Get The App

મૂંઝવણ - અનિતા .

Updated: Jan 27th, 2020

GS TEAM

Google News
Google News
મૂંઝવણ - અનિતા                               . 1 - image


હું અને મારી પત્ની જ્યારે પણ શારીરિક સંબંધ કરવા ઇચ્છીએ છીએ ત્યારે તે પીડાથી બૂમો પાડવા લાગે છે. આ સમસ્યા એટલી બધી વધી ગઈ છે કે હવે અમે ઇચ્છવા છતાં પણ સંભોગ કરી શકતા નથી. 

પ્રશ્ન: હું અને મારી પત્ની જ્યારે પણ શારીરિક સંબંધ કરવા ઇચ્છીએ છીએ ત્યારે તે પીડાથી બૂમો પાડવા લાગે છે. આ સમસ્યા એટલી બધી વધી ગઈ છે કે હવે અમે ઇચ્છવા છતાં પણ સંભોગ કરી શકતા નથી. આનું શું કારણ હોઈ શકે છે? કોઈ એવો ઉપાય બતાવો કે અમારા લગ્નજીવનમાં ફરીથી આનંદ છવાઈ જાય.
- એક પુરુષ : (સુરત)

ઉત્તર: આ સમસ્યા તમારી પત્નીના મનમાં રહેલા કોઈ પૂર્વગ્રહને કારણે છે અથવા સ્ત્રી શરીરના કોઈ ખાસ વિકારો સાથે જોડાયેલી હોઈ શકે છે. બન્ને પ્રકારની સ્થિતિમાં શારીરિક મિલન પીડાદાયક અને દામ્પત્યજીવન છિન્નભિન્ન થઈ જાય છે. આ સમસ્યા ડિસપેરુનિયા કહેવાય છે.

તમારા એસ.એમ.એસ.થી એવી ખબર નથી પડતી કે આ સમસ્યા ક્યારથી છે અને તમે કેટલા સમયથી લગ્નનાં બંધનમાં બંધાયેલાં છો.

ઘણાં નવપરિણીત દમ્પતીઓમાં ડિસપેરુનિયાનાં મૂળ મનોવૌજ્ઞાાનિક હોય છે. કુંવારી હોય ત્યારથી જો કોઈ સ્ત્રીનાં મનમાં જાતીય બાબતો પ્રત્યે લઘુતાગ્રંથિ હોય, કોઈ પ્રકારની આશંકા હોય અથવા કોઈ પ્રકારની આશંકા હોય અથવા કોઈ પૂર્વગ્રહ હોય તો દામ્પત્યજીવનમાં પ્રવેશે ત્યારે જાતીય સુખમાં મુશ્કેલી આવવી સ્વાભાવિક છે.

ભારતીય સમાજમાં મોટા ભાગના પરિવારોમાં સેક્સ પ્રત્યે સ્વસ્થ દ્રષ્ટિકોણ નથી દેખાતો. તેની છાપ નાનપણથી જ ઘણી યુવતીઓના સુપ્ત મન પર ઊંડી અસર પાડે છે. સેક્સની બાબતમાં તેમના મન એટલાં વ્યાકુળ રહે છે કે લગ્ન થતાં તેમનાં માટે શારીરિક મિલનમાં એક થવાનું મુશ્કેલ થઈ જાય છે. ઘણી સ્ત્રીઓનું સુપ્ત મન સહવાસને પુરુષોનો અત્યાચાર માની લે છે. કેટલીક સ્ત્રીઓનાં મન એવા પૂર્વગ્રહથી વ્યાકુળ રહે છે કે પ્રથમ મિલન દુ:ખદાયક હોય છે.

મનની આ વ્યથાઓ અને ખોટી િંચંતાઓ સ્ત્રીને પ્રથમ મિલન માટે અસમર્થ બનાવી દે છે. સ્પર્શનો અનુભવ થવા માત્રથી શ્રોણિના ટિશૂઓ સંકોચાઈ જાય છે, જેથી યોનિમાર્ગ એટલો સાંકડો થઈ જાય છે કે સંભોગ નથી થઈ શકતો. આ સમસ્યા વેજિનિસ્મસ કહેવાય છે.

સ્ત્રીની આ જાતીય વ્યથા લગ્નજીવનના શરૂઆતના દિવસોમાં પુરુષના અકુશળ જાતીય વ્યવહારને કારણે પણ ઉત્પન્ન થઈ શકે છે. જો પ્રથમ મિલન વધારે પીડાદાયક હોય તો આગળ તેનો વિચાર સુધ્ધાં પણ એટલા દુ:ખદ થઈ જાય છે કે શરીર અને મન તેનાથી દૂર થઈ જાય છે.

