રત્નાગિરી પાસે ગેસ ટેન્કર- મિની બસની ટક્કર : 30 શિક્ષકો ઘાયલ : ગૌશાળા સળગતાં પશુઓનાં મોત
ગેસ લીકેજ થતાં આસપાસનાં મકાનો, શેડમાં આગ, કેરીનું કન્ટેનર સહિતનાં વાહનો સળગ્યાં
બસ 40 ફૂટ ઊંડી ખીણમાં ગબડી, ટેન્કર પણ પલ્ટી ખાઈ ગયું, ગેસ લીકેજ બાદ મુંબઈ-ગોવા હાઈવે કલાકો બંધ કરાવાયો : આસપાસનાં મકાનો ખાલી કરાવાયાં
વિગત મુજબ, આ અકસ્માત આજે સવારે આઠ વાગ્યાની આસપાસ થયો હતો. જેમાં રત્નાગીરી તરફ જઈ રહેલા એક એલપીજી ગેસ ટેન્કરે ચિપલુણથી રત્નાગીરી તરફ આવી રહેલી મીની બસને પાછળથી ટક્કર મારી હતી. આ મીની બસમાં સવાર તમામ શિક્ષકો ટ્રેનિંગ માટે રત્નાગીરી જઈ રહ્યા હતા.જોરદાર ટક્કરને કારણે મીની બસ મુંબઈ- ગોવા હાઈવે પર નિવાલી ઘાટ નજીક ૪૦ ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
ટેન્કર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા આગળ જતા વાહન હાઈવેની બાજુમાં રહેલ એક પશુના વાડામાં ટકરાતા પલ્ટી ખાઈ ગયું હતું. આ સમયે ટેન્કર અથડાતા જોરદાર અવાજ થતા બાજુમાં રહેલ ઘરમાંથી આઠ લોકો તરત જ બહાર નીકળી ગયા હતા. આ સમયે ટેન્કરમાંથી ગેસ લીકેજ થતા હવામાં ફેલાઈ જતા આગ ફાટી નીકળી હતી. આ આગને કારણે હાઈવેની લગોલગ આવેેલી ગૌશાળામાં આગ લાગી હતી. અહીં ઘાસનો જથ્થો સંઘરાયેલો હોવાથી આગ તરત પ્રસરી હતી અને તેમાં કેટલાંક પશુનાં મોત નીપજ્યાં હતાં. પશુઓના વાડાની બાજુમાં રહેલ ઘર, કેરીના બાગમાં અને હાઈવે પર પાર્ક કરેલ ફોર વ્હીલર, રિક્ષા અને અન્ય વાહનોમાં ફેલાઈ ગઈ હતી. કેરીના બાગમાં સંઘરાયેલી કેરીઓ ઉપરાંત કેરી ભરેલું કેન્ટેર પણ આગમાં સ્વાહા થયાં હતાં.
ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગ, પોલીસ અને ઈમરજન્સી સેવાઓની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવકામગીરી શરુ કરી હત અને ખીણમાં પડેલી બસમાંથી તમામ ઘાયલોને સફળ રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હાત.આ બાદ પોલીસે સલામતીના કારણોસર આખો વિસ્તાર ખાલી કરાવ્યો હતો અને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. આ બાદ ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લીધો હતો અને તમામ અસરગ્રસ્ત વાહનોને હાઈવે પરથી દૂર કરવામાં આવ્યા હતા.
આ ઘટનાને કારણે મુંબઈ- ગોવા નેશનલ હાઈવે પરનો ટ્રાફિક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. હાઈવેની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. શનિ-રવિની રજાઓ વખતે આ હાઈવે પર આમપણ ભારે ટ્રાફિક જોવા મળતો હોય છે. આ અકસ્માતને કારણે મુંબઈ- ગોવા હાઈવેની બંને બાજુની લેન સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. જેથી વાહનોને પાલી સંગમેશ્વર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.
આ બાદ બપોરે બે વાગ્યાની આસપાસ ટ્રાફિક પોલીસે અહીંનો ટ્રાફિક પુર્વવત કર્યો હતો.
બસ દુર્ઘટનાથી શિક્ષક સંગઠનોમાં આક્રોશ
મુંબઈ : રત્નાગિરીમાં બનેલી બસ દુર્ઘટનામાં ૩૦ જેટલાં શિક્ષકો ઘાયલ થયા બાદ શિક્ષક સંગઠનોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. સિનીયર ગ્રેડ અને પે સ્કેલ માટેની ટ્રેનિંગમાં આ બસ જઈ રહી હતી. તેમાં આ વર્ષે પહેલી વાર એનસીઈઆરટી દ્વારા દર કલાકે શિક્ષકોની હાજરી લેવાઈ રહી છે અને પાંચ મિનીટ પણ મોડા પડે તો શિક્ષકોને ટ્રેનિંગમાંથી બાકાત કરવામાં આવશે, એવા ફતવાને કારણે શિક્ષકો જાણે કેદી હોય તેવું વર્તન તેમની સાથે થઈ રહ્યું છે, એવો આક્રોશ પણ વિવિધ શિક્ષક સંગઠનોએ વ્યક્ત કર્યો છે. શિક્ષક સંગઠનોએ ઘાયલ શિક્ષકોને પૂરતી સારવાર મળી રહે અને ચોક્કસ વળતર આપવામાં આવે તેવી માગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટ્રેનિંગ માટે લઈ જવાતા શિક્ષકો માટે પૂરતી વાહન વ્યવસ્થા થવી જોઈએ. એક મિની બસમાં ૩૦ શિક્ષકોને ખીચોખીચ બેસાડયા હતા તેમાં ૧૬ પુરુષો તથા ૧૪ મહિલાઓનો સમાવેશ થતો હતો.