Get The App

બંધકોશના અમોઘ આયુર્વેદિક ઔષધો

Updated: Jan 28th, 2020

GS TEAM

Google News
Google News
બંધકોશના અમોઘ આયુર્વેદિક ઔષધો 1 - image

જે ઔષધની ટેવ પડે અને એ લીધા વિના પેટ સાફ આવે જ નહીં, તો એવી દવાઓથી સમજદાર માણસોએ દૂર રહેવું

આ યુર્વેદના આચાર્યોએ કબજિયાતના દરદીને (૧) મૃદુ કોષ્ઠ, (૨) મધ્ય કોષ્ઠ (૩) ક્રૂર કોષ્ઠ એમ ત્રણ વિભાગમાં વહેંચેલો છે.

મૃદુ કોષ્ઠના લોકોને સામાન્ય કબજિયાત જેવું હોય અને માત્ર કાળી દ્રાક્ષના દસથીપંદર દાણા રાત્રે ચાવી જાય તો પણ સવારે પેટ સાફ આવી શકે છે. રાત્રે તાંદળજાની ભાજી, પાલકની કે મેથીની ભાજી ખાય તો પણ સવારે પેટ સાફ આવી જાય છે. ગાયના દૂધમાં ચમચી ચોખ્ખું ઘી મેળવીને પી જાય તો પણ સવારે પેટ સાફ થઇ જાય છે.

ઘણા લોકોને આમળાં, ગુલકંદ, ગરમાળાના ગોળનો ઉકાળો કે ચમચી ત્રિફલા ચૂર્ણ લેવાથી પણ સવારે ખુલાસાથી ઝાડો સાફ થઇ જાય છે. પપૈયું ખાધા પછી પણ કેટલાક લોકોને સરળતાથી પેટ સાફ આવે છે.

જે ઔષધમાં નેપાળો, મીંઢીખાવળ કે સ્નુહી ક્ષીર (થોરનું દૂધ) હોય તે લેવાથી પેટમાં ચૂંક આવી શકે છે. માટે ચિકિત્સકની સલાહ પછી જ સમજપૂર્વક એનો ઉપયોગ કરવો. આવા વિરેચક ઔષધો વારંવાર કે કાયમ લેવાય જ નહીં. જે ઔષધની ટેવ પડે અને એ લીધા વિના પેટ સાફ આવે જ નહીં, તો એવી દવાઓથી સમજદાર માણસોએ દૂર રહેવું.

હા, કોઈવાર અને ક્યારેક જરૂર જણાય તો આવા ઔષધો સમજપૂર્વક લઇ શકાય છે. ક્રૂર (કઠણ કોઠો) હોય તેવા લોકોએ શરૂઆતમાં બસ્તિ દ્વારા આંતરડાની ક્રિયાને વ્યવસ્થિત કરી પછીથી એરંડભૃષ્ટ હરીતકી, દીનદયાળ ચૂર્ણ, સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ કે પંચસમ ચૂર્ણ જેવા ઔષધોનો સહારો લેવો.

અહીં આપણે કબજિયાત માટેના કેટલાક પ્રચલિત ઔષધ વિશે પણ સંક્ષેપમાં વિચાર કરીશું.

દીનદયાળ ચૂર્ણ

આ એક ખૂબ પ્રચલિત અને જાતે બનાવવું હોય તો પણ સરળ પડે એવું ઔષધ છે. જેમના શરીરમાં કફની અધિકતા હોય અને ઝાડામાં ચીકાશ સાથે કબજિયાત પણ રહેતી હોય તેવા લોકો માટે દીનદયાળચૂર્ણ આશીર્વાદરૂપ બને છે. અજીર્ણ, ગેસ અને વારંવાર ઓડકાર આવતા હોય તેવા લોકો માટે પણ આ એક અસરકારક ઔષધ છે.

