શ્રદ્ધાનો મહિમા .
માનવજીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસનો ફાળો તથા અગત્યતા અનેકગણી છે. શ્રદ્ધા અને વિશ્વાસ એક જ સિક્કાની બે બાજુ છે. ગીતામાં પણ કહ્યું છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ' શંકારહિત શ્રદ્ધા જ સફળ જ્ઞાાન આપે છે. એક જાણીતી પંક્તિ પણ છે.
શ્રદ્ધા જ લઈ ગઈ મંઝીલ ઉપર મને
રસ્તો ભુલી ગયો તો દિશાઓ ફરી ગઈ.
હરિદ્વાર ગાયત્રી શક્તિપીઠની જાણીતી પંક્તિ છે.
સજલ શ્રદ્ધા, પ્રખર પ્રજ્ઞા,
શ્રદ્ધા વિશે જ ખુબ પ્રચલિત શેર પણ છે.
શ્રદ્ધાનો હો વિષય તો, પુરાવાની શી જરૂર ?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.
શ્રદ્ધા થકી ઘણાંના ઘણાં કામો પણ થયાં છે. દ્રૌપદીનાં ચીરહરણ વખતે તેને શ્રદ્ધા હતી જ કે શ્રી કૃષ્ણ તેની મદદે જરૂર આવશે. નાગર નરસૈંયાને જ્યારે કેદમાં પુર્યા હતા ત્યારે તેને શ્રદ્ધા હતી જ કે શ્રીકૃષ્ણ આવીને મને મદદ કરશે અને શ્રીકૃષ્ણે દયા તથા કૃપા કરી અને જેમાં જ હાર ઉડતો ઉડતો આવ્યો જે દામોદરજીનાં ગળામાં પહેરાઈ ગયો.
અડગ શ્રદ્ધા પાસે સર્જનહારે પણ ઝુકવું પડે છે. કુંવરબાઈના મામેરામાં પણ નરસિંહ મહેતાની અખુટ શ્રદ્ધાએ કામ કર્યું. શીરડીના સાંઈ બાબાનો મંત્ર પણ છે. શ્રદ્ધા- સબુરી, માનવીને અપાર તથા અડગ શ્રદ્ધા પાર ઉતારે છે.' 'મેરૂ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં' તે ભજનમાં પણ શ્રધ્ધાની જ વાત કહી છે.ળ
માનવ સ્વભાવ એવો છે કે કેટલીકવાર આપણી શ્રધ્ધા ડગી જાય છે પરંતુ આખરે પ્રભુ જ પાર ઉતારે છે. નરસિંહ - મીરાં જેવી શ્રદ્ધા જીવનની નૌકાને પાર ઉતારે છે. આપણે ત્યાં એક કહેવત પણ છે કે 'વિશ્વાસે વહાણ પણ ચાલે છે. શ્રદ્ધાની સરિતા પરમની સમીપે લઈ જાય છે.
શ્રદ્ધાનું વિરોધી શંકા કે સંશય છે. સંશય આત્મા વિનાશ પામે છે. સંશયથી શ્રદ્ધાનો પાયો ડગમગે છે. શ્રદ્ધાની સુરાવલી સુરમાં રહે તો જીવન સરગમ સુરમયી લાગે છે. ઇતિહાસ તથા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે રામનામથી પત્થરો પણ તર્યા હતા.
શ્રદ્ધા વિશ્વાસ એક શંકર-પાર્વતીનું રૂપ છે. શ્રદ્ધાનું સરવૈયું નફા સુધી લઈ જાય છે.
- ભરત અંજારિયા