હર્ષિતા ગૌર: ક્રાઈમ ડ્રામા છોડીને હોરર શૈલીમાં પ્રવેશ

- હર્ષિતા ગૌર માટે અનર્થ એક શૈલીમાં પરિવર્તન ઉપરાંત પુનર્શોધ પણ છે. વર્ષોથી ક્રાઈમ અને સત્તાની ઓળખ સમા ક્ષેત્રમાં કામ કર્યા પછી તે હવે એવા ક્ષેત્રમાં પ્રવેશી રહી છે જ્યાં ભય સમાવિષ્ટ, માનસિક અને ક્યારેક અદ્રશ્ય છે
ઓલગભગ એક દાયકા સુધી હર્ષિતા ગૌર રસપ્રદ ક્રાઈમ સીરીઝ મિરઝાપુરના અડગ અને બહુસ્તરીય પાત્ર ડિમ્પી પંડિતનો પર્યાય બની ચુકી હતી. પૂર્વાન્ચલના અરાજક હાર્દની પૃષ્ઠભૂમિમાં રચાયેલી આ સીરીઝ એવા વિશ્વમાં ગરકાવ હતી જ્યાં હિંસા, સત્તા માટે સંઘર્ષ અને બેબાક ભાવનાઓ પ્રત્યેક ક્ષણને દોરતી હતી. નવ વર્ષ સુધી આ તીવ્ર ક્ષેત્રએ બેશક હર્ષિતાને એક કલાકાર તરીકે ઘડી. છતાં સૌથી મહત્વની ભૂમિકાએ પણ આખરે નવા રચનાત્મક પડકારો માટે જગ્યા કરી આપવી પડે છે, અને ગૌર માટે આ પળ આવી ગઈ છે.
તેનો આગામી પ્રોજેક્ટ 'અનર્થ'થી તેનો ક્રાઈમ ડ્રામાની લોહી નિતરતી ગલીઓમાંથી પારલૌકિક હોરરના અનિશ્ચિત કોરીડોરમાં પ્રવેશ થશે. આ પરિવર્તન તેના મતે તેની કારકિર્દીમાં યોગ્ય સમયે થઈ રહ્યું છે. વર્ષો સુધી વાસ્તવિકતા અને માનવીય સંઘર્ષમાં જડાયેલ પાત્ર ભજવ્યા પછી હવે તે એક અપરિચિત ક્ષેત્રમાં આવી છે. અગાઉ તેણે ક્યારેય હોરર શૈલીમાં કામ નથી કર્યું. આ તક તેના વ્યાવસાયિક અભિગમ તેમજ ટાઈપકાસ્ટિંગથી છેડો ફાડવાની ઈચ્છા સાથે મેળ ખાય છે.
'અનર્થ' તરફ ગૌરને મજબૂત રીતે આકર્ષિત કરનાર બાબત તેની ભય સર્જવાની ક્ષમતા ઉપરાંત તેનું ગાઢ ભાવનાત્મક અને માનસિક હાર્દ છે. એક તરફ દર્શકો ઘણીવાર હોરરને બીક અને આંચકાજનક દ્રશ્યો સાથે સાંકળે છે, જ્યારે ગૌરના તમે આ સીરીઝ માત્ર દેખાવના ડરામણા દ્રશ્યોથી આગળ જાય છે. ગૌરના મતે વાર્તામાં દૈનિક ધોરણે થતા હોરરના અનુભવો સામેલ કરાયા છે જે સામાન્ય જીવનશૈલીની આસપાસ ફરતા શાંત તેમજ અવ્યક્ત ભયના હોય છે. આ વાસ્તવિકતા જ વાર્તાને એક ડરામણો ઓપ આપે છે, તેને પરંપરાગત હોરર ફિલ્મથી કંઈક જુદી બનાવે છે. પરિચિત અને ડરામણી બાબતના આ મિશ્રણે જ તેને પ્રોજેક્ટમાં કંઈક વિશિષ્ટતા હોવાની ખાતરી થઈ.
આ સીરીઝનું દિગ્દર્શન અનન્યા બેનર્જી અને ગૌરવ ચાવલાએ કર્યું છે જેમણે અગાઉ 'અધુરા'માં કામ કર્યું હતું. તેમની કથા કહેવાની સંવેદનશીલતા, ખાસ કરીને હોરર વાર્તાઓમાં માનસિક ઊંડાણ વણી લેવાની તેમની ક્ષમતાએ ગૌરને ખાતરી કરાવી કે તે એક સક્ષમ હાથોમાં જઈ રહી છે. ગૌર વાર્તાની વિગતો વિશે તો મૌન જ રહી છે પણ તેણે કથાનક વિશે સંકેત આપ્યો છે કે ભાવનાત્મક રીતે ઉત્તેજક તેમજ અસ્વસ્થ કરનારી છે.
