જૈન દર્શનની તપસંહિતા: તપ વિના તાપ નહિ, તાપ વિના શુદ્ધિ નહિ અને શુદ્ધિ વિના સિદ્ધિ નહિ
અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ
જૈન શાસનની તાત્વિક શ્રેષ્ઠતાા જેમ એનો અદ્ભુત- અનુુપમ અનેકાંતવાદ છે, તેમ લોકદૃષ્ટિએ શ્રેષ્ઠતા એનું અદ્ભુત- અનુપમ તપ છે. જૈન હો કે જૈનેતર હો: દરેક સરેરાશ સ્તરની વ્યકિતમાં જૈન શાસને દર્શાવેલ તપશ્ચર્યા માટે ઉત્તમ અહોભાવ નિહાળવા મળે છે. એટલે જ તપપદપૂજામાં કવિવર પંડિત પદ્મવિજયજી ગણિવરે આ મસ્ત પંક્તિ લખી છે કે' તપસ્યા કરતાં કરતાં હો કે ડંકા જોર બજાયા હો.' અમારી વાત કરીએ તો છેલ્લા ચાર વર્ષના અમારા તથા શિષ્યોના ચાતુર્માસોમાં કુલ સાતસો પંચોતેર માસક્ષમણતપ થયા છે.
માસક્ષમણ- સળંગ ત્રીશ ઉપવાસની કઠિન તપસ્યા આટલી વિપુલ સંખ્યામાં થઈ હોવાથી અહીં મુંબઈમાં ઘણા ઘણા જૈનો અમને 'માસક્ષમણવાળા મહારાજ' રૂપે પિછાણે છે. ભલેને ચાતુર્માસમાં પ્રવચનો- શિબિરો કે દાનપ્રવાહ જબરજસ્ત વહ્યો હોય, પરંતુ લોકમાનસમાં અમીટ અસર આ માસક્ષમણોની જ રહે છે. શું દર્શાવે છે આ ? એ જ કે લોકમાનસમાં તપનો મહિમા સર્વોપરિ છે.
આવા મહાન તપની વાત 'જ્ઞાાનસાર' ગ્રન્થકાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર એકત્રીશમાં અષ્ટકમાં બહુ જ સંતુલિત રીતે પ્રસ્તુત કરે છે. જૈન દૃષ્ટિએ તપના કુલ બાર પ્રકાર છે. તેમાં છ બાહ્ય તપ છે અને છ અભ્યંતર તપ છે. આ બે ય વિભાગોનું સરસ સંતુલન કરીને તપની વ્યાકરણ શુધ્ધ વ્યાખ્યા કરતાં તેઓ પ્રથમ શ્લોકમાં લખે છે કે:
જ્ઞાાનમેવ બુધા: પ્રાહુ: કર્મણાં તાપનાત્ તપ:
તદભ્યન્તરમેવેષ્ટં, બાહ્યં તદુપબૃંહકમ્.
ગ્રન્થકાર તપની સચોટ વ્યાખ્યા કરે છે કે જે કર્મોને તપાવે તેનું નામ તપ. ખાણમાં રહેલ માટીમિશ્રિત- અતિમલિન સુવર્ણને જ્યારે અગ્નિનો યોગ થાય ત્યારે એ અગ્નિના તાપથી સુવર્ણમાંથી બધી રજ- મલિનતા નષ્ટ થઈ જાય અને શુધ્ધ સુવર્ણ ઝગારા મારી ઊઠે. એ જ રીતે કર્મની માટીથી અતિમલિન આત્માને જ્યારે તપનો યોગ થાય ત્યારે એના તાપથી આત્માનું કર્મમાલિન્ય ખતમ થાય અને આત્મા ક્રમશ: શુદ્ધ- અતિશુધ્ધ બને. માટે જણાવાયું કે જે કર્મોને તપાવે તે તપ.
ચિંતકો અગ્નિની ત્રણ વિશેષતાઓ સાથે તપની પણ ત્રણ વિશેષતાઓ સરસ સરખાવે છે. તેમાં પ્રથમ છે દાહકતા. રજમિશ્રિત સુવર્ણના ઉપરોક્ત ઉદાહરણમાં આપણે નિહાળ્યું કે અગ્નિની દાહકતા મલિનતાને બાળીને ખતમ કરી નાંખે છે, તેમ તપની દાહક્તા આત્માની કર્મમલિનતાને બાળી નાંખે છે.. અગ્નિની બીજી વિશેષતા છે પ્રકાશક્તા. અગ્નિ સ્વયં દીપ્તિમંત- પ્રકાશ ભરપૂર છે. એવો પ્રકાશ એનો છે કે એ અંધારી રાત્રે ય દૂરથી નજરે તરી આવે અને એની પ્રકાશક્તા એવી વિશિષ્ટ છે કે એના સંપર્કમાં આવનાર યોગ્યતાસંપન્ન પદાર્થને તુર્તજ પ્રકાશમાંન કરે.
