Magazines

સારાં કામોથી સ્થાન, રાજ્યાસન, પદવી ટકી રહે છે

By GS TEAM
19 Nov 20252 mins read
સારાં કામોથી સ્થાન, રાજ્યાસન, પદવી ટકી રહે છે

- ઈશ્વરે બધાને રાજા બનાવ્યા નથી. પરંતુ જુદી જુદી જવાબદારીઓ, કૃપાદાનો અને સેવાઓ સુપ્રત કરાયેલી છે અને એવું કરવા માટે ઉચિત સ્થાનો નિર્ધારિત કરાયેલાં છે. પારકી પંચાતોમાં પડયા વગર તેમાં નિષ્ઠાપૂર્વક સંલગ્ન રહેવું એ આપણી ફરજ છે

''ખરાબ કામો કરવાથી રાજાઓને કંટાળો આવે છે; કેમ કે નેકીથી રાજ્યાસન સ્થિર રહે છે.'' (આધારસૂત્ર)

રાજાઓનું ખુમ્ય કામ શાસન કરવાનું હોય છે. જો સુશાસન ચલાવવાનું હોય તો રાજાએ રાજ્યને લગતાં કામો નેકીપૂર્વક કરવાનાં હોય છે. જો રાજા ખરાબ કે અનીતિનાં કામો કરવાથી અલિપ્ત રહે તો જ તેનું રાજ્યાસન સ્થિર અને સુસંસ્થાપિત રહે છે. એવું ચોટદાર મંતવ્યો દર્શાવેલા આધારસૂત્રમાં મહાજ્ઞાાની સોલોમને વ્યક્ત કરેલું છે. આ કોઈ હુકમનામું નથી પણ પોતાના અનુભવો અને જ્ઞાાનનો નીચોડ તેણે દર્શાવેલો છે. તેણે લોકોપયોગી સારાં કામો કર્યા તેથી ઈઝરાયલના તૃતીયરાજવી તરીકે તે લોકપ્રિય રાજા તરીકે વિખ્યાત થઈ ગયો. વળી એના સામ્રાજ્યમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ વ્યાપેલી હતી.

આપણે આપણાં ગૃહો, પરિવારો, વિશ્વાસી સમૂદાયો, સમાજ અને જે ક્ષેત્રોમાં આપણી વ્યાવસાયિક ફરજો બજાવીએ છીએ તે સ્થળોમાં ખરાબ કે અનીતિવાળાં કામ પરત્વ અણગમો રાખવાની જરૂર છે. એવાં કામ કરવાથી જોજનો જેટલે છેટે રહેવાની જરૂર છે. જો આપણાં વર્તન વ્યવહાર આ પ્રકારનાં હશે તો જેને રાજ્યાસન કહી શકાય એવાં આપણાં પદો પર આપણે સ્થિર રહી શકીશું. સાચી સેવા કરવામાં આગળ વધી શકીશું અને અપણાથી લોકોનો સહકાર અને પ્રેમ સંપાદન કરી શકાશે.

જો રાજાને તેનું સિંહાસન સંભાળી રાખવા માટે સારાં કામ સહાયભૂત થઈ શકતાં હોય તો આપણને પણ આપણાં વિવિધ કક્ષાનાં સ્થાન સાચવી રાખવામાં સહકૃત્યોનો સહયોગ મળી રહેશે એ ખાતરીપૂર્વકની બાબત છે.

ઈશ્વરે બધાને રાજા બનાવ્યા નથી. પરંતુ આપણામાંના ઘણાને જુદી જુદી જવાબદારીઓ, કૃપાદાનો અને સેવાઓ સુપ્રત કરાયેલી છે. અને એવું કરવા માટે ઉચિત સ્થાનો નિર્ધારિત કરાયેલાં છે. પારકી પંચાતોમાં પડયા વગર જે સ્થાનો આપણને હાથ લાગેલાં છે. તેમાં નિષ્ઠાપૂર્વક સંલગ્ન રહેવું એ આપણી ફરજ છે.

આતો અજાયબ જેવી બાબત છે કે લશ્કરો, યુધ્ધો કે શસ્ત્રો રાજ્યાસનને ટકાવી શકતાં નથી. પણ નીતિથી કરેલો રાજવ્યવહાર તેને સ્થિર કરે છે.

એવી જ રીતે આપણે આપણાં ગ્રહો, કુટુંબો, સમાજ, ધર્મક્ષેત્રો અને કાર્યક્ષેત્રોને સદકૃત્યોથી ટકાવી રાખીએ.

- સુરેન્દ્ર આસ્થાવાદી