પરિણીત સ્ત્રીઓમાં મુશ્કેલ પ્રસૂતિ પછી પણ આ માનસિક મુશ્કેલી ઊભી થઈ જાય છે. તેનું મન, પ્રસૂતિની પીડાને સંભોગનું કારણ સમજી સંભોગથી દૂર રહેવા માંગે છે. એક વાર આ સમસ્યા ઊભી થતાં આગળ એ એક ચક્રવ્યૂહની જેમ બની જાય છે. જ્યારે જ્યારે પતિપત્ની સંભોગ કરવા ઇચ્છે છે ત્યારે ત્યારે સ્ત્રીને પીડા થવા લાગે છે. બીજી બાજુ પુરુષનું મન પણ શંકાઓમાં ડૂબી જાય છે. તેની ધીરજ ઓછી થઈ જાય છે અને દામ્પત્ય સંબંધોમાં અસંતોષ અને છૂટા પડવાના અંદાજ વધી જાય છે.

કેટલાક દમ્પતીઓમાં ડિસપેરુનિયા કોઈ ખાસ શારીરિક સમસ્યાને કારણે પણ થાય છે. સ્ત્રીમાં યોનિદ્વાર પર સોજો આવી જાય, મૂત્રમાર્ગ (યૂરેથ્રા) દ્વાર પર માંસની ગાંઠ (ક્રંકલ) ઊપસી આવે, યોનિદ્વાર પર રહેલી બર્થોલિન ગ્રંથિમાં સોજો આવી જાય, ગુદાદ્વાર પર ફિશર થાય અથવા કોઈ ઓપરેશન કે પ્રસૂતિ પછી યોનિમાં પીડાદાયક બળતરા થાય તો સંભોગ પીડાદાયક હોય તે વાજબી છે.

આ રીતે ભંગ હાઈમનના કિનારીનો સોજો, જન્મથી અથવા રોગના કારણે સાંકડું યોનિદ્વાર અક્ષત હાઈમન પણ વિઘ્નરૂપ બનીને લગ્નજીનનાં ભૌતિક સુખમાં નડતર રૂપ બની શકે છે.

ગર્ભાશય મુખનો સોજો (સર્વિસાઈટિસ), શ્રોણિપ્રદેશનો સોજો, ગર્ભાશયનું અંદર જ ફરીને ઊંધું થવું (રેટ્રોવર્જન), અંડકોશ અને બીજવાહિની નળીઓનો સોજો અથવા રસોળી અથવા અંડોમિટ્રિયોસિસ સંભોગ ક્રિયામાં સીધું નડતું નથી પણ સંભોગ સમયે આંતરિક પીડા પહોંચાડે છે. આને કોલિજન ડિસપેરુનિયા કહેવાય છે.

ડિસપેરુનિયા હોય ત્યારે પતિપત્નીએ કોઈ સંકોચ-શરમ વગર ડોકટરની સલાહ લેવી જોઈએ. સ્ત્રીરોગ નિષ્ણાત પીડિત સ્ત્રીની અંદરથી તપાસ કરી સમસ્યાના મૂળ કારણને જાણી શકે છે.

પ્રશ્ન: હું ૧૯ વર્ષની યુવતી છું. થોડા દિવસો પહેલાં મારા બોયફ્રેંડે મને એકાંતમાં ચુંબન કર્યું. પાછળથી મને ખબર પડી કે તે મારા અગાઉ બીજી છોકરીઓ સાથે પણ ફ્લર્ટ કરતો રહ્યો છે. ત્યારથી મનમાં એવો ડર પેસી ગયો છે કે ક્યાંક તેના ચુંબનથી મને એઈડ્સ તો નહીં જાય ને. મેં તાજેતરમાં જ વાંચ્યું હતું કે લાળમાં પણ એઈડ્સ વાઈરસ છુપાયેલાં હોઈ શકે છે. શું આ સાચું છે? એઈડ્સના વાઈરસ કઈ રીતે ફેલાય છે?
- એક યુવતી (વડોદરા)