જેમકે એક નહિ પ્રગટેલ દીપક અગ્નિના સંપર્કથી તુર્ત પ્રકાશિત થઈ જાય. એમ તપ પણ પ્રકાશક છે. એ સ્વયં એવો પ્રકાશભરપૂર છે કે ભોગલાલસા- સ્વાદલાલસાના અંધકારમય આ કાળમાં પણ એનો પ્રકાશએનું તેજ દૂર દૂર સુધી નજરે તરી આવે અને યોગ્યતાસંપન્ન આત્માઓ એ તેજ ઝીલી સ્વયં પ્રકાશમાન બને છે. કેવા નમસ્કરણીય પરિણામ આ તપનાં તેજ ઝીલવાથી આવે એ જાણવું છે ? તો વાંચો આ જ ચાતુર્માસની આ સત્ય ઘટના:
ઇ.સ.૨૦૧૯ના મુંબઈ- પાર્લાસંઘનાં અમારા આ ચાતુર્માસ દરમ્યાન એકમાત્ર પાર્લાસંઘમાં સામૂહિક માસક્ષમણ થયા એકસોચોપન. એક જ સંઘમાં થયેલ આટલી વિરાટ સંખ્યાના માસક્ષમણોએ અનેકોનાં અંતરમાં શુભ ભાવનાઓનો પ્રકાશ રેલાવ્યો. એમાં એક સ્થાનક માર્ગી ભાઈએ સ્વયં એવો સંકલ્પ કર્યો કે મારાથી માસક્ષમણ થાય નહિ. પરંતુ જેઓ આ તપ કરે છે એમના તપની નિર્વિઘ્ન સમાપ્તિ માટે હું સમગ્ર ચાતુર્માસ રાત્રિભોજન ત્યાગ અને કંદમૂળત્યાગ કરીશ.' કોઈ જ વ્યકિતગત પ્રેરણા વિના સ્વયંસ્ફૂર્તપણે કરાયેલ આ શુભ આચરણમાં તપની પ્રકાશક્તા સરસ પ્રતિબિંબિત થાય છે.
અગ્નિની ત્રીજી વિશેષતા છે શોધકતા. પૂર્વોક્ત રજમિશ્રિત સુવર્ણના ઉદાહરણમાં જ આપણને સ્પષ્ટ સમજાય છે કે અગ્નિના સંયોગથી મલ ભલે બળી જાય, પરંતુ સુવર્ણબળી જતું નથી. એ તો શુદ્ધ અતિ શુદ્ધ થઈ જાય છે. તેમ તપના સંયોગે કર્મો ભલે બળી જાય, પરંતુ આત્મા બળતોે નથી. એ તો તપના અગ્નિથી વધુને વધુ શુદ્ધ બનતો જાય. આ રીતે અગ્નિ અને તપ વચ્ચે ત્રણ સરસ સામ્ય છે. જાણે કે એટલે જ ગ્રન્થકારે 'કર્મને તપાવે એ તપ' આ વ્યાખ્યા કરીને તપને અગ્નિની ગર્ભિત ઉપમા આપી હશે.
કર્મને તપાવે તે તપ આ વ્યાખ્યા સૌથી વધુ ચરિતાર્થ થાય છે અભ્યંતર તપમાં. કારણકે પ્રાયશ્ચિતથી માંડીને ધ્યાન- કાયોત્સર્ગ આદિ અભ્યંતર તપ એવા છે કે જે કર્મોને પ્રચંડ પ્રમાણમાં ખતમ કરે. એકમાત્ર ધ્યાનતપની વાત કરીએ તો, જૈનશાસ્ત્રો કહે છે કે ક્ષપકશ્રેણિસ્થિત સાધકનું ધ્યાનતપ એવું પ્રચંડ હોય છે કે એમાં એના તો ધાતીકર્મો બળીને ખતમ થઈ જ જાય.
