મધ અને તેના અમૂલ્ય ઔષધિય ગુણો
- ભારતમાં પ્રાચીન કાળથી 'મધ' એક ઉત્તમ ખાદ્ય ગણાય છે
- 'મધ'ની શર્કરા એવી છે કે જે માખીનાં શરીરમાં પચીને જ રૂપાંતરીત થઈને આપણને મળે છે
ભારતમાં પ્રાચીન કાળથી 'મધ' એક ઉત્તમ ખાદ્ય ગણાય છે. તેના ઉપયોગથી સેવનથી મનુષ્ય નીરોગી, બળવાન અને દીર્ઘાયુષી બને છે. તે મધમાખીઓ દ્વારા તૈયાર થાય છે. વિવિધ જાતના ફુલોમાંથી મીઠો રસ ચૂસીને મધમાખીઓ તેના શરીરમાં સંચિત કરે છે પછી મધપૂડાનાં નાના નાના કોષોમાં તે રસને ભરે છે. પછી તે ઘટ્ટ અને મીઠો થાય છે અને 'મધ' રૂપે તૈયાર થાય છે. 'મધ' માત્ર ઔષધ જ નથી પરંતુ દૂધની માફક મધુર અને પૌષ્ટિક એક સંપૂર્ણ ખાદ્ય પણ છે.
સંસ્કૃતમાં તેને મધુ - કહે છે. અંગ્રેજીમાં ર્લ્લહીઅ કહે છે. માખીઓએ એકઠો કરેલો મીઠા રસ ઉપરથી 'માક્ષીક' પણ કહે છે. આયુર્વેદમાં ભાવ પ્રકાશકારે મધુવર્ગમાં તેની માક્ષિક, ભ્રામર, ક્ષોદ્ર, પૌતિક, છાગ, આર્ધ્ય, ઔહાલક અને દાલ તેવી આઠ આઠ જાતિઓ બતાવી છે. મધમાં નવુ મધને બળ આપનાર, કફને તોડનાર નથી તેવું તથા ઝાડાને વેગ આપનાર બતાવ્યું છે. જ્યારે જૂનું મધ ચરબીને ઓગાળનાર, મેદને તોડનાર, મળને ઢીલો કરનાર ગણાવ્યું છે. મધ-સાકર અને ગોળ વધારેમાં વધારે એક વર્ષ વીતી ગયા પછી ત્યારે તેને જૂના કહે છે.
મધ ઠંડુ, પચવામાં હલકું, ગળ્યું, લુખુ, ઝાડાને બાંધનાર, મળને ખોતરનાર, આંખો માટે હિતકારી, ભૂખને લગાડનાર, ગુમડાને સાફ કરનાર અને રૂઝ લાવનાર, અવાજ માટે હિતકારી, શરીરને કોમળ કરનાર, લોહીની નળીઓને સાફ કરનાર, નૈનને આનંદ આપનાર, બુદ્ધિની ધારણા શક્તિ વધારનાર, મૈથુન શક્તિ વધારનાર, ભૂખ લગાડનાર છે અને સંસર્ગી હોવાથી જે ઔષધ સાથે આપો તેના ગુણ વધારનું છે.
'મધ'માં ખનિજ ક્ષારો :- મધમાં લોહ, તામ્ર, મેંગેનીઝ, સિલિકા, કલોરીન, કેલ્શિયમ, પોટાસિયમ, સોડિયમ, ફોસ્ફરસ, એલ્યુમિનિયમ અને મેગ્નેસિયમ ક્ષારો હોય છે.
'મધ'માં વિટામિનો : ફુલોની પરાગમાં વધુમાં વધુ વિટામિન 'સી' હોય છે. રીબોફલેવીન અને નિકોરેનિક એસિડનું પ્રમાણ મધમાં ઘણું હોય છે.
