Get The App

શરીરનો દુ:ખાવો અને આયુર્વેદ .

Updated: Jun 16th, 2025

GS TEAM


Google News
Google News
શરીરનો દુ:ખાવો અને આયુર્વેદ                                 . 1 - image


- આરોગ્ય સંજીવની

આજકાલ શરીરનો દુ:ખાવો એ ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે. આપણે દરરોજ એવા ઘણાં માણસોને મળીએ છીએ કે જેઓ ફરિયાદ કરતાં હોય છે કે મારું જે તે અંગ જકડાઈ ગયું છે. સામાન્ય રીતે ઘરકામ કરતી સ્ત્રીઓ, કોમ્પ્યુટર ઉપર લાંબા સમય સુધી બેસી રહેતી વ્યક્તિઓ, સતત ઉભાં ઉભાં કામ કરતી ગૃહિણીઓ વગેરેને આ ફરિયાદ મોટા ભાગે રહેતી હોય છે. શરીરનું કોઈ એક અંગ જકડાઈ જાય ત્યારે શરીરનું હલન ચલન પણ મુશ્કેલ બની જાય છે. જકડાઈ ગયેલાં અંગને જકડાહટથી મુક્ત કરવું ઘણીવાર કઠિન બની જાય છે. અહીંયા આજે આપણે આયુર્વેદના કેટલાંક સરળ અને ઘરગથ્થુ ઉપચારો જોઇશું કે, જેનાથી શરીરના કોઈ પણ અંગને સરળતાથી જકડાહટથી મુક્ત કરી શકાય છે. જેના માટે નીચેનામાંથી કોઈપણ અનુકૂળ પ્રયોગ કરી શકાશે જેમાં,

(૧) જો ડોકની જકડાહટ થઇ ગઈ હોય અને સાથે સાથે અન્ય સાંધાઓ પણ પકડાઈ ગયા હોય તો સરસીયાના તેલમાં કપૂરને નાખી તેમાં થોડું મીઠું નાખી તે તેલને સુખોષ્ણ કરી લેવું અને ત્યારબાદ તેનાથી માલિશ કરવી જેથી ઉપરોક્ત તકલીફમાં ખૂબ રાહત મળશે.

(૨) શરીરનાં જકડાઈ ગયેલા તમામ અંગો માટે પણ સાંધાના કે હાડકાંના દુ:ખાવા માટે એક સચોટ ઉપાય બતાવું છું, જેમાં ધતૂરા પાનનો રસ ૮૦૦ ગ્રામ લેવો અને સરસીયાનું તેલ ૧૫૦ ગ્રામ લેવું, તેમાં ૧૦ ગ્રામ હળદર મેળવી ધીમા તાપે ઉકાળવું, બધો ધતુરાનો રસ બળી જાય ત્યારે આ તેલને ઠંડુ કરી ગાળી લેવું. આ તેલની માલિશથી તમામ પ્રકારનાં અંગગ્રહમાં ફાયદો થાય છે.

(૩) શરીરનું જકડાઈ જવું, કમરનું પકડાઈ જવું, નાના-મોટા સાંધાઓમાં દુ:ખાવો થવો, વગેરે તમામ ફરિયાદોમાં તલનાં તેલમાં સૂંઠ અને હિંગ નાખી સહેજ ગરમ કર માલિશ કરવી.

(૪) ઘણીવાર બહેનોને પગની એડીનો ભાગ ખૂબ દુ:ખતો હોય તેવાં ઘણા કેસ મેં મારી ઓપીડીમાં જોયા છે. એડીનાં દુ:ખાવા ઉપર ખૂબ જ સરળ અને અનુભૂત પ્રયોગ બતાવું છું, આકડાનાં દૂધમાં રૂ પલાળી રાખી દઇ દુ:ખતી એડીના ભાગ ઉપર તે પલાળેલું દૂધ રાખી દઇ ઉપર પાટો બાંધી દેવો. આ પ્રયોગ સતત ૧૫ દિવસ સુધી કરવો. એડીનો દુ:ખાવો, નસ પકડાઈ ગયેલ હોય કે સાંધા દુ:ખતા હોય તે માટે પણ આ સારો પ્રયોગ છે. પરંતુ આકડાનું દૂધ ફક્ત બાહ્ય પ્રયોગાર્થે જ વપરાય છે. તેની ખાસ સાવધાની રાખવી. આ પ્રયોગ કર્યા બાદ હાથ બરાબર ધોઈ નાખવાં.