૮૦ ગ્રામ મીઢીંખાવળના સ્વચ્છપાન, ૬૦ ગ્રામ નાની, કાળી ને વજનદાર હીમેજ, ૪૦ ગ્રામ અજમોદ અને ૨૦ ગ્રામ સંચળ આમ આ ચાર ઔષધોનું સંયોજન કરી બારીક ચૂર્ણ બનાવી બાટલીમાં ભરી રાખવું. આમાં ત્રણથી પાંચગ્રામ જેટલું ચૂર્ણ રોજ રાત્રે નવશેકા પાણી સાથે ફાકી જવાથી કબજિયાતની તકલીફ દૂર થશે.

સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ

કબજિયાતના મોટાભાગના ઔષધો અસ્વાદિષ્ટ, ઉબકા લાવનારા અને કોઈ તો પેટમાં આંકડી લાવનારા પણ હોય છે. જ્યારે સ્વાદિષ્ટ વિરેચનમાં સાકર, વરિયાળી અને જેઠીમધ જેવા સ્વાદિષ્ટ અને સુગંધી દ્રવ્યોનો સમાવેશ થતો હોવાથી નાના બાળકોને પણ લેવામાં તકલીફ થતી નથી.

રસોદ્વાર તંત્ર નામના ગ્રંથમાં 'મધુ વિરેચન ચૂર્ણ' નામથી આ ઔષધનું વર્ણન કરવામાં આવ્યું છે. એ જ ઔષધનું બીજું અને અતિ પ્રચલિત નામ છે - 'સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ.'

જેમની પિત્તપ્રકૃતિ હોય અને મોંમાં છાલા પડેલા હોય તેવા લોકોને તો આ ઔષધ એકદમ અનુકૂળ આવે છે. આ ઔષધમાં શુદ્ધ ગંધક પણ હોવાથી તે લોહીવિકારને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી થઇ શકે છે. ખસ, ખરજવું, ખંજવાળ, ખોડો, ખીલ, દરાજ (RingWorm) ગુમડા અને સોરાઇસીસ જેવા ચામડીના રોગોમાં પણ આ ઔષધ છૂટથી વાપરી શકાય તેવું છે. કબજિયાતની સાથે ચામડીના રોગોને પણ તે દૂર કરી શકે છે.

વરિયાળી દીપન-પાચન છે. જેઠીમધ વર્ણનું પ્રસાદન કરે છે અને પોતામાં રહેલા પ્રજ્વિક તત્ત્વના કારણે વ્યક્તિની શક્તિને જાળવી રાખવામાં મદદ કરે છે. સાકર પિત્તનું શમન કરે છે અને સોનામુખી આંતરડામાં ચોંટેલા જૂના મળને પણ ઉખેડીને બહાર કાઢી શકે છે. હા, સોનામુખી એટલે કે મીંઢીખાવળના કારણે પેટમાં થોડી ચૂંક આવી શકે છે.

આયુર્વેદની દ્રષ્ટિએ સોનામુખીમાં 'ભેદન' નામનો ગુણ છે જે દોષો તથા મળોનું ભેદન કરી એને ખોતરી કાઢી શકે છે. સ્વાદિષ્ટ વિરેચન લેનારને થોડી આંકડી આવવાનું પણ આ એક કારણ છે.

શિવાક્ષાર પાચન ચૂર્ણ

ઘણા લોકોને કબજિયાતની સાથે ગેસ, વાયુ અને અજીર્ણની તકલીફ રહેતી હોય છે. પેટમાં ગેસ ભરાવાથી આફરા જેવું થઇ જાય છે. વાયુ ઉપર ચડવાથી ક્યારેક ઊલટી પણ થાય છે. અને ખાટા ઓડકાર પણ આવે છે. આવી સ્થિતિમાં શિવાક્ષાર પાચન ચૂર્ણ ખૂબ જ સારું કામ કરે છે.

હિંગાષ્ટક ચૂર્ણમાં સરખા ભાગે હીમેજ (હરડે) અને સાજીખાર (સ્વર્જિકા ક્ષાર) મેળવવામાં આવે તો આ શિવાક્ષારપાચન ચૂર્ણ તૈયાર થાય છે. 

Tags :