'મધ'માં શર્કરા : 'મધ'ની શર્કરા એવી છે કે જે માખીનાં શરીરમાં પચીને જ રૂપાંતરીત થઈને આપણને મળે છે. આ શર્કરા લેવ્યુલોઝ અને ડેક્ષ્ટોઝ નામની શર્કરા પચવામાં હલકી હોય છે. 'મધુશર્કરા' એક આર્શિવાદ સમાન છે. જે શક્તિ પ્રદાન કરનાર છે.
ઔષધિય ગુણો ઃ ગરમ પ્રકૃતિનાં ગરમ તાસીરવાળા લોકો માટે 'મધ' એક ઉત્તમ અને ઉપકારી અસરકારક છે. 'મધ'ની ખરાબ અસર તો કંઈ છે જ નહિ, તે સદાય કલ્યાણકારી છે.
એક કપ દૂધમાં એક ચમચી મધ મેળવી સવારે પીવાથી શક્તિ વધે છે.
મધ સાથે પાણી ભેળવીને કોગળા કરવાથી કાકડામાં ઘણી રાહત થાય છે.
શરીરમાં થતી બળતરા - દાહ - ખંજવાળ - ફોલ્લીઓ જેવા ચામડીના રોગો, મોઢું આવી જવું, નિંદ્રાનાશ, કફના રોગો, પિત્તના રોગો ઉપર પણ મધનો ઉપયોગ લાભદાયી બને છે. હૃદયરોગમાં પણ લાભપ્રદ છે.
ઉલટી, તરસ બહુ લાગવી. જૂની શરદી - કફનાં રોગો સુકી ઉધરસ, સસણી જેવા રોગોમાં ત્રિકટું (સુંઠ-મરી-પીપર)નાં ચૂર્ણ સાથે અથવા સિતોપલાદિ કે તાલિસાદિ ચૂર્ણ સાથે આપવાથી અત્યંત લાભદાયી બને છે. જૂની શરદી, સાઈનસમાં પણ ખૂબ જ ફાયદાકારક છે.
સાવચેતી ઃ 'મધ'નો ઉપયોગ કરવામાં નીચેની સાવધાની રાખવી ખાસ જરૂરી છે.
૧. 'મધ' ઉષ્ણતા સહન કરી શકતું નથી. આથી મધને કોઈ દિવસ ગરમ કરીને ઉપયોગમાં લેવું નહિં. તેમજ ગરમ ચીજો સાથે ખાવું ન જોઈએ.
૨. 'મધ' ખાધા પછી પણ ગરમ પાણી પીવું ન જોઈએ.
૩. મધ અને ઘી એક સરખા પ્રમાણમાં લેવાથી ઝેર બની જાય છે. માટે મધ અને ઘી ક્યારેય સરખા પ્રમાણમાં ભેગા કરી લેવા ન જોઈએ.
૪. 'મધ' પ્રમાણ અને માત્રાથી વધુ ખાવું જોઈએ નહીં. મધનું અજીર્ણ મારક બને છે.
૫. વધુ પડતી સુગરવાળાએ (ડાયાબિટીઝ વધારે હોય તેવા) તેવા દરદીએ 'મધ'નો પ્રયોગ માત્રામાં કરવો જોઈએ.
સાચા 'મધ'ની પરીક્ષા એ છે કે મધમાં પડેલી માખી જો તેમાંથી બહાર નીકળીને થોડી વારમાં ઉડી શકે તો જાણવું કે તે 'મધ' ચોખ્ખું છે.
મધમાં રૂ ની વાટ બોળી તેનો દીવો કરવાથી અવાજ વગર બળે તો તે મધ સાચું માનવું જોઈએ. સાચું મધ કુતરા ખાતા નથી. તેમજ સાચા 'મધ'નું ટીપું પાણીમાં નાખવાથી તળિયે બેસી જાય છે.
સાચુ 'મધ' આરોગ્યને ફાયદાકારક છે. પરંતુ ખોટું કે બનાવટી મધ - ચાસણીવાળું મધ આરોગ્યને માટે હાનિકારક છે.
- ઉમાકાન્ત જે. જોષી