ધર્મપરાયણ રાજા સુરથની અનન્ય રામ-ભક્તિ
વિચાર વીથિકા - દેવેશ મહેતા
કુણ્ડલપુરના રાજા સુરથ અત્યંત ધાર્મિક અને રામભક્ત હતા. 'યથા રાજા તથા પ્રજા' વાળી ઉક્તિ એમની બાબતમાં સાવ સાચી સાબિત થઈ હતી. એમના સમગ્ર પ્રજાજનો પણ ધર્મપરાયણ, નીતિવાન અને ભક્તિયુક્ત હતા. એક દિવસ સ્વયં યમરાજા જટાધારી મુનિનો વેશ ધારણ કરી રાજાની ભક્તિની કસોટી કરવા આવ્યા. એમણે જોયું કે ત્યાંની રાજસભા સાક્ષાત્ સત્સંગ મંદિર સમાન છે. ત્યાંના લોકોના મુખે સતત રામનામ રહે છે અને સત્કર્મ કરવામાં આતુર રહે છે.
રાજાએ તપસ્વીને જોયા એટલે એમનો સત્કાર કરી પૂજા કરી અને કહેવા લાગ્યા.- 'આજે મારું જીવન ધન્ય થઈ ગયું. તમારા જેવા સત્પુરુષોના દર્શન પણ દુર્લભ છે. હવે મારા પર કૃપા કરી થોડીઘણી હરિકથા સંભળાવો.' આ સાંભળી મુનિએ ગંભીર સાદે કહ્યું- 'કોણ હરિ ? શેની કથા ? સંસારમાં તમે સત્કર્મ કરો છો પછી હરિ હરિ કરવાની ક્યાં જરૃર છે ?'
ભગવદભક્ત રાજાને મુનિની વાત સાંભળી અત્યંત ક્ષોભી થયો. એમણે વિનમ્રતાપૂર્વક કહ્યું- ' તમે ભગવાનની નિંદા કેમ કરો છો ? તમારે ધ્યાન રાખવું જોઈએ કે કર્મથી પણ ઉપરની એક સત્તા છે. કર્મનું ફળ ભોગવનારા દેવરાજ ઇન્દ્ર અને બ્રહ્માને પણ ભોગ સમાપ્ત થાય ત્યારે પડવું પડે છે. પરંતુ હરિભક્તોનું પતન થતું નથી.
ધ્રુવ, પ્રહ્લાદ, અંબરીષ એના શ્રેષ્ઠ ઉદાહરણો છે.' રાજાની આ ભક્તિ ભાવનાથી પ્રસન્ન થઈ યમરાજાએ એમના અસલ સ્વરૃપે દર્શન આપ્યા અને રાજાને વરદાન માંગવા કહ્યું. રાજાએ વરદાન માંગ્યું-' જ્યાં સુધી ભગવાન શ્રી હરિ રામાવતાર ધારણ ન કરે અને અહીં પધારી, મને પ્રત્યક્ષ દર્શન ન આપે ત્યાં સુધી મારું મૃત્યુ ન થાય.' યમરાજાએ એમના માથે હાથ મૂકી 'તથાસ્તુ' કહ્યું અને પછી ત્યાંથી અંતર્ધાન થઈ ગયા.
પછી ભગવાને અયોધ્યામાં રામાવતાર લીધો, મિથિલામાં ધનુષ્યભંગ કર્યો અને સીતાજી સાથે લગ્ન કર્યા, વનવાસ ભોગવ્યો, રાવણનો વધ કર્યો એ સમાચાર મળતા રહ્યા. રાજા સુરથ ઉત્કંઠાથી એમના આરાધ્ય રામની પ્રતીક્ષા કરતા હતા. ભગવાન શ્રીરામે અશ્વમેઘ યજ્ઞા કર્યો અને એનો અશ્વ છૂટો મૂક્યો. એ અશ્વ સુરથ રાજાના રાજ્યની સીમમાં આવ્યો ત્યારે રાજાની સૂચના અનુસાર એમના સૈનિકોએ પકડી લીધો. એ છોડાવવા ભગવાન શ્રીરામ એમની પાસે આવે અને એમને દર્શન આપે એ હેતુથી સુરથે ઘોડો પકડી લીધો હતો. શત્રુધ્ન અશ્વની રક્ષા સેના સાથે કરી રહ્યા હતા.
