Magazines

સૌંદર્ય સમસ્યા .

By GS TEAM
19 Jan 20263 mins read
સૌંદર્ય સમસ્યા                                                                    .

- ડેટોલથી  સાફ કર્યા બાદ મારા ચહેરા પર કાળા ધાબા પડી ગયા છે.  મે તે માટે દવા પણ લીધી પરંતુ ફાયદો થયો નહીં. મારી આ સમસ્યાનું નિવારણ કરતા ઉપચાર જણાવશો. 

 હું  ૧૮ વરસની વિદ્યાર્થીની છું, મારા વાળ બૉય કટ છે. આછા છે હવે તે તૂટવા લાગ્યા છે. મારા નખ વધતા નથી, મારો વાન ફિક્કો છે એટલું જ નહીં કાળો પડતો જાય છે. મેં વિવિધ કંપનીના ક્રિમ અને ફૅસ વૉશ ઉપયોગ કર્યો પરંતુ ફાયદો થયો નહીં. મારા આ સમસ્યાઓના નિવારણ કાજે ઉપચાર જણાવશો 

- એક યુવક (ભુજ)

* ઘણી વખત વાળ કુદરતી જ આછા-પાતળા હોય છે, પરંતુ વાળ તૂટવાના ઘણાં કારણો હોય છે. જેમ કે કુપોષણ વાળમાં ખોડો ઈન્ફેક્શન. તેથી પ્રથમ તમે કારણ જાણી લો. નખ તૂટવા તથા વાન કાળો પડતો જવો  એ નિર્દેશ કરે છે કે તમારો આહાર સમતોલ નથી. રોજિંદા ભોજનમાં વિટામિન તથા ખનિજનું પ્રમાણ ઓછું હશે. તમારા રોજિંદા આહારમાં સલાડ, મોસમી ફળ, દૂધની બનાવટ, કઠોળ, દાળનો સમાવેશ થવો જોઈએ. ફક્ત ક્રિમ અને ફૅસ વૉશથી ફાયદો થશે નહીં.  વાળમાં ભૃંગરાજ અથવા જૈતુનનું તેલ લગાડવું.

હું ૧૭ વરસનો યુવક છું, મારા વાળ રૂક્ષ તથા વાંકોડિયા છે.  દિવસના બે વખત હું વાળ ધોઉં છું. પરંતુ સીધા કે મુલાયમ થતા નથી. મારી આ સમસ્યાનું નિવારણ જણાવશો.

- એક યુવક (ગુજરાત)

તમને એવી સલાહ કોણે આપી કે વાળ ધોવાથી તે સીધા તથા મુલાયમ થાય? વાળની નિયમિત કાળજી રાખવી જરૂરી છે.

તમે તમારા વાંકોડિયા વાળને સાવ સીધા નહીં કરી શકો. પરંતુ અઠવાડિયે બે વખત એરંડિયું અને કૉપરેલ ભેળવી વાળમાં નાખવું. બે ઈંડા, એક ચમચી મધ, બે-બે ચમચી આમળા, અરીઠા, મેથીનો પાવડર ભેળવી વાળમાં લગાડી ૩૦ મિનિટ રહેવા દેવું. રૂક્ષ વાળ માટેના શેમ્પૂથી વાળ ધોઈ નાખવા. અઠવાડિયે બે વખત પેક લગાડવાથી ફાયદો થશે.

હું ૪૪ વરસની ગૃહિણી છું. મારી ત્વચા તૈલીય હતી. પરંતુ થોડા સમયથી તે રૂક્ષ થતી તથા લબડી પડતી જણાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો. 

- એક મહિલા (મુંબઈ)

* વય વધતા ત્વચામાંની ગ્રંથિમાંથી ઝરતાં તેલનું પ્રમાણ ઓછું થવાથી આ પ્રકારની સમસ્યા ઉદ્ભવે છે. જેમ શરીરને પોષણ જરૂરી છે તેમ ત્વચાને પણ પોષણ મળવું જોઈએ. હવે ત્વચાને બાહ્ય પોષણની જરૂરિયાત છે. અઠવાડિયામાં બે વખથ ઘરે બનાવેલ  પેક લગાડો. એક ચમચી ચણાનો લોટ, એક ચમચી તાજું ક્રિમ, થોડાં ટીપાં લીંબુનો રસ અને એક ચમચી ઘઉંનું  થૂલું ભેળવી ચહેરા, તથા ગરદન પર લગાડી ૨૦ મિનિટ રહેવા દો. સુકાઈ જાય બાદ રૂના પૂમડાને દૂધમાં ભીંંજવી રૉટેટિંગ મેનરમાં કાઢતા જવું. પહેલાં દૂધથી અને પછી પાણીથી ચહેરો ધોવો. રાતના સૂતી વખતે એક કપ હુંફાળું દૂધ પીવું.

હું ૨૪ વરસની યુવતી છું, શિયાળામાં રાઈના તેલથી મસાજ કરવાથી મારા શરીરે રેશિષ થઈ જાય છે. મારી માતા નું કહેવું છે કે રાઈના તેલની મને એલર્જી થતી હશે. રાઈના તેલથી  તકલીફ થવાનું સાચું કારણ શું હશે તે જણાવશો.

- એક યુવતી (વડોદરા)

* રાઈનું તેલ ગરમ હોય છે. તેથી સંવેદનશીલ ત્વચા પર તેની વિપરીત અસર થવાની શક્યતા છે. તમે કૉપરેલ અથવા સીંગ તેલથી માલિશ કરો. તલનું તેલ પણ ફાયદાકાક છે. 

- જયવિકા આશર