(૫)અંગગ્રહ ખૂબ થઇ ગયો હોય તો જકડાહટ છૂટી કરવા એક સરળ ઘરગથ્થુ પ્રયોગ બતાવું છું, જેમાં બે નંગ નાળિયેર લેવા તેમાંથી ટોપરું કાઢી તેના ટુકડા કરવા પછી તો ટુકડા ને કાઢી તેને ખાંડી નાખવાં. ખાંડેલા આ કોપરાને વાસણમાં લઇ ધીમા તાપે ગરમ કરવું, ગરમ થતાં તેમાંથી તેલ છૂટું પડશે, પછી તે તેલ ગાળી લઇ બીજા વાસણમાં લઇ લેવું, પછી આ તેલમાં ૩ નંગ લસણની કળી વાટીને નાખવી અને સાથે સાથે મરીનું ચૂર્ણ ૫ ગ્રામ જેટલું લઇ તેમાં મેળવવું, અને ત્યારબાદ બધું હલાવી એક રસ કરી આ તેલથી જકડાઈ ગયેલાં શરીરના અંગ ઉપર માલિશ કરવી, ત્યારબાદ રેતીને ગરમ કરી તેની પોટલી બનાવી તેનાથી જકડાઈ ગયેલાં શરીરનાં અંગ ઉપર માલિશ કરવી. ત્યારબાદ રેતીને ગરમ કરી તેની પોટલી બનાવી તેનાથી જકડાઈ ગયેલા શરીરના અંગ ઉપર માલિશ કરવી. ત્યારબાદ તેનાથી જકડાઈ ગયેલાં જે તે ભાગ ઉપર શેક કરવો. સવાર-સાંજ આ પ્રમાણે કરવાથી જકડાઈ ગયેલ અંગ સીધું જ જકડાહટથી મુક્ત થાય છે.

(૬) શરીરમા 'આમ' અને 'વાયુ' ખૂબ હોય અને સાથે સાથે સાંધાના 'વા'ના કારણે પણ ખૂબ દુ:ખાવો રહેતો હોય તેવા દર્દીઓ માટે એક સરળ ઉપાય સૂચવું છું.

રાત્રે ૧ તોલો મેથી ૧ કપ પાણીમાં પલાળી સવારે તેમા ૨થી ૩ ગ્રામ સૂંઠ અને ૧૦ ગ્રામ જેટલો ગોળ નાખી તેને ઉકાળવું. મેથી બરાબર બફાઈ જાય પછી ઉતારી ગાળી લેવું અને આ સુખોષ્ણ ઉખાળો પી લેવો, જેનાથી શરીરનો આમ ઝાડા વાટે નીકળી જશે. 'સાંધાનો વા' પણ આનાથી મટે છે.

ઉપરોક્ત પ્રયોગોમાંથી જે પ્રયોગ સરળ જણાય અને માફક આવે તે કરવાથી અંગગ્રહ જકડાહટમાં ખૂબ જ ફાયદો જણાશે.

ઘણીવાર સાંકર કે ખાંડ વધારે પડતી ખાવાથી શરીરનાં સાંધાઓમાં કળતર થાય છે, તે જ રીતે ડાયાબિટીસના દર્દીઓને પણ શરીરનો દુ:ખાવો, પગની પીંડીઓમાં કળતર વગેરે થતું હોય છે. આ દુ:ખાવો મટાડવા કેટલાંક સરળ ઉપાયો સૂચવું છું.

ગંઠોડાનું ચૂર્ણ (પીપરીમૂળ) ૧ ચમચી અને મીઠું ૧ ચમચી મિક્સ કરી રાત્રે સૂતી વખતે પાણી સાથે લેવું, જેનાથી ઘણો જ ફાયદો જણાશે.

૧ તોલો જેટલી મેથી, ૫ ગ્રામ સૂંઠ સાથે ૧ ગ્લાસ પાણીમાં ઉકાળવી. ૧/૪ ભાગ પાણી બાકી રહે ત્યારે ગાળી ને પી જવું, ડાયાબિટીસ ન હોય તો, થોડો ગોળ નાખી શકાય છે. આ ઉકાળો રાત્રે અથવા વહેલી સવારે પીવાથી શરીરનું કળતર અને સાંધાના દુ:ખાવા મટે છે. કબજિયાત રહેતી હોય તો તેમાં ૧ ચમચી દિવેલ મેળવીને પીવું. જે સ્ત્રીઓને કમરનો દુ:ખાવો ખૂબ રહેતા હોય તેમણે અશ્વગંધા અને શતાવરીનું ચૂર્ણ સમભાગ લઇ તેને ૨૦૦ ગ્રામ દૂધને ૨૦૦ ગ્રામ પાણીમાં મિક્સ કરી ઉપરોક્ત ચૂર્ણ તેમાં નાખી ધીમા તાપે ઉકાળવું. પાણી બળી જાય ત્યારે ઉતારી ઠંડુ કરી આ ક્ષીરપાક, ખીર પીવી. તેમાં જરૂર પ્રમાણે સાકર મેળવી શકાય. ઉપરોક્ત, પ્રયોગો નિ:સંશય શરીરનાં દુ:ખાવામાં ખૂબ અદ્ભૂત પરિણામો આપે છે જેમાં બે મત નથી. 

- જ્હાનવીબેન ભટ્ટ

Tags :