એક રાજાની ભક્તિએ પ્રજાનેય સદાચારી બનાવી દીધી
વ્રજનિધિએ અસંખ્ય પદો લખ્યાં છે. તેમના પદો તરફ નજર કરતાં તેમાં સંત સૂરદાસ, નાગરીદાસ અને રસખાન વગેરેના શબ્દોની છાંટ દેખાયા વિના રહેતી નથી.
ભક્તિ જેમ કર્મ અને જ્ઞાાનરૂપ સાધન છે, તેમ પરમાત્માના અનુગ્રહથી પણ પ્રાપ્ત થાય છે. પરમાત્માનો અનુગ્રહ જ જીવને અમૃત સમાન પોષણરૂપ છે. સેવા અને ભક્તિનો રાજમાર્ગ સર્વ જીવો માટે સરળ રસ્તો થઈ પડયો છે. આને કારણે જ પુષ્ટિમાર્ગ વધારે ખીલ્યો છે અને વિસ્તર્યો છે.
અપાર ઐશ્વર્યની વચ્ચે વિરકત રહી શ્રીકૃષ્ણ પરમાત્માની ભક્તિ કરવી એ અતિ કઠિન અને વિષમકાર્ય છે. આવા જાહોજલાલીભર્યા વાતાવરણમાં ભક્તિ ઉદ્દીપન ત્યારે જ થાય. જો જીવ વિરક્ત હોય અને આ વિરક્તપણું ત્યારે જ સંભવે જો એ જીવને જન્મોજન્મ પ્રભુની કૃપા મળી હોય. ભગવાને તેનો પરિગ્રહ કર્યો હોય ને જીવે ભગવાનનું જન્મોજન્મ દાસત્વ સ્વીકાર્યું હોય. અન્યથા નહિ.
ભગવાનની આવી પરમકૃપા પ્રાપ્ત કરનાર જયપુર જેવાં ધનાઢય રાજ્યના મહારાજા પ્રતાપસિંહ સવાઈ હતા. તેમની આજ્ઞાા ઊઠાવવા માટે તેમની તહેનાતમાં હજારો દાસ- દાસીઓ તથા રાજ્યના મંત્રીઓ હંમેશાં ખડે પગે રહેતા હતા. પરંતુ પ્રતાપસિંહને તો રાજ્યની સુખ-સંપત્તિ અને માનપાન કરતાંયે વધારે અને વિશેષ આનંદ તો ભગવાન શ્રીકૃષ્ણ અને તેની પ્રાણેશ્વરી રાધારાણીની સેવાભક્તિમાં જ મળતો હતો.
ઇ.સ.૧૭૬૫માં રજપૂતાના (રાજસ્થાન) પ્રદેશના જયપુર રાજ્યના સવાઈ રાજપરિવારમાં પ્રતાપસિંહ સવાઈનો જન્મ થયો હતો.
મહારાજા વ્રજનિધિ એટલે પ્રતાપસિંહ સવાઈ. રાજકાજ દરમિયાન પણ તેઓ પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રીવ્રજનિધિની સેવા-પૂજા કરવામાં તેમજ ભગવાનનાં કીર્તન- પદો લખવામાં ઘણો સમય ગાળતા હતા. આને કારણે જ રૈયતમાં તથા અન્ય રાજાઓમાં તે 'વ્રજનિધિ' તરીકે ઓળખાતા હતા.
મહારાજા વ્રજનિધિને જગન્નાથ ભટ્ટજીએ દીક્ષા આપી હતી. શ્રી જગન્નાથ ભટ્ટજીએ જ વ્રજનિધિના હૃદયમાં ભક્તિ-ભાવનાના અંકુર રોપ્યા હતા.
