Get The App

પતિ - પત્ની વચ્ચેનો વિવાદ

સેકસના સેતુથી સંઘર્ષ ટાણો

Updated: Oct 21st, 2019

GS TEAM

Google News
Google News
પતિ - પત્ની વચ્ચેનો વિવાદ 1 - image


વાતમાં કંઈ દમ નહોતો. એ દિવસે વિકાસના શર્ટ ઉપર અર્પિતાની શરતચૂકથી એક ડાઘ પડી ગયો. વિકાસને બીજા દિવસે એ શર્ટ પહેરવું હતું. અર્પિતાએ જો કે ખૂબ મહેનત કરીને શર્ટ ધોયું ખરું, પરંતુ ડાઘ સાવ જ ન ગયો. બસ, વિકાસ પત્ની પર ઊકળી ઊઠયો, ''કોઈ કામ ઢંગથી કરતા તને આવડતું નથી.  

તકેદારી રાખવાનું  તને કોઈએ શીખવ્યું છે કે નહીં?'' જવાબમાં  અર્પિતા પણ પાછળ ન પડી અને બોલાચાલી વધી પડી. પરિણામે વિકાસ નાસ્તો કર્યા વિના ઓફિસે ચાલ્યો ગયો. સાંજે અર્પિતાએ તેને મનાવવાનો પ્રયાસ કર્યો પણ એ તો મોં ચડાવીને જ બેસી રહ્યો, કોઈ બાબતનો કશો જવાબ નહીં આપ્યો. આમ સતત બે-ત્રણ દિવસના અર્પિતાના પ્રયાસો પછી પણ વિકાસે નમતું ન જોખ્યું ત્યારે મનોમન તેને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે નક્કી કર્યું કે એ હવે વધારે મનામણાં નહીં કરે.

ઝઘડો થયાને દસ દિવસ વીતી ગયા હતા. એક જ છત હેઠળ એક જ ઓરડામાં અને એક જ પલંગ ઉપર બંને સૂતાં, પણ જાણે  બંને એકબીજાથી માઈલો  દૂર હોય  તેમ લાગતું હતું. વિકાસ ફરતા પંખાને તાકી રહેતો ત્યારે અર્પિતા દીવાલ તરફ મોઢું ફેરવીને આંખો બંધ રાખીને પડી રહેતી વિકાસને હવે મનોમન પસ્તાવો થતો હતો કે શા માટે એક નાની વાતનું તેણે આટલું વતેસર કરી નાખ્યું? ચાલો, હવે જે થઈ ગયું તે થઈ ગયું. જો કે, અર્પિતાએ તો તેને મનાવવાનો પ્રયાસ કર્યો જ હતો, પરંતુ હવે તેને કેવી રીતે મનાવવી? ને નહીં મનાવાય તો આવું કોણ જાણે કેટલાક દિવસ સુધી ચાલશે? છેવટે વિકાસથી ન રહેવાયું એટલે તે અર્પિતાના કાન પાસે જઈને ધીમેથી બોલ્યો, ''સોરી ડાર્લિંગ''

અર્પિતાએ હળવેથી આંખો ખોલી. એ પૂરેપૂરી ફરિયાદોના મૂડમાં લાગતી હતી. પણ વિકાસે તેને કમર ફરતો હાથ વીંટાળ્યો અને પોતાની તરફ ખેંચી લીધી. બંને વચ્ચેની બધી કડવાશ ધોવાઈ ગઈ.

પતિ-પત્ની વચ્ચે તંગદિલી, બોલાચલી અને રિસામણાં-મનામણાં એ બધું ખરું પૂછો તો આ સંબંધમાં  બહુ  જ સહજ ગણાય છે. જ્યારથી લગ્ન બંધનની પ્રથા અમલમાં આવી હશે ત્યારથી જ કદાચ આ નાજુક સંબંધમાં ખટમીઠો ઝઘડો પણ ચાલતો આવ્યો હશે. ટૂંકમાં આ સઘળી પ્રક્રિયાને કોઈ ખાસ નામ ન જ આપી શકાય તેમ છતાં આ તો 'ઘર ઘરની વાત' છે એવું કહી શકાય. ગુસ્સો એ પ્રેમનો અતિરેક છે.