ઉત્તર: એ વાત સાચી છે કે જો કોઈ વ્યક્તિ એચઆઈવી પોઝિટિવ હોય તો તેની લાળમાં એઈડ્સ પેદા કરનારાં એચઆઈવી વાઈરસ મળી શકે છે. પણ આ સ્થિતિ ગણ્યાગાંઠયા ચેપી લોકોમાં જ જોવા મળે છે. જે લોકોની લાળમાં વાઈરસ હતો, તેમનામાં પણ વાઈરસની સંખ્યા લોહી અને જાતીય અંગોમાંથી આવતા કુદરતી સ્ત્રાવની સરખામણીમાં બહુ ઓછી હતી. એટલું જ નહીં, લાળમાં કુદરતી વાઈરસ રોધક તત્ત્વ પણ મોજૂદ હોય છે, જેને કારણે લાળનો ચેપ નગણ્ય આંકવામાં આવ્યો છે.

પણ જો કોઈ એટલું જોરથી ચુંબન કરે કે સામેની વ્યક્તિનો હોઠ કાપી લે અથવા ચુંબન લેનારના મોંમાં જખમ હોય તો જખમમાંથી નીકળતાં લોહીના માધ્યમથી એચઆઈવી વાઈરસ ચુંબન વખતે બીજાના શરીરમાં જઈ શકે છે.

આ સ્થિતિઓને છોડી દઈએ તો લાળ, આંસુ અને પરસેવાથી એચઆઈવી ફેલાવાનો ડર નહીંવત્ છે.

એચઆઈવી અનેક રીતે ફેલાઈ શકે છે. અશુદ્ધ લોહી લેવાથી એચઆઈવી પોઝિટિવ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ કે મુખમૈથુન કરવાથી, જનનાંગોના સ્ત્રાવના સંપર્કમાં આવવાથી અને અશુદ્ધ લોહીથી ચેપી થયેલી સોય વાગવાથી એચઆઈવીનો ચેપ લાગી શકે છે. નશા માટે બીજાની સોય, સીરિંજનો ઉપયોગ કરવાથી પણ રોગ થઈ શકે છે.

એચઆઈવી પોઝિટિવ સ્ત્રી સગર્ભાવસ્થામાં અને જન્મ પછી પોતાના દૂધથી પણ પોતાના બાળકને આ રોગ આપી શકે છે. એચઆઈવી પોઝિટિવ દર્દીનો ઈલાજ કરી રહેલાં ડોક્ટર, નર્સ અને તબીબી સહકર્મીઓને દર્દીના લોહીના સંપર્કમાં આવવાથી પણ ચેપ લાગી શકે છે.

પ્રશ્ન: હું ૫૫ વર્ષની મહિલા છું. મારા માથામાં છેલ્લા ૬ વર્ષોથી ૫ ગાંઠ વિકસી આવી છે. હજુ સુધી મેં એનો કોઈ ઈલાજ નથી કર્યો. તેના કારણે મને કોઈ તકલીફ નથી પણ તેનાથી મારો દેખાવ ખરાબ લાગે છે. મહેરબાની કરીને યોગ્ય સલાહ આપશો.
- એક મહિલા (પોરબંદર)

ઉત્તર: તમારા માથા પર ઊપસેલી ગાંઠો અનેક કારણોથી થઈ શકે છે. તેની ઉત્પત્તિ ત્વચાની સિબેશિયસ ગ્રંથિઓમાં સિસ્ટ બનવા સાથે છે. તે જોડાયેલી હોઈ શકે તે ચરબી જામવાથી પણ પેદા થઈ શકે છે, જેને લાઈપોમા કહે છે. એ પણ શક્ય છે કે તે સિસ્ટીસરક્રોસિસ અર્થાત્ ટેપવર્મના લાર્વાથી થઈ હોય.

આ માટે તમે કોઈ સર્જનને મળો. શારીરિક તપાસ કરવાથી જ તેમને એ ખબર પડી જશે કે ગાંઠો ક્યાં કારણથી થઈ છે. સિસ્ટીસર કોસિસ હોય તો માત્ર એલબેંડોજોલ દવા લેવાથી જ એ ઓગળી જશે. પણ સિબેશિયસ સિસ્ટ કે લાઈપામા હશે તો તેને તમે નાના ઓપરેશનથી કઢાવી શકો છો.