વ્રજનિધિ મહારાજને વ્રજભૂમિ પ્રત્યે ભારે અનુરક્તિ હતી. લગાવ હતો. તે વારંવાર વ્રજભૂમિનાં તીર્થોની યાત્રા કરતાં હતાં. રાજકાજ દરમિયાન પણ તેને વ્રજની રજમાં આળોટવાની ઉત્કટતા રહ્યા કરતી. વ્રજભૂમિ અને વ્રજરસનાં પાન સામે તેને પોતાનું રાજસુખ ફિક્કું લાગતું હતું. તેમણે વ્રજભૂમિની યાત્રા સમયે ઘણાં પદો લખ્યાં છે : વ્રજસિંગારનું તેમનું એક પદ જોઈએ :
પ્યારૌ વ્રજ કો હી સિંગાર ।
મોરપખા અરુ લકુટ બાંસુરી, ગર-ગુંજનકો હાર ।।
બન બન ગોધન સંગ ડોલીઓ, ગોપન સો કર યારી ।
સૂનિ સૂનિ કે સુખ માનત મોહન વ્રજબાસિનકી ગારી ।।
વ્રજનિધિએ ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્માના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું. વેદોના પ્રવચનથી, સારી ધારણાથી અને ઘણાં શાસ્ત્રોનું જ્ઞાાન હોવા છતાં પણ પરમાત્મા મળતા નથી. પરંતુ જે તન મન ધન અને હૃદયથી ખાલી થઈ જાય છે તેની સામે જ ભગવાન પોતાનું રૂપ પ્રગટ કરે છે. ભગવાનને મેળવવા હૃદય નિચોવી ખાલી થવું પડે. દુન્યવી અને ક્ષણભંગુર લૌકિક પદાર્થોની આસક્તિને દૂર કરવી પડે.
વ્રજનિધિને ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્મા રોજ દર્શન આપતાં અને તેમણે લખેલાં પાંચ ભક્તિપદો પોતાના હાથોહાથ લઈ સ્વીકાર કરતાં. રાજા વ્રજનિધિને નિયમ હતો કે શ્રીઠાકોરજીને નિત્ય પાંચ પદ લખીને સમર્પિત કરવાં. સાત્ત્વિક અને શ્રીકૃષ્ણની લીલાઓ વર્ણવતાં શૃંગારરસથી ભરપૂર પદો શ્રીઠાકોરજી સાક્ષાત્ સ્વરૂપે સ્વીકારતા હતાં તેનું પ્રમાણ એના એક પદમાં મળે છે.
આજુ મૈં અંખિયન કો ફલ પાયો
બાંકે બિહારી છુમ..છુમ.. કર આયો
વ્રજનિધિ કો દેખત હદે હરખાયો
પરમાત્મા સુધી પહોંચાડે કોણ ? ત્યાં પહોંચવા માટે નિસરણીની જરૂર પડે. નિસરણી ગુરુ વિના કોણ બને ? કાંઈ ભક્તિ પોતાના બળથી ભગવાન સુધી પહોંચી ભગવાનને પકડી શક્તી નથી. આના માટેનું માધ્યમ બને છે ગુરુ. વ્રજનિધિને પરમાત્મા સુધી પહોંચાડનાર હતા તેમના દીક્ષાગુરુ જગન્નાથ ભટ્ટજી. તેમણે જ મહારાજ વ્રજનિધિને પર બ્રહ્મ પરમાત્મા સુધી પહોંચાડયા હતા. અને આધ્યાત્મિક ઉંચાઈ સર કરાવી મહાન વ્રજભક્તની પદવી સંતસમાજમાં પ્રસ્થાપિત કરાવી હતી. આને જ સાચા અને સદ્ગુરુ કહેવાય.
વ્રજનિધિ પોતાના સેવકગણ અને રાજસેવકોને ઉપદેશ આપતા કહેતા કે- ધર્મ વિના બીજી કોઈ વસ્તુ કદાપિ માણસને ઉગારી શક્તી નથી અને લખ ચોર્યાશીના ફેરામાંથી મુક્તિ અપાવી શક્તી નથી. તમે સાચાં તન-મનથી એકવાર ખુલ્લાં હૃદયથી ભગવાનની આંગળી પકડી લો. પરમાત્મા અવશ્ય તમારી વહારે આવશે.