જ્યાં સુધી આપણે દૂર ન  રહીએ ત્યાં સુધી તો નિકટતાની અનુભૂતિ કેમ થઈ શકે? પણ પતિ-પત્ની વચ્ચે બોલાચાલી અને રિસામણાં મનામણાં પણ સ્વાભાવિક છે. રિસામણાં પછીથી મનામણાં કરવાની પ્રક્રિયા યથાયોગ્ય છે. તેનાથી  તેમની વચ્ચે ફરીથી સમજૂતી થઈ જાય છે.

ઘણી વખત પતિ-પત્નીના સંબંધોમાં અહમ્નો મુદ્દો સંડોવાઈ જતો હોય છે, ત્યાં પ્રશ્ન એ નથી કે રિસાયું છે કોણ અને ભૂલ કોની છે? પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે શરૂઆત કોણ કરે? બહુ સ્વાભાવિક છે કે જેનામાં અહમ્ ભાવ ઓછો હશે તે સંબંધો સામાન્ય બનાવવા અને વિખવાદ મટાડવાની પહેલ કરશે, પરંતુ બંને એકસરખા હોય તો બંને વચ્ચેનો સામાન્ય વ્યવહાર બહુ  મુશ્કેલીએ શરૂ થઈ શકે છે. એવા સંજોગોમાં સંબંધોમાં ઊષ્માપૂર્ણ સહજતા જલદી આવતી નથી.

ઝઘડો અને તંગદિલી અવસ્થા જો દંપતી વચ્ચે દસેક દિવસથી વધારે ચાલે તો દેખીતી રીતે તેની અસર તેમના જાતીય જીવન પર પણ પડે છે. જો કે વિખવાદ અને તંગદિલી પણ જીવનનો એક હિસ્સો છે, પરંતુ જાતીય ઈચ્છાએ વ્યક્તિની મૂળભૂત ઈચ્છા ગણાય છે. આથી સહશયનની ઈચ્છા રિસામણાંની  સ્થિતિમાં પણ પતિ-પત્નીને વ્યાકુળ કરતી હોય છે.

એવું પણ જોવામાં આવ્યું છે કે પતિ આ બાબતમાં વધારે અધીર હોય છે. ઘણી વખત વિખવાદની સમજૂતી ન થઈ હોવા છતાં પરાણે પત્ની સાથે સમાગમ કરે છે. પછી થી ભલે એ મોં ફેરવીને સૂઈ જતો હોય! જો કે આવું બંને ત્યારે પત્નીના મનમાં પતિ માટે અણગમો પેદા થઈ શકે છે.

પતિ-પત્ની વચ્ચેના વિખવાદ કે તંગદિલી હળવી કરવામાં સમાગમ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. માનસશાસ્ત્રીઓના મંતવ્ય મુજબ પતિ-પત્ની વચ્ચે અરસપરસ એકબીજાને જાણવા-સમજવા માટે સમાગમ એક મહત્ત્વનું માધ્યમ છે. આનાથી તેમની વચ્ચે આત્મીયતા તો વધે જ છે, સાથોસાથ પરસ્પર વિશ્વાસ, લાગણી અને સમજણ પણ વિકસે છે, જેથી તંગદિલી અને ઝઘડાનો નિવેડો લાવવામાં મદદ મળે છે. તેમાં જરૂર માત્ર સમાગમક્રિયા પ્રત્યે સંવેદનશીલ વલણ ધરાવવાની છે.

ખરું પૂછો તો દામ્પત્યજીવનમાં જો જાતીય સંબંધો બાબત પરિસ્થિતિ સંતોષપ્રદ ન હોય તો ઝઘડા કે વિખવાદની સંભાવના વધારે રહેતી હોય છે, કારણ કે આ સ્થિતિમાં બંને ચિડિયા બની જાય છે તથા એકબીજા પ્રત્યેનું ખેંચાણ પણ ઘટવા લાગે છે. હકીકતમાં જાતીય સંબંધ દંપતી વચ્ચે પરસ્પરમાં વિલીન થઈ જવાની પ્રક્રિયા છે. આથી જો બંને રસપૂર્વક જાતીય સંબંધને માણશે તો તેમની વચ્ચેની કડવાશ દૂર થઈ શકે છે અને પરસ્પરનો ઝઘડો પણ મટી શકે છે.

- નીપા 

Tags :