Magazines

સૂરીલો સંઘર્ષ, સોનેરી સફળતા, અકાળે સૂર્યાસ્ત...!

By GS TEAM
23 Apr 20264 mins read
સૂરીલો સંઘર્ષ, સોનેરી સફળતા, અકાળે સૂર્યાસ્ત...!

- સિને મેજિક- અજિત પોપટ

- વસંત દેસાઈ (1912 -1975)

- ભારતીય સંગીતમાં વર્ષાઋતુને બિરદાવતો રાગ મલ્હાર છે. ધરતી પરનો કચરો દૂર કરે એ મલ્હાર. વસંત દેસાઇએ 'દો આંખેં બારહ હાથ'ના એક ગીત માટે રાગ મેઘ મલ્હાર પર આધારિત તર્જ તૈયાર કરેલી. 

માણસ ધારે છે કંઇક અને થાય છે કંઇક! ૧૯૭૪ના ઉત્તરાર્ધમાં આ લખનારે સામયિકી પત્રકારત્વ છોડીને દૈનિક પત્રકારત્વ શરૂ કર્યું ત્યારે મનમાં શેખચલ્લી જેવા કિલ્લા હતા કે ફિલ્મ સંગીતના દાદુ સર્જકોને મળીને એમની સર્જનકલા વિશે લખવું. પરંતુ હાય રે વિધાતા, આવો નિશ્ચય કર્યો ત્યારે એ રહસ્યમય મલકતી હતી. ૧૯૭૫નું વર્ષ માત્ર આ લેખક જ નહીં, ફિલ્મ સંગીતના કરોડો રસિકો માટે આઘાતજનક નીવડયું. યમરાજે એમાંય હેટ્ટ્રીક કરી. ન માનતા હો તો વાંચો- ત્યારના વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ ૧૯૭૫ના જૂનની ૨૫મીએ કટોકટી લાદી અને જુલાઇની ૧૪મીએ સંગીતકાર મદન મોહને ચિરવિદાય લીધી. એના આઘાતની કળ વળે ત્યાં એ જ વરસે ઓક્ટોબરની ૩૧મીએ  એસ.ડી. બર્મને અલવિદા કહી દીધું. કટોકટીના ૨૦ મુદ્દાને લગતા કોંગ્રેસના પ્રચારગીતનું રેકોડગ કરીને પાછા ફરેલા સંગીતકાર વસંત દેસાઇની કસરતી કાયા એમના ફ્લેટવાળા મકાનની લિફ્ટના બે લોખંડી દરવાજા વચ્ચે ભીંસાઇ ગયું. એ કમનસીબ દિવસ હતો ડિસેમ્બરની ૨૨મી. આમ માત્ર છ માસના ગાળામાં મહાકાળે ત્રણ ત્રણ દાદુ સંગીતકારોને આપણી વચ્ચેથી ઉપાડી લીધા. આપણે વાત વસંત દેસાઇના સંગીતથી સજેલાં ગીતોની કરવાની છે.

વી. શાંતારામની ફિલ્મ 'દો આંખેં બારહ હાથ'ના 'અય માલિક તેરે બંદે હમ...' ગીતથી આપણે વાતનો ઉપાડ કરેલો. એ જ ફિલ્મના સંગીતની વાતથી સૂરયાત્રા આગળ વધારીએ. સૌથી પહેલી સલામ તો વી. શાંતારામને. લોકનાયક જયપ્રકાશ નારાયણની હાકલને માન આપીને સમાજ સામે બહારવટે ચડેલા બાગી ડાકુ માધોસિંઘ, મોહરસિંઘ વગેરે આત્મસમર્પણ કરવાના હતા એવી ચર્ચા ચાલી રહી હતી. જેપીએ એક સૂચન કરેલું કે આ લોકોને ખુલ્લી જેલમાં રાખવા. 

એ વિચારને ઝડપી લઇને વી. શાંતારામે આ ફિલ્મ 'દો આંખેં બારહ હાથ' બનાવેલી. ખૂંખાર કેદીઓને ખુલ્લી જેલમાં રાખવાના એક પોલીસ અધિકારીના રોલમાં ખુદ શાંતારામ પોતે પરદા પર હાજર થયા હતા. ખુલ્લી જેલનું શૂટિંગ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના અતપડી તાલુકામાં થયેલું. એ સમયે આ વિસ્તાર સતારા જિલ્લાના ઔંધ રિયાસતના સ્વતંત્રપુર નામની ખુલ્લી જેલ તરીકે જાણીતો હતો. પ્રસિદ્ધ મરાઠી સાહિત્યકાર ગ. દી. માડગુળકરે ફિલ્મની કથા લખી હતી. આ ફિલ્મને આઠમા બલન ફિલ્મ ફેસ્ટિવલમાં રજત બેર ઉપરાંત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળેલો અને સાઉથની તમામ ભાષા તમિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં આ ફિલ્મનું પુનર્સર્જન થયેલું.