પ્રશ્ન: હું ૨૩ વર્ષની યુવતી છું. ૪ મહિના પહેલાં મને કમળો થયો હતો અને લોહીની તપાસ કરાવતાં એ ખબર પડી હતી કે આ કમળો હેપેટાઈટિસ-બીને લીધે થયો છે. મારું સ્વાસ્થ્ય હવે બિલકુલ બરાબર છે પણ ડોક્ટરની સલાહથી જ્યારે મેં ફરીવાર હેપેટાઈટિસ-બીનો બ્લડ ટેસ્ટ કરાવ્યો તો પોઝિટિવ આવ્યો છે. હું બહુ ડરી ગઈ છું. કહો કે એવામાં મારે શું કરવું જોઈએ?
- એક યુવતી (મહેસાણા)

ઉત્તર: હેપેટાઈટિસ-બી ના ૯૦ ટકા દર્દીઓમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ૬ મહિનાની અંદર જ હેપેટાઈટિસ-બીના જીવાણુઓ પર વિજય મેળવી લે છે. આ સ્થિતિમાં હેપેટાઈટિસ-બી રક્ત ટેસ્ટ નેગેટિવ થઈ જાય છે. પણ ૧૦ ટકા દર્દીઓમાં શરીર જીવાણુઓ ઉપર જિત પ્રાપ્ત નથી કરી શકતું અને જીવાણુઓનો લીવર પર પ્રહાર ચાલુ રહે છે. તેની લીવર પર ખરાબ અસર પડી શકે છે. પરિણામે, થોડાં વર્ષ પછી લીવરમાં સિરોસિસની ઉત્પત્તિ થઈ શકે છે અને કોઈક ૧ ટકા દર્દીઓમાં કેન્સર જેવી વધારે ગંભીર સમસ્યા પણ પેદા થઈ શકે છે.

યોગ્ય એ છે કે તમે ૨ મહિના પછી ફરીવાર હેપેપેટાઈટિસ-બી સંબંધી બ્લડ ટેસ્ટ કરાવો. જો ટેસ્ટ છતાં પણ પોઝિટિવ આવે. જેની માત્ર ૧૦ ટકા શક્યતા છે તો તરત જ કોઈ હિપેટોલોજિસ્ટ (લીવર રોગ નિષ્ણાત)નો સંપર્ક કરો અને ઈલાજ કરાવો. આ સ્થિતિમાં અલ્ફા ઈન્ટરફરોન દવા તમને વધારે કામ આવી શકે છે. આ દવા હિપેટાઈટિસ-બી જીવાણુઓના ચેપથી છુટકારો અપાવવાની શક્તિ ધરાવે છે.

પ્રશ્ન: મારા જમણા કાંડાથી થોડો ઉપરનો ભાગ ૨ વર્ષ પહેલાં બળી ગયો હતો. તે ઘા તો રુઝાઈ ગયો છે, પરંતુ હવે આ ભાગની ત્વચા જાડી અને ખરાબ દેખાય છે. ક્યારેક ક્યારેક તેમાં ખંજવાળ આવે છે. આનું શું કારણ હોઈ શકે છે? શું હાથની ત્વચા પ્લાસ્ટિક સર્જરીથી સરખી થઈ શકે છે?
- એક યુવતી (અમદાવાદ)

ઉત્તર: બળેલા ભાગની ત્વચા જાડી અને ખરાબ દેખાવી એ ઘા રુઝાતી વખતે ત્વચીય ઊતકોના અતિશય વધવા સાથે જોડાયેલું છે. આ સ્થિતિ શરીરના રિપેયરેટિવ પ્રોસેસમાં આવેલા બગાડથી થાય છે અને તેને પોસ્ટ બર્ન હાઈપરટ્રાફિક સ્કોર કહે છે. તેના પર કોઈનું નિયંત્રણ નથી ચાલતું, જોકે તેને દબાવવા માટે પ્લાસ્ટિક સર્જન ખાસ પ્રકારનાં પ્રેશર બેન્ડેજનો ઉપયોગ કરે છે. લાગે છે એ સમયે તમે ઈલાજના આ પાસાથી અપરિચિત રહ્યાં અને તમે પ્રેશર બેન્ડેજનો ઉપયોગ ન કર્યો.

જોકે, હજુ પણ આ હાઈપરટ્રાફિક સ્કોરમાં સુધારો શક્ય છે. આ માટે તમે કોઈ હોશિયાર પ્લાસ્ટિક સર્જનને મળો. ઉપસેલા ડાઘવાળા ભાગની ત્વચાને કાઢીને પ્લાસ્ટિક સર્જન તે ભાગમાં ત્વચાનો નવો ટુકડો લગાડી શકે છે. આથી ત્વચાની વિકૃતિ દૂર થઈ જશે, તેમ છતાં પણ સાધારણ નિશાન રહેશે જ.

Tags :