Magazines

ઈરાન યુદ્ધના પગલે બાયોડિઝલની માગ વધતાં ખાદ્યતેલોની બજારમાં સિનારીયો બદલાયો

By GS TEAM
24 May 20263 mins read
ઈરાન યુદ્ધના પગલે બાયોડિઝલની માગ વધતાં ખાદ્યતેલોની બજારમાં સિનારીયો બદલાયો

- ઊભી બજારે - દિલીપ શાહ

- ભારતમાં ક્રૂડતેલ પછી હવે ખાદ્યતેલોની  ઈમ્પોર્ટના બિલમાં પણ વૃદ્ધી  થતાં  સરકારી તંત્રમાં  અજંપો વધ્યાના નિર્દેશો

દેશમાં તથા દરિયાપારના બજારોમાં તાજેતરમાં ખાદ્યતેલોની બજારમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. ઈરાન, અમેરિકા તથા ઈઝરાયલ યુદ્ધના પગલે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી જતાં વિવિધ દેશોના અર્થતંત્રને ફટકો પડયો છે તથા ક્રૂડતેલનો વપરાશ ઘટાડવા હવે બાયોડિઝલનો કોનસેપ્ટ ટોક-ઓફ-ધી-ટાઉન બન્યો છે. બાયોડિઝલમાં પેટ્રોલ તથા ડિઝલમાં ખાદ્યતેલો તથા ઈથેનોલનું બ્લેન્ડીંગ કરવાનું ચલણ વધ્યું છે તથા આવા બ્લેન્ડીંગની ટકાવારી દરેક દેશો  હવે વધારવા માંડયાના સમાચાર મળ્યા હતા. આ પૂર્વે પણ વૈશ્વિક સ્તરે બાયોડિઝલનો વપરાશ વધ્યો હતો તથા હવે યુદ્ધના માહોલમાં આવા વપરાશો વૈશ્વિક સ્તરે વેગ પક્ડયો હોવાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, ક્રૂડના ભાવ વધતાં તેના પગલે વિશ્વ બજારમાં તાજેતરમાં ખાદ્યતેલોના ભાવ પણ ઉંચા જતાં જોવા મળ્યા હતા. મલેશિયામાં પામતેલના ભાવ વધી તાજેતરમાં બે મહિનાની ટોચે પહોંચ્યા હતા.

ઈન્ડોનેશિયાની સરકારે તો ઘરઆંગણે પામતેલનો વપરાશ વધતાં પામતેલની નિકાસ પર અંકુશો લાદવા વિચારણા શરૂ કર્યાના વાવડ પણ મળ્યા હતા. વિશ્વ બજારમાં તાજેતરમાં સોયાતેલના ભાવ પણ વધ્યાના વાવડ હતા. પામતેલના ભાવ તથા સોયાતેલના ભાવ વચ્ચેનો તફાવત પણ ઘટી ગયાના સમાચાર હતા. ભારતમાં ખાદ્યતેલોનું જે સ્થાનિક ઉત્પાદન થાય છે તેની સરખામણીએ સ્થાનિક માગ વધુ રહેતાં આપણે ખાદ્યતેલોની આયાત પર આધાર રાખવો પડે છે અને આયાત પર આવો આધાર ઘટાડવા તથા દેશમાં વિદેશી હુંડિયામણ બચાવવા ભારત સરકારે ઘરઆંગણે ખાદ્યતેલોનું ઉત્પાદન વધારવાના પ્રયત્નો પણ શરૂ કર્યાના નિર્દેશો મળ્યા હતા. આ માટે વિશિષ્ટ પ્રકારના ઓઈમ મિશનની રચના પણ સરકારે કરી હતી તથા દક્ષિણ ભારતમાં ખાસ કરીને તેલંગણામાં પામની ખેતી વધારવાના પ્રયત્નો પણ સરકારે શરૂ કર્યાના વાવડ મળ્યા હતા.

શેરડી-સુગરમાંથી તથા મકાઈમાંથી ઈથેનોલનું ઉત્પાદન દેશમાં તથા વિદેશોના વિવિધ દેશોમાં વધ્યું છે તથા પેટ્રોલ-ડિઝલમાં ઈથેનોલના બ્લેન્ડીંગની ટકાવારી પણ વધતી જોવા મળી છે. આમ ફયુઅલ ક્ષેત્રે તથા વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે ઈરાન યુદ્ધના પગલે સિનારીયો ઝડપથી બદલાતો જોવા મળ્યો છે. ભારતમાં ઈથેનોલના બ્લેન્ડીંગની ટકાવારી વધી આગળ ઉપર ૩૦ ટકા સુધી લઈ જવાનો ટારગેટ સરકારે બનાવ્યો છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં ચીનની મુલાકાત કર્યા પછી હવે અમેરિકાના સોયાબીનના બજારોમાં ચીનની ખરીદી વધવાની શક્યતા જાણકોરો બતાવી રહ્યા હતા. સોયાબીનના  ભાવ વધશે તો વિશ્વ બજારમાં સોયાતેલના ભાવ પણ ઉંચા જવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. ભારતમાં તાજેતરમાં ટૂંકાગાળામાં પેટ્રોલ તથા ડિઝલના ભાવમાં બે વખત વૃદ્ધી કરવામાં આવી હતી. આની ઈમ્પેક્ટ વચ્ચે કરન્સી બજારમાં રૂપિયો પણ ગબડતો જોવા મળ્યો હતો. દરમિયાન, ભારતમાં હવે ટૂંકમાં શરૂ થનારા ચોમાસા પર કૃષી બજારો તથા અર્થશાસ્ત્રીઓની નજર રહી છે. આગામી ચોમાસા પર અલનીનોની અસર પડશે એવી આગાહી વચ્ચે કૃષી બજારોમાં અજંપો પણ જોવા મળ્યો હતો.  ભારતના કૃષી બજારોમાં તાજેતપમાં વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવ ઉંચકાયા છે. દેશમાં તાજેતરમાં ૨૦૨૫-૨૬ના નાણાંવર્ષમાં વિવિધ ખાદ્યતેલોની ઈમ્પોર્ટનું બિલ વધી ૧૯ અબજ ડોલરની સપાટી પાર કરી ૧૯.૩૫ અબજ ડોલર  સુઘધી પહોંચ્યાના વાવડ મળ્યા હતા. ભારતમાં વિવિધ ખાદ્યતેલોની જે કુલ માગ રહે છે એ પૈકી આશરે ૬૦ ટકા માગ આયાતી ખાદ્યતેલો મારફત પુરી કરવામાં આવે છે એવો અંદાજ જાણકારો બતાવતા હતા.