'ભયનું હરણ કરે તે ભૈરવ' ગુજરાતનું પ્રથમ શિખરબંધી કાલભૈરવ મંદિર

ઉત્તર ગુજરાતના અરવલ્લી પર્વતના સાનિધ્યમાં હિંમતનગરથી ૨૮ કિ.મી. દૂર ખેડ-તસિયા રોડ પર શ્રી કાલભૈરવનું ઐતિહાસિક મંદિર ઇડર તાલુકાના બોલુન્દ્રા (રૂવચ) ગામના પાદરે આવેલું છે. હિન્દુ, જૈન અને તમામ સંપ્રદાયોમાં જેમની આરાધ્ય દેવ તરીકે પૂજા થાય છે તેવા વિશ્વવંદનીયશ્રી કાલ ભૈરવનું ગુજરાતમાં પ્રથમ શિખરબંધી મંદિર છે. ભગવાન શિવના અંશ અવતાર તરીકે પૂજાતા ભૈરવદાદાનું સિધ્ધ મંદિર છે. લાખો લોકોની આસ્થા અને શ્રધ્ધાનું દેવસ્થાન છે. ગામનું પ્રાકૃતિક વાતાવરણ દાદાની કાષ્ઠની મૂર્તિ અને મંદિરના પૌરાણિક ઇતિહાસના ત્રિવેણી સંગમપર ઉભેલા આ ઇષ્ટદેવ (કાલભૈરવદાદા) તેમની બાજુમાં બાવનવીર, ચોસઠ જોગણી અને મહાકાળી માતાજીનું સ્થાપન છે. અહીં આશરે સવા બસો વર્ષથી પૂજાય છે. પથ્થરમાંથી બનેલા આ મંદિર પર સુંદર શિલ્પ, સ્થાપત્ય, વિશાળ પ્રાંગણ સૌને આકર્ષે છે. મંદિરની બાજુમાં આવેલી ઐતિહાસિક વાવમાં ઇડરના મહારાજા સાહેબનો શિલાલેખ મંદિરના વૈભવની સાક્ષી પૂરે છે.