કાસ્ટની યાદીએ પણ પ્રોજેક્ટમાં વધુ રસ સર્જ્યો છે. ગૌરની સાથે કલ્કી કોએચલીન, ગુલશન દેવિયાહ અને પરમબ્રતા ચટ્ટોપાધ્યાય જેવા પ્રસિદ્ધ કલાકારો હશે. ગૌરએ 'જેહાનાબાદ-ઓફ લવ એન્ડ વોર'માં પરમબ્રતા ચટ્ટોપાધ્યાય સાથે તો કામ કર્યું છે પણ કલ્કી અને ગુલશન સાથે કામ કરવાનો તેનો અનુભવ નવો રહેશે. ગૌર માટે આ નવા સમીકરણે પ્રોજેક્ટની ઉત્તેજનામાં વધારો કર્યો છે અને જેના કારણે તેને નવી અભિનય શૈલીઓ અને રચનાત્મક ઊર્જાનો અનુભવ થઈ શકશે.
ઉપરાંત ડ્રામામાંથી હોરર શૈલીમાં પ્રવેશ કરવા તેણે પોતાના પરફોર્મન્સ અભિગમમાં પણ ફેરફાર કરવો પડયો. ગૌર સ્પષ્ટતા કરે છે કે હોરરમાં કોમેડીની જેમ ટાઈમિંગ અને લય પર ઘણો આધાર રાખવો પડે છે. ક્રાઈમ ડ્રામામાં ભાવનાઓ ધીમે ધીમે છતી થાય છે જેના કારણે કલાકારોને તીવ્રતા ઊભી કરવા સમય મળે છે. બીજી તરફ હોરરમાં ચોકસાઈની જરૂર પડે છે. એક એકલી દ્રષ્ટિ, નાસી છૂટવાનો ભાવ, અથવા ચોક્કસ સમયે સ્થગતિ દ્રશ્યની અસરકારકતા નક્કી કરે છે. દિગ્દર્શકો ઘણીવાર ગૌર પાસે ઓછા પણ અસરકારક પ્રતિસાદ માગતા, જે તેની અગાઉના રોલ મુજબ અતિશ્યોક્તિભર્યા હાવભાવથી વિપરીત હતું.
નિખિલ અડવાની નિર્મિત અનર્થમાં પારલૌકિક રહસ્ય સાથે માનસિક તણાવનું મિશ્રણ કરાયું છે. વાર્તા ગાઢ રીતે ભાવનાત્મક કેન્દ્રની આસપાસ ફરે છે, એક અનાથ બાળક અને એક સંતાનવિહોણી માતા સંજોગોથી ઘેરાયેલા છે જે તેમને સૌથી ડરામણી સ્થિતિનો સામનો કરવા મજબૂર કરે છે. તેમના જીવન પર એક ખતરનાક હસ્તીનો પડછાયો છે, જેની હાજરીથી તેમની સુરક્ષા જ નહિ પણ તેમના અસ્તિત્વ સામે જોખમ ઊભુ થાય છે. આ કથાનક માળખું સૂચવે છે કે આ વાર્તા માનવીય અસહાયતા અને જોડાણ ઉપરાંત ભય અને અસ્તિત્વની લડાઈ બાબતે છે.
હર્ષિતા ગૌર માટે અનર્થ એક શૈલીમાં પરિવર્તન ઉપરાંત પુનર્શોધ પણ છે. વર્ષોથી ક્રાઈમ અને સત્તાની ઓળખ સમા ક્ષેત્રમાં કામ કર્યા પછી તે હવે એવા ક્ષેત્રમાં પ્રવેશી રહી છે જ્યાં ભય સમાવિષ્ટ, માનસિક અને ક્યારેક અદ્રશ્ય છે. આ એક સાહસિક પગલુ છે, પણ તેમાં એક કલાકાર તરીકે વિકસવાની અને પડકારવાની ઈચ્છાનું પ્રતિબિંબ પડે છે. દર્શકો તેનો આ નવો અવતાર જોવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે એક બાબત સ્પષ્ટ છે, ગૌર પરિચિત ક્ષેત્રમાં કામ કરીને સંતુષ્ટ નથી, તે હવે અજાણી ભૂમિકા અને કથાનકોમાં કામ કરવા તત્પર છે, પછી ભલે તે હોરર હોય.









