અણમોલ છે આશીર્વાદ .
આશીર્વાદ દેવામાં આવે છે પરંતુ એકલવ્યે ગુરૂ દ્રૌણાચાર્ય પાસે ધર્નુવિદ્યા શીખીને આશીર્વાદ માગ્યા હતા.
આ પણી પ્રથા અને પરંપરામાં આશીર્વાદનો મહિમા અણમોલ છે. માતા-પિતા-વડીલો તેમનાં સંતાનોને આશીર્વાદ આપતાં હોય છે. સાસુ પોતાની વહુને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપે છે તો હિન્દી ભાષી રાજ્યોમાં વહુને દુધો ન્હાઓ, પુતો ફલો નો આશીર્વાદ અપાય છે. તો પહેલાના જમાનામાં વહુને 'પુત્રવતી ભવ' જેવો આશીર્વાદ પણ અપાતો હતો.
લગ્ન સમયે વર-કન્યાને મંડપમાં સગાં, સ્નેહી તથા મિત્રો પુષ્ટવર્ષા કરીને શુભેચ્છાઓ પાઠવે છે. ઉપસ્થિત પરિવારના વડીલો નવદંપતિને આશીર્વાદ આપે છે. બાળકોને પરીક્ષામાં સફળતા માટે આશીર્વાદ આપવામાં આવે છે, યજ્ઞ, યાગાદિ, કથા, સપ્તાહ કે શુભ પ્રસંગ સંપન્ન થયા બાદ યજમાનને બ્રાહ્મણો કે કર્મકાંડીઓ આશીર્વાદ આપે છે.
લગ્ન સમયે વિદાય થતી કન્યા તેના માતા-પિતા, વડીલોના આશીર્વાદ લે છે તે જ પ્રમાણે લગ્ન બાદ ગૃહપ્રવેશ સમયે વડીલોના ચરણ સ્પર્શ કરીને પછી આશીર્વાદ લે છે.
આશીર્વાદ મોટાં કે વડીલો જ આપે તેવું નથી. નાની બહેન વીરપસલી સમયે મોટા ભાઈને આશીર્વાદ આપે છે. ઉંમરમાં નાના લોકો પણ આશીર્વાદ આપતા હોય છે. વડીલો પિતૃઓ કે મા-બાપના આશીર્વાદ હંમેશાં ફળે છે. અંતરમાંથી દીધેલા આશીર્વાદ હંમેશાં ફળતા હોય છે.
સાંઈબાબા કે અન્ય દેવી-દેવતાઓના ફોટા કે ચિત્રોમાં અન્ય હાથોમાં શસ્ત્ર હોય છે. તો એક હાથ વરદ કે વરદાન આપતો હોય છે. ગંગાજીનું પૃથ્વી પર અવતરણ તે મોટા આશીર્વાદ છે. કુદરત કે વરસાદ ખેડુતોને પાણી પુરૂં પાડે છે તે ખેતી માટે આશીર્વાદ સમાન હોય છે.
શ્રી હનુમાનજીને પ્રભુ શ્રીરામના આશીર્વાદ હતા તો શ્રી કૃષ્ણને ગુરૂ સાંદીપનીના આશીર્વાદ હતા. શ્રી કૃષ્ણના આશીર્વાદ પાંડવો પર હતા તો શબરી અને અહલ્યાએ રામજીને આશીર્વાદ આપેલા.
આશીર્વાદ દેવામાં આવે છે પરંતુ એકલવ્યે ગુરૂ દ્રૌણાચાર્ય પાસે ધર્નુુવિદ્યા શીખીને આશીર્વાદ માગ્યા હતા.
શ્રી તુલસીકૃત સુંદર કાંડમાં કેટલીક પંક્તિઓમાં આશિષ શબ્દનો ઉલ્લેખ છે. આ આશિષ એટલે જ આશીર્વાદ, ઉદાહરણ તરીકે.
આશિષ દેહી ગઈ સો હર્ષી ચલેઉ હનુમાન
2) આશિષ દીન્હી રામપ્રિય જાના, હોઉ તાત બલ શીલ નિધાના 3) નાથ નીલ નલ કપિ દો ભાઈ લરીકાઈ રિષિ આશિષ પાઈ.
આપણે ત્યાં કોઈ પણ વ્યકિતનો જન્મ દિવસ હોય તેને શતં જીવન શરદ : નો આશીર્વાદ અપાય છે. શુભ પ્રસંગે મંગલ વિદાય સમયે 'શિવાસ્તે પન્થાનઃ નો આશીર્વાદ આપવામાં આવે છે. કેટલીક વખત કોઈ જાહેર કાર્યક્રમ સમયે મુખ્ય મહેમાન, સંત કે ઉપસ્થિત વડીલો આશીર્વચનના બે બોલ કહેતા હોય છે.
ઋગ્વેદમાં પણ કહ્યું છે, મધુર મધુર પવન વાય, નદીઓ મધુર રીતે વહેતી રહે. એક ખુબ જ જાણીતો શ્લોક પણ છે.
ભંદ્ર કર્ણેભિ : શ્રુણુયામ દેવા ભદ્રં યશ્યેમાક્ષિમિર્યજ્ત્રા ।
અન્ય શ્લોક છે : સર્વત્ર સુખિન : સન્તુ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ માકશ્વિત ટુઃ શ્રાપ્તુયાત્ ।।'
ચારેય દિશામાંથી સુંદર વિચારો પ્રાપ્ત થાઓ, સર્વે લોકો સુખી થાય, સર્વે નિરામય રહે, સહુ સારૂં જોવે, બોલે, સાંભળે. મધુવાતા ઋતાયતે, મધુ ક્ષરન્તિ સિંધવ ।।
આમ માનવજીવનમાં આશીર્વાદ ખુબ જ ઉપયોગી છે તથા તેનો અનન્ય મહિમા છે.
- ભરત અંજારિયા