દાનવીર કર્ણની અજોડ ઉદારતા

- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
દાતવ્યમિતિ યદ્દાનં દીયતેડનુપકારિણે ।
દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનં સાવિકં સ્મૃતમ્ ।।
ફળ પ્રાપ્ત કરવાની ઇચ્છા વગર, યોગ્ય વ્યક્તિને આપવામાં આવેલું દાન શ્રેષ્ઠ પ્રકારનું સાત્ત્વિક દાન કહેવાય છે.'
- શ્રીમદ્ ભગવદ્ ગીતા, અધ્યાય-૧૭, શ્લોક-૨૦
- 'દાનં ભોગો નાશસ્તિસ્રો ગતયો ભવન્તિ વિત્તસ્ય ।
ધનની ત્રણ જ ગતિ છે- દાન, ભોગ અથવા નાશ.'
- મહાભારત, વિદુરનીતિ, ઉધોગ પર્વ
- ‘ It is not how much we give, but how much love we put into giving.
મહત્વનું એ નથી કે આપણે કેટલું આપીએ છીએ, પણ એ છે કે આપણે આપવામાં કેટલો પ્રેમ રાખીએ છીએ.'
- મધર ટેરેસા
- 'પોતાને પામવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે બીજાની સેવામાં પોતાન.
- મહાત્મા ગાંધીજી
યાદવ વંશના શૂરસેન નામના રાજાની પુત્રી પૃથા (કુંતી) પર પ્રસન્ન થઈ દુર્વાસા મુનિએ એક સિદ્ધમંત્ર પ્રદાન કર્યો હતો અને તેને કહ્યું હતું- તું જ્યારે પણ ઇચ્છે ત્યારે કોઈ પણ દેવતા થકી આ મંત્ર દ્વારા તેમનુ આહ્વાન કર્યા બાદ સંતાન પ્રાપ્તિ કરી શકીશ. કિશોર અવસ્થામાં રહેલી પૃથા ઉત્સુક બની વિચારવા લાગી કે શું આ મંત્રમાં એવો પ્રભાવ હશે ખરો ? એક દિવસ તેણે સૂર્યોદય સમયે સૂર્યદેવનું ધ્યાન કરી એ મંત્ર જાપ કર્યો અને ખરેખર સૂર્યદેવ તેની આગળ પ્રત્યક્ષ પ્રકટ થયા અને તેને પુત્ર પ્રદાન કર્યો. લગ્ન પૂર્વે બાળક પ્રાપ્ત કરી લેવાને કારણે પૃથા શરમ અનુભવવા લાગી અને લોકલાજને કારણે તે પુત્ર લાકડાની પેટીમાં મૂકી નદીમાં વહાવી દીધો. તે અંગદેશના અધિરથ નામના સારથી અને તેની પત્ની રાધાને પ્રાપ્ત થયો. તેમણે તેનું લાલન-પાલન કર્યું. તે પુત્ર હતો કર્ણ. તે જન્મથી જ દિવ્ય કવચ અને કુંડળ સાથે ઉત્પન્ન થયો હતો. જ્યાં સુધી તેની પાસે તે હોય ત્યાં સુધી તેને યુદ્ધમાં કોઈ હરાવી ના શકે કે મારી ના શકે તેવું વરદાન હતું. કર્ણને એ ખબર નહોતી કે પાંડવો તેના સગા ભાઈઓ છે. તે કૌરવોના યુવરાજ દુર્યોધનનો ગાઢ મિત્ર બની ગયો હતો.
કર્ણ એક મહાન ધનુર્ધર અને યોધ્ધા હતો. એની શક્તિ જોઈને બધા એનાથી ડરતા હતા. દેવોના રાજા ઇન્દ્રને પણ ડર હતો કે કર્ણ કૌરવોને કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજય અપાવી શકે છે. કર્ણની ઉદારતા અને દાનવીરતા જાણતા હોવાથી ઇન્દ્રએ પાંડવોના પક્ષે એમને લાભ થાય એવું કંઈ કરવાની યોજના બનાવી. મહાભારતના યુદ્ધ પહેલાં એક સવારે જ્યારે કર્ણ એની દૈનિક પૂજા કરી રહ્યો હતો અને સૂર્યદેવને જળ અર્પણ કરી રહ્યો હતો ત્યારે દેવરાજ ઇન્દ્ર એક સાધારણ બ્રાહ્મણના રૂપમાં તેની પાસે આવ્યા.
કર્ણે તેમને પ્રણામ કરી એમનું અભિવાદન કર્યું અને પૂછયું- ' હે બ્રહ્મદેવ, હું આપના દર્શનથી ધન્ય બન્યો છું. હું આપની સેવા કઈ રીતે કરી શકું ? અત્યારે મારો દાન આપવાનો સમય છે. તમે જે માંગો એ હું તમને અર્પણ કરી દઉં.' બ્રાહ્મણના રૂપમાં ઇન્દ્રએ કહ્યું- 'હું તમારા કવચ અને કુંડળ માંગવા આવ્યો છું.' એક પળ માટે કર્ણ વિચારમાં પડી ગયો. એ દૈવી કવચ-કુંડળ તો તેનું રક્ષણ કરનારા છે એવી તેને ખબર હતી. જો હું એ આપી દઉં તો યુદ્ધમાં મારી હાર થઈ જાય અને તેના વિના મૃત્યુ પણ થઈ જાય ! તેણે જાણી લીધું કે આ ઇન્દ્રદેવ જ છે જે બ્રાહ્મણના રૂપમાં અહીં આવ્યા છે.
એમ છતાં કર્ણએ જન્મથી જ એના શરીર સાથે સંલગ્ન એ કવચ-કુંડળ શસ્ત્રથી ઉખાડીને તે બ્રાહ્મણને આપી દીધા. કર્ણની આવી અજોડ દાનવીરતા જોઈને ઇન્દ્ર પણ પ્રભાવિત થઈ ગયા અને તેને એક અમોધ શસ્ત્ર આપ્યું અને કહ્યું તું આનો એક જ વાર ઉપયોગ કરી શક્શે. પણ તું આનાથી કોઈનોય વધ કરી શકશે. કર્ણે તે ઇન્દ્ર-આયુધ અર્જુનને મારવા સુરક્ષિત રાખ્યું હતું પણ મહાભારતના યુદ્ધના ચૌદમા દિવસે ભીમ અને તેના પુત્ર ઘટોત્કચે એવું પરાક્રમ બતાવ્યું કે કૌરવો ગભરાઈ ગયા. રાક્ષસવંશના હિડિમ્બાના પુત્ર ઘટોત્કચનો વધ કરવા કર્ણને પેલું ઇન્દ્રએ આપેલું અમોધ શસ્ત્ર ન છૂટકે વાપરવું પડયું. તેનાથી ઘટોત્કચનો વધ થઈ ગયો. પણ અર્જુનને મારવા સાચવી રાખેલું તે શસ્ત્ર ચાલ્યું ગયું. જમીનમાં ખૂંપી ગયેલા રથના પૈડાને બહાર કાઢવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે નિ:શસ્ત્ર અને કવચ-કુંડળ રહિત કર્ણ પર ભગવાન શ્રીકૃષ્ણના કહેવાથી અર્જુને બાણ ચલાવી તેનો વધ કરી નાંખ્યો હતો.








