Get The App

વિદ્વાન, તત્ત્વચિંતક, પરંપરા સંવાહક, વેદોના વિખ્યાત ભાષ્યકાર- સાયણાચાર્થ

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
વિદ્વાન, તત્ત્વચિંતક, પરંપરા સંવાહક, વેદોના વિખ્યાત ભાષ્યકાર- સાયણાચાર્થ 1 - image

- વિચાર-વીથિકા- દેવેશ મહેતા

સાયણાચાર્ય ચૌદમી સદીના એક વિદ્વાન, તત્ત્વચિંતક અને વેદોના સર્વમાન્ય ભાષ્યકર્તા હતા. તેમણે અનેક ગ્રંથો રચ્યા પરંતુ તેમની કીર્તિનો મેરુ દંડ તો વેદભાગ્ય જ છે. એમની પૂર્વે કોઈએ લખેલું ચારેય વેદોનું ભાષ્ય પ્રાપ્ત થતું નથી. આચાર્ય સાયણ માત્ર ભાષ્યકાર જ નહીં, પણ વેદોના સંરક્ષક, પરંપરા સંવાહક અને ઇતિહાસ નિર્માતા કહેવાય છે. વેદોના સંરક્ષણમાં તેમની નિર્ણાયક ભૂમિકા રહી. સાયણાચાર્યના ભાષ્ય વિના વેદો આટલા વ્યવસ્થિત, પૂર્ણ અને સુરક્ષિત ઉપલબ્ધ ન થાત. એમને કારણે અનેક વૈદિક શાખાઓ અને મંત્રો પરંપરામાં જીવિત રહ્યા. સાયણાચાર્યે વૈદિકકાળ, બ્રાહ્મણ- આરણ્યક પરંપરા અને મધ્યકાલીન ભારત વચ્ચે જ્ઞાન-સેતુનું કાર્ય કર્યું.

સાયણાચાર્ય દક્ષિણ ભારતના નિવાસી હતા. તેમના પિતાનું નામ માયણ અને માતાનું નામ શ્રીમતી હતું. તેમનું ગોત્ર ભારદ્વાજ હતું અને તે કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય શાખાના અનુયાયી શ્રોત્રિય હતા. એમના અગ્રજ વિજયનગર સામ્રાજ્યના સંસ્થાપક મહારાજ હરિહરના મુખ્યમંત્રી અને આધ્યાત્મિક ગુરુ હતા. એમનું નામ હતું માધવાચાર્ય જે એમના જીવનના અંતિમ સમયમાં શૃંગેરી પીઠના વિદ્યારણ સ્વામી (માધવ વિદ્યારણ્ય) નામથી જગદ્ગુરુ શંકરાચાર્ય બન્યા હતા. સાયણના અનુજ (નાના ભાઈ)નું નામ હતું. ભોગનાથ જે સંગમનરેશના નર્મસચિવ અને સુંદર કવિ હતા. સાયણાચાર્યે એમના અલંકાર સુધાનિધિ નામના ગ્રંથમાં તેમના ત્રણ પુત્રોના નામનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કંપણ સંગીત શાસ્ત્રમાં પ્રણીવ હતા. માયણ ગદ્ય-પદ્ય  રચનામાં વિચક્ષણ કવિ હતા અને શિંગણ વેદના ક્રમજટા વગેરે પાઠોના મર્મજ્ઞા વૈદિક હતા.

સાયણ ૨૪ વર્ષ સુધી વિજયનગર સામ્રાજ્યના સેનાપતિ અને અમાત્ય રહ્યા હતા. ઇ.સ.૧૩૬૪ થી ૧૩૮૭ સુધીનો તે સમયગાળો હતો. તે શાસનકાર્યમાં નિપુણ હતા, એ જ રીતે સંગ્રામ સમયે યુધ્ધના મેદાનમાં સેના નાયકના કાર્યમાં પણ પ્રવીણ હતા.

સાયણાચાર્યે સુભાષિત સુધાનિધિ, પ્રાયશ્ચિત સુધા નિધિ, અલંકાર સુધા નિધિ, પુરુષાર્થ સુધાનિધિ, આયુર્વેદ સુધાનિધિ, યજ્ઞાતંત્ર સુધાનિધિ, ધાતુવૃત્તિ અને વેદભાગ્ય ગ્રંથો રચ્યા હતા. તેમણે સંહિતા પંચક, અનેક બ્રાહ્મણો અને આરણ્યકો પર ભાષ્યો લખ્યા.

