લકવામાં તાત્કાલિક કરી શકાય તેવા પ્રયોગો
આરોગ્ય સંજીવની - જ્હાનવીબેન ભટ્ટ
આજના માનસિક તનાવનાં યુગમાં હાઇબ્લડપ્રેશર અને અચાનક લકવો થઇ જવાની અનેક ફરિયાદો સાંભળવા મળે છે.
આજ-કાલ લકવો પડવાનાં કિસ્સામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આજના માનસિક તનાવનાં યુગમાં હાઇબ્લડપ્રેશર અને અચાનક લકવો થઇ જવાની અનેક ફરિયાદો સાંભળવા મળે છે. ત્યારે આવા અચાનક હુમલા વખતે શું કરવાથી શરીરમાં વધારો નુકશાન ન થાય અને આવા દર્દીને કેમ સહાયભૂત થઇ શકાય તે પણ પ્રત્યેક માણસે જાણવું જરૂરી છે.
જો લકવાની અસર થતી દેખાતી હોય, દર્દીની બોલવાની રીત બદલાઇ ગઇ હોય, તેનાથી બરાબર બોલી શકાતું ન હોય, બોલતી વખતે તેનું મોં કે આંખ કોઇ એક તરફ ખેંચાતા હોય, બોલતાં-બોલતાં શબ્દો તૂટી જતાં હોય, હાથ કે પગ દર્દીને જૂઠા પડતા લાગતાં હોય કે વજનવાળા લાગતા હોય કે તેમાં ઝણઝણાટી લાગતી હોય, શરીરનું એક અંગ ભારે-ભારે લાગતું હોય, ચાલવામાં કે ઉભા થવામાં પડી જવાતું હોય, કે કોઇ અંગ નબળું પડતું લાગતું હોય, આવા કોઇ પણ ચિહનો અચાનક દેખાતા હોય તો જાણવું કે શરીરે લકવાની અસર થઇ રહી છે.
અથવા તો કોઇ અંગ સાવ જ ખોટું પડી જાય એટલે કે ઓચિંતાનો લકવો પડી જાય તો ડોક્ટરને બોલાવો અને તે આવે ત્યાં સુધીમાં શરીરમાં ઘણું બધું ડેમેજ થઇ જાય, પરંતુ તેનાં તાત્કાલિક ઉપચાર આપણે જાણતાં હોઈએ અને તે કરી લઇએ તો પડેલો લકવા તરત જ પાછો પડી જાય છે. લકવાની થયેલી શરૂઆત અટકી જાય છે અને જેટલી અસર થઇ હોય તે નિવારી પણ શકાય છે.
જે-તે અંગમાં ધીમો થયેલો ર્ર્મ્નગ જીેૅૅનઅ પાછો યથાવત થઇ શકે તે માટે હોસ્પિટલ પહોંચી એ તે પહેલા આત્યાંતિક રીતે કરવાનાં ઉપાયોનું અહીં સૂચન કરું છું :-
લકવાનાં સંજોગોમાં દર્દીને તાત્કાલિક ૫૦ ગ્રામ જેટલું તલનું તેલ પીવડાવી દેવું. આ પ્રયોગથી તુરંત લકવાગ્રસ્ત અંગમાં ફાયદો થાય છે. અનેક દર્દીઓ ઉપર અજમાવેલો આ સફળ પ્રયોગ છે.
દર્દીને હાઇબ્લડપ્રેશર રહેતું હોય તો તેનું માથુ પલંગથી નીચે તરફ ઝુકતું રાખી તેના કપાળમાં ઠંડા પાણીની ધાર કરવી. આંખ-નાકમાં પાણી ન જાય તે રીતે ધાર કરવી.
લસણનો રસ કાઢી, મધ મેળવી દર્દીને પીવડાવી દેવો.
નગોડાના પાનને વાટી તેનો રસ દર્દીને પીવડાવવાથી પણ ફાયદો થાય છે.
લસણને ઝીણું પીસીને પણ મધમાં ચટાડી શકાય.
ઉપરોકત ઉપાયોની સાથે તલના કે સરસીયાના તેલમાં કપૂરની ગોટી નાખી તેલને થોડું ગરમ કરી અસરગ્રસ્ત ભાગ ઉપર માલિશ કરવી.
જો પક્ષાઘાત થયાને ઘણો સમય વીતી ગયો હોય તો તેને મટાડવા માટે પણ આયુર્વેદમાં ખૂબ જ સરળ ઉપાયો બતાવેલાં છે જેમાં,
ખાવામાં તલનાં તેલનો જ દરરોજ ઉપયોગ કરવો.
રોજ સવારે ૧૦ થી ૧૨ ગ્રામ જેટલું તલનું તેલ નરણે પી જવું.
લસણની ચટણી બનાવીને ખાવી.
લસણની કળી મધ સાથે ખૂબ બારીક વાટીને સવારે નરણે ખાવું. જેનાથી લસણની વાસ સહન ન થતી હોય તેણે ઉકળતા પાણીમાં લસણને બોળીને કાઢી લેવું. પછી ઠંડુ કરી તરત તેનો ઉપયોગ કરવો. જેથી લસણ વાસરહિત થઇ જશે.
આ ઉપરાંત આયુર્વેદમાં સ્નેહન-સ્વેદનયુક્ત વિરેચન આ રોગમાં શ્રેષ્ઠ બતાવ્યું છે. આયુર્વેદમાં પક્ષાઘાત થવામાં મુખ્ય દોષ વાયુને કારણભૂત માનવામાં આવેલ છે. જેથી, આ રોગમાં વિશેષ કરીને વાયુને જીતનારી વાતનાશક ચિકિત્સા કરવામાં આવે છે. આ રોગનાં દર્દીએ સૂંઠ અને મેથીનો ઉકાળો દરરોજ પીવો જોઈએ.
આ રોગમાં એકાંગવીરરસ, વાતચિંતામણીરસ, મહારાસ્નાદિ કવાથ વગેરે ઔષધો નિષ્ણાત વૈદ્યની સલાહ મુજબ લેવામાં આવે તો ચોક્કસ ફાયદો થાય છે. આ સિવાય રોગી એ આહાર-વિહારમાં પરેજી રાખવી ખૂબ જરૂરી છે. મગ સિવાયનાં દરેક કઠોળ, ફુલાવર, કોબી, ગુવાર, બટાટા, મેંદાની બનાવટો, ઠંડા પીણા, ઠંડા પાણીથી સ્નાન વગેરેનો ત્યાગ કરવો. પક્ષાઘાતમાં ગલકા, મગ, તુરીયા, માખણ, લસણ, અજમો, પાલખ, તાંદળજો, મમરા, સરગવો, ફળો, ઘઉં, ચોખા, કાચું સલાડ વગેરે પથ્ય છે.
ઉપરોક્ત ઉપાયો સમયસર જો કરવામાં આવે તો પક્ષાઘાતનાં ભયંકર પરિણામોની આડ અસરથી ચોક્કસ બચી શકાય છે.