન્દી ફિલ્મ જગતના વિચારશીલ કહી શકાય તેવા દિગ્દર્શકોમાંના એક  છે. વાંચનપ્રિય  તો ખરા, સાથોસાથ  ભારત સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે ક્યાં અને શું શું થઇ રહ્યું છે તેની ખબર પણ રાખનારા છે.  

હાલ અમેરિકા અને ઇઝરાયલ બંને ભેગાં મળીને  ઇરાન સાથે યુદ્ધ લડી રહ્યાં છે ત્યારે ઇમ્તિયાઝ અલીએ   એક વિચારશીલ   મુદ્દો રજૂ કર્યો છે.  

દિલ્હીમાં કોલેજના અભ્યાસ દરમિયાન નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સક્રિય હિસ્સો લેનારા ઇમ્તિયાઝ અલી કહે છે, હાલ સમગ્ર વિશ્વ બહુ  ચિંતાજનક તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. 

છેલ્લા લગભગ બે કરતાં વધુ વર્ષથી સોવિયેત રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ જંગ ચાલે છે. સાથોસાથ, હાલ અમેરિકા અને ઇઝરાયલ બંને સાથે મળીને ઇરાન સામે લડી રહ્યાં  છે. લડાઇને કારણે આ બધા દેશની જનતામાં તો ભય ફેલાય. ભારે મોટો વિનાશ થાય. અર્થતંત્ર વેરવિખેર થઇ જાય. ઉપરાંત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ ન થાય. પરિણામે સમગ્ર વિશ્વભરમાં નકારાત્મક સંદેશો  જાય. 

ટેલિવિઝન પર કુરુક્ષેત્ર સિરિયલના દિગ્દર્શક તરીકે કારકિર્દી શરૂ કરનારા ઇમ્તિયાઝ અલી બહુ સરસ મજાનો મુદ્દો  રજૂ કરતાં કહે   છે, યુદ્ધના આવા રક્તરંજિત માહોલમાં ફિલ્મ, નાટક, સંગીત, ચિત્રકલા વગેરે ક્ષેત્રનાં તમામ કલાકારોએ  મહત્વનું યોગદાન આપવું જરૂરી છે. ખાસ કરીને ફિલ્મના સબળ માધ્યમ દ્વારા માનવજાતને  પ્રેમ, ભાઇચારો, મિત્રતા વગેરેનો સંદેશો મળે તેવોપ્રયાસ થવો જોઇએ. વળી, ફિલ્મમાં યુદ્ધમાં શું શું થઇ રહ્યું છે તે  નહીં પણ  શું  થવું જોઇએ   એવો   સંદેશો  વહેતો  થવો જોઇએ. આજે  સમસ્ત માનવજાતને શું શું જોઇએ છે તેની ઉમદા  હેતુ સાથે ચર્ચા થવી જોઇએ. 

પહેલી હિન્દી ફિલ્મ 'સોચા ન થા' (૨૦૦૫)થી બોલિવુડમાં પ્રવેશ કરીને  'જબ વી મેટ', 'લવ આજ કલ', 'રોકસ્ટાર', 'હાઇવે, 'જબ હેરી મેટ સેજલ','તમાશા', 'અમર સિંહ ચમકીલા' વગેરે જેવી  મજેદાર  અને સફળ  ફિલ્મોનું સર્જન કરનારા  ઇમ્તિયાઝ અલી કહે છે, જુઓ, સંઘર્ષ અને ફિલ્મ વચ્ચે સીધો સંબંધ છે. એટલે કે વિશ્વમાં જેટલો સંઘર્ષ થશે એટલું મનોરંજન વધુ જરૂરી બનશે. માનવીને આનંદ, ખુશી, રાહતના વાતાવરણની વધુ જરૂર રહેશે.   હું તો ભારપૂર્વક કહું છું કે હાલનો સમય વધુ સારા અને વધુ સલામત જગતનું સર્જન કરવા માટે  યોગ્ય છે. તમામ ક્ષેત્રનાં કલાકારોએ ભેળાં મળીને શાંતિ, પ્રેમ, ભાઇચારો,  આનંદ, સલામતીનું વાતાવરણ સર્જવું જરૂરી છે. 

 જબ વી મેટ, તમાશા, રોક સ્ટાર  જેવી રોમેન્ટિક કોમેડી ફિલ્મોનું સર્જન કરનારા ઇમ્તિયાઝ અલીએ  તેમની ફિલ્મોના શૂટિંગ માટે કશ્મીરની પસંદગી કરી હતી. રોક સ્ટાર અને હાઇ વે એમ   બંને ફિલ્મોનું શૂટિંગ  ઉગ્રવાદનું   સંવેદશીલ વાતાવરણ ધરાવતા કશ્મીરમાં કર્યું હતું. 

ઇમ્તિયાઝ અલી  ખુશી વ્યક્ત કરતાં કહે છે, ખરું    કહું    તો મને રોક સ્ટાર અને હાઇવે ના શૂટિંગ દરમિયાન કશ્મીરમાં ઘણો સારો સહકાર મળ્યો  હતો. આમ તો  મેં   કશ્મીર વિશે ચિંતાજનક  અને અણગમતી વાતો સાંભળી હતી. આમ છતાં મને કશ્મીરમાં ઘણી સરળતા રહી હતી.