Magazines

સતી અરુંધતિ- સત્ય, સંયમ અને સમર્પણનું સાકાર રૂપ

By GS TEAM
24 Jun 20263 mins read
સતી અરુંધતિ- સત્ય, સંયમ અને સમર્પણનું સાકાર રૂપ

- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

'વશિષ્ઠસ્ય મહાભાગા અરુન્ધત્યનુવ્રતા ।

પતિવ્રતાનાં મુખ્યાસીદ્ યા

નક્ષેષુ પ્રદ્રશ્યતે ।।

મહાભાગા (પરમ ભાગ્યશાળી) અરુંધતિ મહર્ષિ વશિષ્ઠ પ્રત્યે પૂર્ણ સમર્પિત હતી. તે પતિવ્રતા સ્ત્રીઓમાં સર્વોપરિ હતી જેમને આજે પણ આકાશમાં નક્ષત્રો (તારાઓ)ની વચ્ચે સાક્ષાત્ જોઈ શકાય છે.'

- શ્રીમદ્ ભાગવત મહાપુરાણ

(ચતુર્થ સ્કંધ, અધ્યાય-૧)

'અરુન્ધતી સમાયુક્તાં

રોહિણીમિવ ચન્દ્રમા : ।

સા રામેણ મહાભાગા સીતા

પર્યચરત તદા ।।

જે રીતે ચંદ્રમા હમેશા રોહિણી નક્ષત્ર સાથે શોભાયમાન થાય છે, તે રીતે મહર્ષિ વશિષ્ઠ અરુંધતિ સાથે શોભતા હતા. તે સમયે પરમ સૌભાગ્યશાળી માતા સીતાએ ભગવાન રામ સાથે જઈને એમની સેવા-વંદના કરી.'

- વાલ્મીકિ રામાયણ (અયોધ્યાકાણ્ડ)

મહર્ષિ વશિષ્ઠની પત્ની અરુંધતિ પાતિવ્રત્ય, પવિત્રતા, ત્યાગ, તપસ્યા અને અતૂટ વૈવાહિક નિષ્ઠાનું મૂર્તિમંત રૂપ છે. પૌરાણિક કથા મુજબ અરુંધતિ એમના પૂર્વ જન્મમાં સર્જનહાર બ્રહ્માની માનસ પુત્રી સંધ્યા હતી. સાંસારિક મોહ-માયા દૂર કરવા તેણે તપશ્ચર્યા કરવાનો નિર્ધાર કર્યો અને ચંદ્રભાગ પર્વત પર જતી રહી. ત્યાં મહર્ષિ વશિષ્ઠે જ તેને ઓળખ છુપાવીને તપશ્ચર્યાની સાચી પધ્ધતિ શિખવી હતી. સંધ્યાની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેને દર્શન આપ્યા અને વરદાન આપ્યું કે તે આગલા જન્મમાં સતી નારીના રૂપે જન્મ લેશે.

તે પછી તેણે મહર્ષિ કર્દમ અને દેવહૂતિની પુત્રી રૂપે જન્મ લીધો. તે સતી અનસૂયાની નાની બહેન હતી. જ્યારે તે પાંચ વર્ષની થઈ ત્યારે સ્વંય બ્રહ્માજીએ કર્દમ મુનિને આદેશ આપ્યો કે આ કન્યાને યોગ્ય શિક્ષણ મળે તે માટે માતા સાવિત્રી અને માતા બહુલા પાસે મોકલી દો. તેમણે તેમ જ કર્યું. એમની દેખરેખમાં અરુંધતિ અત્યંત જ્ઞાાની અને સર્વગુણ સંપન્ન બની ગઈ. તેના લગ્ન મહર્ષિ વશિષ્ટ સાથે થયા અને આદર્શ સતી રૂપે તેમની પત્ની બની તેણે પતિવ્રતા ધર્મનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યું.

એકવાર મહર્ષિ વશિષ્ઠ અન્ય સપ્તર્ષિઓ સાથે ૧૨ વર્ષની ઘોર તપશ્ચર્યા કરવા ગયા. તે સમયે અરુંધતિ એકલાં જ પોતાના આશ્રમમાં રહેતા હતાં. થોડા સમય બાદ ભયંકર દુકાળ પડયો. ૭ દિવસ સુધી સતી અરુંધતિના મુખમાં અનાજનો એક દાણો પણ ના ગયો. તેમણે માત્ર વાયુનું ભક્ષણ કરીને ભગવાન શિવની આરાધના કરી. એકવીસમાં દિવસે સ્વયં ભગવાન શિવ વૃધ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તેમના આશ્રમમાં પધાર્યા. તેમણે અરુંધતિને બદરી (બોર)ના બીજ રાંધવા આપ્યા. તેમની લીલાથી તેમણે લાંબા સમયગાળાને એકદમ ટૂંકો કરી દીધો. ૧૨ વર્ષનો ગાળો થોડા કલાકો જેવા લાગ્યો. આ ગાળામાં તેમણે અરુંધતિને બ્રહ્મજ્ઞાાન-આત્મ-જ્ઞાાન કેવી રીતે પ્રાપ્ત કરવું તેની પ્રવિધિ શીખવી. ધર્મ કર્મનું સાચું સ્વરૂપ સમજાવ્યું.

સપ્તર્ષિ સાથે વશિષ્ઠ પાછા ફર્યા. તે ચર્ચા કરવા લાગ્યા કે કોની તપશ્ચર્યા શ્રેષ્ઠ હતી. કોઈ નિર્ણય ના લેવાયો એટલે અરુંધતિએ વૃદ્ધબ્રાહ્મણ રૂપી શિવજીને પૂછયું. શિવજીએ એમની ભક્તિથી પ્રસન્ન થઈ એમના અસલ રૂપે દર્શન આપ્યા અને કહ્યું- 'તમારી સાતે ઋષિઓની એકઠી તપશ્ચર્યાથી પણ વધારે મોટું અને કઠોર વ્રત અરુંધતિનું છે. મેં જે જ્ઞાાન અરુંધતિને આપ્યું છે તે તમે બધા ઋષિઓ એમની પાસેથી ગ્રહણ કરો અને જગતમાં એનો પ્રસાર અને પ્રચાર કરો.' એટલું કહીને શિવજી ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. સપ્તર્ષિઓએ માતા અરુધતિ પાસેથી એ જ્ઞાાન પ્રાપ્ત કર્યું. તે જ્ઞાાન આગળ જતાં વેદ અને પુરાણની કથાઓના રૂપમાં પ્રસિધ્ધ થયું, જેનો વિસ્તાર સ્પતર્ષિઓએ જગતભરમાં કર્યો.

સપ્તર્ષિ તારામંડળ વિશે આપણા વેદ-પુરાણોમાં હજારો વર્ષ પૂર્વે લખાયેલું છે આજે આધુનિક ખગોળવિજ્ઞાાનીઓ પણ માને છે કે આપણા તારા મંડળમાં બે યુગલ તારા છે જે એકબીજાની પરિક્રમા કરે છે. તે મહર્ષિ વશિષ્ઠ અને માતા અરુંધતિ જ છે. આજે પણ ખગોળવિજ્ઞાાનીઓ એ યુગલ તારાને 'અરુંધતિ-વશિષ્ઠ'ના નામથી જ જાણે છે.