એમને આ સમાચાર મળ્યા એટલે એમણે અંગદને દૂત બનાવી સુરથ પાસે મોકલ્યા ત્યારે તેમણે કહ્યું- મારા આરાધ્ય ભગવાન શ્રીરામના નાનાભાઈ શત્રુધ્નની શૂરવીરતાની મને ખબર છે. મારું રાજય નાનું છે, મારી શક્તિ અલ્પ છે. મારી સેના પણ નાની છે છતાં શત્રુધ્નના ભયથી હું અશ્વ નહીં છોડું. હું ભગવાન શ્રીરામના ભરોસે જ ધર્મયુદ્ધ કરીશ. હું તો ભગવાન શ્રીરામનો દાસ છું. જ્યારે મને ભગવાન શ્રીરામના દર્શન થશે ત્યારે હું આ અશ્વને છોડી દઈશ અને મારું રાજ્ય, કુટુંબ, સંપત્તિ બધું છોડી એમના ચરણનો આશ્રય લઈ લઈશ.'
અંગદ આ સંદેશો લઈ પાછા ફર્યા. પછી યુદ્ધનો આરંભ થયો. શત્રુધ્ન, અંગદ અને હનુમાનજી બધાએ ભારે પરાક્રમ દર્શાવ્યું પણ સુરથે અનન્ય ભક્તિભાવથી છોડેલા રામાસ્ત્રથી શત્રુધ્નની સાથે પુષ્કલ, અંગદ અને હનુમાનજી પ્રભાવહીન થઈ ગયા અને ભક્તરાજા સુરથથી બંધાઈ ગયા. બંધનમાં પડેલા હનુમાનજીએ સુરથની રામભક્તિ જોઈ રાજાના કહેવાથી ભગવાન શ્રીરામનું સ્મરણ કર્યું. હનુમાનજીના સ્મરણ કરતાં જ ભગવાન શ્રીરામ પુષ્પક વિમાનમાં બેસી લક્ષ્મણ, ભરત તથા ઋષિમુનિઓ સાથે ત્યાં આવી પહોંચ્યા. વિમાનમાંથી બધા નીચે ઊતર્યા એટલે સુરથે ભગવાનના ચરણોમાં વારંવાર પ્રણામ કર્યા. ભગવાન શ્રીરામ એમનો પ્રેમ જોઈ પ્રસન્ન થયા અને એમને ભેટી પડયા. એમને ચતુર્ભુજ વિષ્ણુના સ્વરૃપે પણ દર્શન આપ્યા.
રાજા સુરથે અત્યંત દૈન્યભાવથી ભગવાન શ્રીરામની ક્ષમા માંગી. એમનો ઘોડો જ નહીં, પોતાનું સર્વસ્વ અને જીવન એમના ચરણોમાં સમર્પી દીધું. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે સુરથને કહ્યું- 'રાજન્ । તમે તો કેવળ મારા દર્શન માટે અશ્વને પકડી લીધો હતો. યુદ્ધ તો મારા સૈન્યે તમારી સાથે કર્યું હતું. તમારો એમાં કોઈ દોષ નથી. તમે તમારો ક્ષત્રિય ધર્મ અદા કર્યો છે. મને પ્રાપ્ત કરવા માટે, મારા પરની પરમ પ્રીતિને લીધે તમે કેવળ એમનો સામનો કર્યો છે.
ભગવાનની કૃપા દૃષ્ટિ પડતાં જ બંધનમાં પડેલા બધા યોદ્ધાઓના બંધન છૂટી ગયા, ઘવાયેલા સૈનિકોના ઘા રુઝાઈ ગયા અને મરણ પામેલા જીવિત થઈ ગયા. રાજા સુરથના આગ્રહથી ભગવાન રામ ચાર દિવસ એમને ઘેર રહ્યા. રાજાની સાથે પ્રજા પણ ભગવાનની સેવા કરી ધન્ય બની ગઈ. એ પછી ભગવાન શ્રીરામ અયોધ્યા પાછા આવ્યા. રાજા સુરથે એમનું રાજ્ય એમના પુત્ર ચંપકને સોંપી દીધું અને સ્વયં સેના લઈને શત્રુધ્નની સાથે અશ્વમેઘ યજ્ઞાના ઘોડાની પાછળ એની રક્ષા કરતા ચાલવા લાગ્યા. પછી આખું જીવન રઘુકુલતિલક મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામની સેવામાં વ્યતીત કરી અંતે સાકેત ધામની પ્રાપ્તિ કરી.