Magazines

બંધન અને મુક્તિ .

By GS TEAM
6 May 20262 mins read
બંધન અને મુક્તિ                                             .

બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે તેની અવસ્થા બંધનમાં ગણાય છે. પરમાત્મા જીવને બંધનમાં રાખી તેના જીવનના શરૂઆતના દિવસોની ઝાંખી કરાવે છે. જીવનનાં તમામ પાસાઓમાં બંધન પ્રથમ પાસું છે. બંધન હશે તો મુક્તિ માટે પ્રયત્નો થશે. સર્વ પ્રથમ બંધન અને મુક્તિ માતાના ગર્ભમાંથી શરૂ થાય છે. માનવીના જીવનકાર્યની શરૂઆત માતા છે. માતાના ઉદરમાં અંધારા આલિશાન બંગલામાં આપણા જીવનની શરૂઆત થાય છે ત્યાં આપણું બંધન માત્ર નવમાસ અને દશ દિવસનું હોય છે. ત્યારબાદ જન્મ થયા પછી આપણે બંધનમાંથી મુક્ત થઈએ છીએ. દરેક માનવી પોતાના કાર્ય કે અભિમાનમાંથી મુક્ત થવાનું ચાહે છે. સફળતા મળે કે ન મળે પરંતુ કોઈપણ કાર્યનો અંત જરૂર હોય છે. જન્મ લેનારનું મૃત્યું નક્કી જ હોય છે. જે આવે તે જાય છે. જે ઉગે છે તેને આથમવું જ પડે છે. 

જીવનમાં બંધન અને મુક્તિની ઘટનાઓ ઘણી આવે છે. તેમાં સમય અને સંજોગો જવાબદાર છે. માતાપિતા સાથે સંતાનોનાં બંધન, કૌટુંમ્બિક બંધન તથા સાંસારિક બંધનો આપણી સાથે સંકળાયેલા હોય છે. ભાઈ બહેનના પવિત્ર બંધન જગતમાં મૂલ્યવાન ગણાય છે. પતિપત્નીના બંધનથી જગતની વૃધ્ધિ થાય છે. સમયાંતરે ઋણાનુબંધ પૂર્ણ થતાં સાંસારિક બંધનોમાંથી મુક્તિ મળે છે. માનવી જીવન દરમિયાન ગમે તે કાર્ય પૂર્ણ કરવા પ્રયત્નો કરે છે. કાર્ય પૂરૂ થતાં તેને તેમાંથી મુક્ત થયાનો આનંદ થાય છે, પરંતુ બંધનો વધતાં જ જાય છે. જીવન એક એવું વન છે જેનો અંત મૃત્યુ પછી આવે છે. ત્યાં સુધી અસંખ્ય તાણાવાણા અનેક વિટંબણાઓ પારાવાર મુશ્કેલીઓ અને અસહ્ય યાતનાઓનો સામનો કરવો પડે છે. ઘણાં કામમાં માત્ર બંધનો જ હોય છે. તેમાંથી મુક્ત થવાતું નથી ત્યારે માનવી ખૂબ મૂંઝાઈ છે. નાસીપાસ થાય છે. સમયજતાં અવસ્થા બદલાતાં માનવી કેટલું અને કેવું જીવ્યો છે તેના લેખાંજોખાં પોતે જ કરે, સમજે, વિચારે અને સારી ભાવનાથી જીવનમુક્તિ મેળવે તો તેના જીવનનો બેડોપાર થઈ જાય છે. તે માનવીમાંથી માનવ અને મહામાનવ બની જાય છે. 

- ભગુભાઈ ભીમડા