સાયણાચાર્યે વેદોના મંત્રોનો અર્થ મુખ્યતયા યજ્ઞા અને કર્મકાણ્ડના સંદર્ભણાં કર્યો. તે એવું માનતા હતા કે વેદોનો મુખ્ય ઉદ્દેશ યજ્ઞા સંબંધી ક્રિયાઓનો નિર્દેશ છે. તેમણે યાસ્ક(નિરુક્ત), શૌનક, સ્કંદ સ્વામી વગેરે પૂર્વવર્તી વૈદિક આચાર્યોની પરંપરા સંમત માનવામાં આવે છે. તેમણે અધરા વૈદિક શબ્દોની વ્યુત્પત્તિ સમજાવવા માટે પાણિનીય વ્યાકરણ, નિરુકત શાસ્ત્રનો વ્યાપક ઉપયોગ કર્યો. મંત્રોના અર્થ સ્પષ્ટ કરવા માટે તેમણે વારંવાર બ્રાહ્મણ, આરણ્યક અને કલ્પસૂત્રોના ઉદ્ધરણો આપ્યા જેનાથી તેમનો યજ્ઞાને લગતો સંગર્ભ દ્રઢ થાય. સાયણાચાર્ય એવા પહેલા વિદ્વાન છે જેમણે ચારેય વેદો પર ક્રમબદ્ધ અને વિસ્તૃત ભાષ્યો આપ્યા. આ જ કારણે એમના ભાષ્ય આજે પણ સર્વાધિક પ્રચલિત છે. ઉપનિષદકાલીન કે અદ્વૈત- પ્રધાન તાત્વિક અર્થોને બદલે એમના ભાષ્યમાં કર્મ પ્રધાન અર્થ વધારે જોવા મળે છે. આજે પણ શંકરાચાર્ય પરંપરા, કર્મકાંડી પદ્ધતિ અને પારંપરિક પાઠશાળાઓમાં સાયણા ભાષ્યને પ્રામાણિક વ્યાખ્યા માનવામાં આવે છે. એને પ્રમાણરૂપ કહેવામાં આવે છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી અને મહર્ષિ અરવિંદ દર્શાવ્યું કે સાયણાચાર્યે બધા વેદમંત્રોને ક્રિયાકાણ્ડના સંદર્ભે જ વ્યાખ્યાયિત કર્યા છે એટલે તે મહદંશે તેમના અર્થઘટન સાથે સંમત નથી.

મેક્સમૂલર જેવા પશ્ચિમી વૈદિક વિદ્વાનોએ વેદોના સંપાદન, અનુવાદ અને અધ્યયનમાં સાયણ ભાષ્યને મુખ્ય સંદર્ભ બનાવ્યો. તેનાથી જ વેદો વિશ્વપટલ પર આવ્યા. ૨૮ મે ૧૮૯૬ના રોજ સ્વામી વિવેકાનંદ મેક્સમૂલરને ઓક્ષ્ફર્ડ, ઇંગ્લેન્ડમાં મળ્યા હતા. તેમણે તો એમ કહ્યું હતું કે સાયણાચાર્ય જ મેક્સમૂલર રૂપે ફરી જન્મ્યા છે ! મેક્સમૂલર રૂપે સાયણાચાર્ય પોતે જ પોતાનું કામ આગળ વધારવા આવ્યા છે. વેદના ભાષ્યકાર અને જ્ઞાની સાયણાચાર્યને વર્ણાશ્રમ અને નાતજાત, દેશ-પરદેશનો ભેદભાવ ના જ હોય. વિદેશમાં પણ વેદનો પ્રસાર-પ્રચાર કરવા તેમણે મેક્સમૂલર રૂપે પુનર્જન્મ લીધો છે. પોતાના શિષ્ય સાથે ઋગ્વેદ અને સાયણાચાર્યના ભાષ્યનું અધ્યયન કરી રહ્યા હતા. ત્યારે સ્વામી વિવેકાનંદે આ પ્રકારની વાત કરી હતી.