'જહ્નુસુતા, પાપહર્તા, મોક્ષદાતા-મા ગંગાની જયંતી' 'ગંગામૈયાની પાવન પૂજાનું પુનિત પર્વ-ગંગા સપ્તમી'

વૈશાખ સુદ સાતમ એટલે જહ્મુસુતા, પાપહર્તા, મોક્ષદાતા મા ગંગાની જયંતી છે, તેથી હર હર ગંગે ! જય મા ગંગે ! જય જયકારા'નો જયઘોષ કરી આત્મચેતના જાગૃત કરીએ, હૈયામાં દૈવી અનુભૂતિ પ્રગટાવીએ, મનને શુધ્ધ કરી, અંતરમાં આનંદ પ્રગટાવીએ.
ગંગામૈયા માત્ર નદી નથી, પરંતુ પ્રકાશનું, પ્રગતિનું આસ્થાનું, શ્રદ્ધાનું તથા સમૃધ્ધિનું પ્રતીક છે. ગંગોત્રીથી પ્રારંભ કરી ગંગાસાગર સુધી ગંગામૈયાનું શુદ્ધ તથા પવિત્ર જળ માનવસમાજનું શ્રેય કરી આત્મિક શાંતિની દિવ્યાનુભૂતિ કરાવે છે. ગંગામૈયાનું હિલોળા લેતું જળ મનોહર લાગે છે. આત્મામાં બેમિસાલ ખુશીની તથા આનંદની અનુભૂતિ કરાવે છે. મા ગંગાના સમગ્ર કિનારા પર વસેલાં આધ્યાત્મિક સ્થળો જેવાં કે, દેવપ્રયાગ, હરિદ્વાર, ઋષિકેશ, વારાણસી (બનારસ-કાશી) પ્રયાગરાજ (ત્રિવેણી સંગમ) વગેરે શિરોમણીરૂપે અતિ દિવ્યભવ્ય રીતે શોભી રહ્યાં છે, ગંગામૈયાએ તેમને તીર્થસ્થાનો તથા યાત્રાના ધામો બનાવીને માનવજીવનને ધન્યતાનો, દિવ્યતાનો, ભક્તિનો તથા અલૌકિક આનંદનો આધ્યાત્મિક માર્ગ બતાવેલો છે. તે સઘળાં તીર્થસ્થળો ગંગામૈયાના કિનારે ઝળહળે છે, કાંઠાને સુશોભિત કરે છે, ગંગામૈયાના જળપ્રવાહમાં વહેતા દીવડાઓ પણ અદ્ભૂત સૌંદર્યનો વિશિષ્ટ આધ્યાત્મિક નજારો સર્જે છે, તથા સુંદર આરતીનો ઘંટરાવ પણ અકલ્પનીય આનંદ આપે છે. પ્રકૃતિ તથા સંસ્કૃતિના નજારાથી આપણું મન હરખાય છે. ખરેખર આ દીપદાનના તથા આરતીના ઘંટારવને મનોભાવથી માણશું તો પણ આપણને અનેરો આનંદ થશે, તથા ઉલ્લાસ અનુભવશું. તીર્થસ્થાનોની તથા શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થતાં મન શુધ્ધ થશે, શાંતિ, સુખ, સમૃધ્ધિ તથા પ્રેરણા નિષ્પન્ન થતાં ચેતના અને સુષુપ્ત શક્તિ જાગૃત થશે.
સંક્ષેપમાં ગંગામૈયા પ્રત્યક્ષ માતા છે, માતાજીનું વાહન મગર છે, તેના ઉપર સવાર થઈને સમગ્ર ધરતી ઉપર વિચરણ કરે છે, મા ગંગાને શુદ્ધિની ક્ષમાની તથા પવિત્રતાની કેવી તરીકે પૂજવામાં આવે છે, કલા, સંગીત, સાહિત્ય તથા યોગના સુંદર કેન્દ્રો ગંગામૈયાના કાંઠે ધમધમે છે, કાર્યરત છે. જેથી વિચાર, આચરણ તથા વ્યવહારની શુધ્ધિ પ્રગટે છે.
- દિનેશ.એલ.જોષીપુરા