વ્રજનિધિની ભગવાન પ્રત્યેની ભક્તિની મોટી અસર તેમના રાજસેવકો અને ભક્તગણ ઉપર પડી હતી. અને તે બધા ધર્મ તરફ અને આદર્શ તરફ વળ્યા હતા. વ્રજનિધિના રાજ્યમાં ક્યારેય પણ પ્રજામાં બળવાની આગ કે પ્રજા-પ્રજાની વચ્ચે ભેદભાવ થયો હોય તેવા પ્રશ્નો ઉઠયા ન હતા.
રાજાને મન તમામ પ્રજા એકસમાન અને ભગવાનનું સર્જન જ હતી. એટલે જ કહેવાયું છે કે- ' જેવો રાજા એવી પ્રજા' જેનો રાજા તનથી નહિ તો મનથી પણ કપટી હોય તો પ્રજા પણ કપટી જ બને. જો રાજા તન-મનથી અણિશુદ્ધ હોય અને સર્વ પ્રજાને એકસમાન જોતો હોય તો પ્રજામાં ક્યારેય પણ બળવાની ચિંગારી ન પ્રગટે.
વ્રજનિધિએ અસંખ્ય પદો લખ્યાં છે. તેમના પદો તરફ નજર કરતાં તેમાં સંત સૂરદાસ, નાગરીદાસ અને રસખાન વગેરેના શબ્દોની છાંટ દેખાયા વિના રહેતી નથી. પરંતુ એનો અર્થ એવો તો નથી જ કે તેમનામાં પદશક્તિ ન હતી. આમેય દરેક કવિઓની રચનાઓ
અણિશુધ્ધ મૌલિકતા તરફ ઢળતી દેખાઈ નથી. ક્યાંકને ક્યાંય તેના પુરોગામી કવિઓની છાંટ દેખાઈ આવે જ છે. વ્રજનિધિની એક પદકવિતા જોઈએ. તેમાં રસખાનની છાપ ઉપસી આવી છે.
વિધિ શિવ, શેષ , સનક નારદ,
સે જાકો પાર ના પાવે ।
તાકો ઘર બાહર વ્રજસુંદરી,
નાના નાના નાચ નચાવે ।।
સંતભક્ત કવિ સૂરદાસ તથા રસખાનજીએ પણ આવું જ પદ રચ્યું છે. રસખાનજીનું આવું પદ જોઈએ :
શેષ, ગણેશ, મહેશ, દિનેશ
ઔર સુરેશ જિનકા પાર નાં પાવે ।
તાકો એક અહીર છોહરિયા
છાલિયામેં છાસ ભર કે નાચ નચાવે ।।
વ્રજનિધિએ સમાજને ધર્મનો સંદેશ આપ્યો છે. આદર્શનો બોધ આપ્યો છે અને સમાનતાનો ઉપદેશ આપ્યો છે. તે કહેતા કે જ્યાં ભેદભાવનું સ્થાન આવે છે ત્યાં કુટિલતા પ્રવેશે છે. અને આ કુટિલતા માનવોચિત ગુણો પર પ્રહાર કરે છે. સ્વચ્છ હૃદય જ પ્રભુને ગમે છે.
ઇ.સ. ૧૮૦૪માં ૩૯ વર્ષની નાની ઉમર ભોગવી વ્રજનિધિએ વ્રજભૂમિમાં પોતાના દેહને પરમાત્મામાં વિલીન કર્યો અને સમાજને રાજાનાં કર્તવ્યનું ભાન કરાવ્યું છે. સત્તાના મદમાં છકી જનારાઓએ વ્રજનિધિનો ઉપદેશ વાંચવો જોઈએ.
- ચંદ્રકાન્ત પટેલ