ગીતો ભરત વ્યાસનાં અને સંગીત વસંત દેસાઇનું હતું. 'અય માલિક તેરે બંદે હમ' એકવાર લતાના કંઠમાં, બીજીવાર ખુદ વી. શાંતારામના કંઠમાં અને ઔર એકવાર ફક્ત કોરસના સ્વરમા્ં રજૂ થયેલું. આમ આ ગીત થીમ સોંગ જેવું બના રહેલું. બીજાં જે ત્રણ-ચાર ગીતો હતાં એની વાત હવે કરીએ ખુલ્લી જેલમાં વિવિધ ઋતુઓ વચ્ચે કેદીઓ પસાર થાય છે એ સૂચવતાં દ્રશ્યોમાં એક સીન વર્ષાઋતુનું પણ હતું. ભારતીય સંગીતમાં વર્ષાઋતુને બિરદાવતો રાગ મલ્હાર છે. મલ હારયતિ ઇતિ મલ્હાર એટલે કે ધરતી પરનો કચરો દૂર કરે એ મલ્હાર. વસંત દેસાઇએ આ પ્રસંગે રાગ મેઘ મલ્હાર પર આધારિત તર્જ તૈયાર કરેલી. લતા મંગેશકર અને મન્ના ડેના સ્વરોમાં થયેલું એ ગીત એટલે 'હો ઉમડ ઘુમડ કર આઇ રે ઘટા કારે કારે બદરા કી છાયી રે છટા, સનન સનનન પવન કા લગા રે તીર, બાદલ કો ચીર નીકલા રે નીર નીકલા રે નીર...' પરદા પર આ ગીતે વિવિધ લયવાદ્યો દ્વારા જે ગડગડાટ સર્જ્યો હતો એ અદ્ભુત હતો.

આમ જુઓ તો આ ફિલ્મમાં હિરોઇન માટે કોઇ ખાસ મહત્ત્વ નહોતું, પરંતુ શાંતારામે પોતાની પત્ની અને ત્યારની આગેવાન અભિનેત્રી સંધ્યાને ફિલ્મમાં લીધેલી. બાળકો માટે વાયોલિન કે રાવણહથ્થા જેવું રમકડું આવે છે એ તમે કદાચ જોયું હશે. આજના બાળકોને એવાં રમકડાં હવે જોવા નહીં મળે. એવો રમકડાનો રાવણહથ્થો લઇને સંધ્યા એક ગીત પરદા પર છેડે છે. એ ગીત સંગીતકારે સેમી ક્લાસિકલ સંગીતમાં વપરાતા  રાગ પીલુ અને કાફીના .સંયોજનથી તૈયાર કરેલું. એના શબ્દો હતા- 'સૈયાં જૂઠોં કા બડા સરતાજ નીકલા, મુઝે છોડ ચલા, મુખ મોડ ચલા, દિલ તોડ ચલા, બડા ધોખેબાજ નીકલા...' આ ગીતમાં તાલ કહરવાનો ખાસ વજન દ્વારા અલગ રીતે ઉપયોગ કરાયો હતો.

એક પ્રયોગ શાંતારામે થોડી જુદી રીતે કર્યો હતો. ગમે તેવી મુશ્કેલી વચ્ચે પણ સ્વસ્થ રહેવું, ડરવું નહીં, શાંતિથી એનો સામનો કરવો એવું સૂચવતું એક મોટિવેશનલ ગીત હતું. આ ગીત કોઇ પુરુષ કંઠમાં લઇ શકાયું હોત એવો અભિપ્રાય એ સમયે રજૂ થયેલો. પરંતુ સંધ્યાના પાત્રને પૂરતું ફૂટેજ મળી રહે એવા હેતુથી આ ગીત લતાના કંઠમાં લીધું હતું. એનું મુખડું હતું- 'આઓ આઓ હોનહાર ઓ પ્યારે બચ્ચે, પ્યારે બચ્ચે, ઉમર કે કચ્ચે, બાત કે સચ્ચે, જીવન કી એક બાત બતાઉં, મુસીબતોં સે ડરો નહીં, બુઝદિલ બન કે મરો નહીં...'

સેમી-ક્લાસિકલ સંગીતમાં વપરાતા રાગ કાફી સાથે ભીમપલાસીનું સંયોજન કરીને એક સરસ લોરી (હાલરડું) લતાના કંઠે વસંત દેસાઇએ રેકોર્ડ કરેલું. એ લોરી આજ સુધી લોકો યાદ કરે છે. 'મૈં ગાઉં રે તૂ ચૂપ હોજા, મૈં જાગું રે તૂ સો જા...' એમ કહેવાય છે કે આ ગીત એ સમયે એટલેકે ૧૯૫૦ના દાયકામાં મહારાષ્ટ્રમાં ઘેર ઘેર સંભળાતું રહ્યું હતું. છેલ્લાં બંને ગીતો સંધ્યા પર ફિલ્માવાયાં હતાં. 

વી. શાંતારામ અને વસંત દેસાઇ બંનેનો એ સુવર્ણકાળ હતો. આ બંનેએ ભારતીય ક્લાસિકલ સંગીત પર આધારિત ઘણાં યાદગાર ગીતો આપ્યાં. હવે પછી એક કે બાદ એક એમ આ ગીતોનો આસ્વાદ માણીશું.