વ્યક્તિ દુ:ખી કેમ રહે છે ?
ચેતના - હિતેન્દ્ર ગાંધી
દુ:ખી રહેવું એ કેટલાય લોકોનો સ્વભાવ થઇ ગયો હોય છે. પોતાને હકિકતમાં કોઇ જ પ્રોબ્લેમ હોતો નથી
આ પણે રોજબરોજના અનુભવ ઉપરથી જોઇએ છે કે મોટાભાગની વ્યક્તિઓ જાતે કરીને દુ:ખી રહે છે. દુ:ખી થવાના અને દુ:ખમાં રહેવાના અસંખ્ય કારણો હોય છે. આ કારણોમાંથી થોડાક જ એવા હોય છે કે તે કારણમાં ખરેખર કોઈ વજુદ હોય.
પરંતુ મોટાભાગના કારણો બીજા લોકોના અથવા અન્ય વ્યક્તિઓને કારણે ઉભા થાય છે. જેમ કે પેલો મને આવું કહી ગયો, ફલાણો કેટલો ખુશ રહે છે, બાજુવાળા પડોશી વર્ષમાં ત્રણ વખત ફરવા જાય છે, પેલો મારો ફ્રેન્ડ રોજ નવાને નવા કપડા પહેરે છે, બાજુવાળાનો ધંધો કેટલો સરસ ચાલે છે, અને હું હજુ પણ એવો ને એવો જ છું, મારા નસીબ જ ખરાબ છે, મારા નસીબમાં સુખ લખાયેલ જ નથી.
અન્ય નો વિચાર કરીને દુ:ખી રહેવું એ કેટલાય લોકોનો સ્વભાવ થઇ ગયો હોય છે. પોતાને હકિકતમાં કોઇ જ પ્રોબ્લેમ હોતો નથી. તે ધારે તો ખુશ રહી શકે તેમ હોય છે. બધું જ ભોગવી શકે તેમ હોય છે. પરંતુ કમનસીબે તે સુખ દેખાતું નથી હોતું પરિણામે કાયમ ચહેરો રડતો કરીને જ ફરતો હોય છે.
મનને દુ:ખી રાખવાથી અનેક માનસીક સમસ્યાઓ ઉભી થઇ શકે છે. લાંબા સમય સુધી આ પ્રકારના દુ:ખની અવગણના કરવાથી વ્યક્તિ ક્યારેક મનોરોગનો શિકાર પણ બની શકે છે. અનેક દર્દીઓના અનુભવ ઉપરથી એમ કહી શકાય કે ફક્ત ૧થી ૨% દર્દીઓને ખરેખર સાચી સમસ્યા હોય છે. એક કેસની ચર્ચા કરૂં.
'૨૫ વર્ષની જોલીની સગાઈ હમણાં જ થઇ છે. નામ પ્રમાણે સ્વભાવ હોવો જોઇએ પરંતુ અહિંયા તદ્દન વિરૂધ્ધ હતું. જ્યારે તેને જોઇએ ત્યારે હંમેશા રડતો ચહેરો જ જોવા મળે' શું તકલીફ છે તેમ પુછતાં સ્લોમુવીની જેમ ધીમે ધીમે અવાજ નીકળતો હતો. નેગેટીવ વિચારોથીજ મન ભરાયેલું હતું.
વિગતથી પુછતાં જણાવ્યું કે હકિકતમાં મને બધા કહ્યા કરે છે કે હસતું મોઢું રાખ, આમ દિવેલ પીધેલ મોઢું લઇને સાસરીમાં ફરીશ તો કેવી લાગીશ ? મને સતત એજ વિચારો આવે છે કે હું હસી શક્તી કેમ નથી ? બધા કહ્યા કરે છે એટલે હું ધારૂં તો પણ રીલેક્ષ રહી શક્તી નથી.
કાયમ હું તે જ વાતથી દુ:ખી રહું છું. સતત નેગેટીવ વિચારોના પરિણામે મારા શરીર ઉપર પણ અસર થઇ ગઇ છે. મારી સ્કીન પણ ડાર્ક થઇ ગઇ છે. શરીરમાં અશક્તિ વધી ગઈ છે. છ મહિનામાં જ મારા લગ્ન થવાના છે, તો શું થશે તેના પણ હવે વિચારો આવે છે. કાયમ હું ટેન્શનમાં રહું છું. દુ:ખી રહું છું. મને બીક લાગી છે કે હું ખરેખર ડીપ્રેશનનો શિકાર તો નથી થઇ ગઇ ને ?
જોલી સાથેની વાતચીત દરમ્યાન તેમજ અન્ય માનસીક તપાસ દરમ્યાન સાચે જ જોલી ડીપ્રેશનનો ભોગ બનેલ હતી. વાંચક મિત્રો, આમ જોવા જઇએ તો જોલીને દુ:ખી રહેવાનું કોઈ કારણ જ નથી. પરંતુ બીજા બધાના કહેવાથી પોતે નેગેટીવ વિચારોમાં જ ખોવાયેલ રહેતી.
હકિકતમાં કોઈ પણ વ્યક્તિ પોતે જેવી છે તેવી જ છે. એવું માનતાં હોય તો મોટાભાગના નેગેટીવ વિચારો દુર થઇ શકે છે. જો દુ:ખી રહેવાનું દુર કરવું હોય તો ફક્ત એવું જ વિચારવું જોઇએ કે 'હું છું તેવો છું' જો કોઈ પણ અન્યના કહેવાથી અથવા બીજાનું સુખ જોઇને દુ:ખી થવું એ હકિકતમાં મનની નબળાઈ છે.
- હિતેન્દ્ર ગાંધી