ઉપરાંત જો તેવું શક્ય બનતું હોત તો જગતના તમામ જીવોના ઘાતીકર્મો બળીને ખતમ થઈ શક્યા હોત. પરંતુ એક આત્માનાં કર્મો અન્ય આત્માબાળી ન શકે એવો સનાતન નિયમ હોવાથી એ શક્ય નથી થતું. બાકી ધ્યાનતપની તાકાત આવી પ્રચંડ છે. આથી ગ્રન્થકારે યથાર્થ જણાવ્યું કે અભ્યંતરતપ ઇષ્ટ છે પ્રમાણ છે.
પણ..માત્ર અભ્યંતરતપની વાત કરીને બાહ્ય ઉપવાસાદિ તપ પ્રત્યે દુર્લક્ષ કરવું નહિ. આ સમજાવવા તેઓ ફરમાવ્યું કે બાહ્ય તપ પેલા અભ્યંતરતપનો ઉપબૃંહક છે- વૃદ્ધિ કરનાર છે. આજે એક' ફેશન' ચાલી છે ધર્મક્ષેત્રે કે ખાતા-પીતા રહેવું, શરીરને જરાય કષ્ટ ન આપવું, અરે ? રાત્રે ય ખાણી-પીણીના જલસા કરવા અને વાતો અભ્યંતર તપની કરવી. જો આ જ રીતે ખાણી-પીણીમાં મસ્ત રહી બાહ્યતપનિરપેક્ષતાપૂર્વક અભ્યંતર તપ થઈ શક્તા હોત તો શ્રી તીર્થકર ભગવંતોએ પણ એમ જ કર્યું હોત.
શાસ્ત્રઓ સાક્ષી છે કે દરેક પરમાત્મા તીર્થકરદેવો સંયમનો સાધનાપથ અંગીકાર કરે ત્યારે એમને ઉપવાસાદિ બાહ્ય તપ અવશ્ય હોય, સાધનાની પૂર્ણાહુતિએ- કેવલજ્ઞાાન પ્રાપ્તિની ક્ષણોમાય બાહ્યતપ હોય, અને તેઓ મોક્ષે પધારે ત્યારે ય માસક્ષમણ છટ્વ વગેરે હોય. અરે ? પ્રભુ મહાવીર દેવનાં સાધનાજીવન પર દૃષ્ટિપાત કરીએ તો ત્યાં અ...ધ...ધ થઈ જઈએ તેવો બાહ્ય તપ નિહાળવા મળે છે. સાડા બાર વર્ષના કુલ સાધનાકાળમાં સાડા અગિયાર વર્ષથી વધુ ઉપવાસ: આ એમનો સાધનાખંડનો બાહ્ય તપ છે.
આ બાહ્ય તપનાં અનુસંધાનમાં એક પ્રશ્ન થઈ શકે કે સળંગ ત્રીશ- પીસ્તાલીશ દિવસના ઉપવાસ આદિ બાહ્ય તપ દુઃસહ અતિશય કષ્ટરૂપ ન બની જાય ? એનો મજાનો ઉત્તર ત્રીજા શ્લોકમાં આપતા ગ્રન્થકાર ફરમાવે છે કે:
ધનાર્થિનાં યથા નાસ્તિ, શીતતાપાદિ દુઃસહમ્ ;
તથા ભવ વિરક્તાનાં, તત્ત્વજ્ઞાાનર્થિનામપિ.
દુકાનદારની દુકાને 'સીઝન'માં ભરપૂર ઘરાકી હોય તો એ વહેલી પ્રભાતે ઉઠી જઇ દુકાને જશે, કલાકો સુધી ઉભા રહી ગ્રાહકોને માલ વેચશે, અરે ? સતત ઘરાકીમાં એ બપોરનું ભોજન પણ જતું કરશે. શું એને આ બધું અસહ્ય લાગશે ? ના. કેમ કે એને ચિક્કાર કમાણી થાય છે એનો આનંદ છે. એક શ્રમજીવીને શિયાળાની વહેલી સવારે કે ઉનાળામાં ભરબપોરે પણ કામની 'વરદી' મળતી હોય તો એ હોંશહોંશે કાર્ય કરશે: જો મોંમાંગ્યા પૈસા મળે તો. શું એને ત્યારે ઠંડી કે ગરમી દુઃસહ લાગશે ?ના. એને તો વધુ વેતન મળવાનો આનંદ આનંદ હશે.
બસ, આ વાત સમજાવીને ગ્રન્થકાર કહે છે કે જેમ ધનની અર્થીવ્યકિતને ઠંડી-ગરમી-ઉજાગરા-શારીરિક કષ્ટ વગેરે દુઃસહ લાગતા નથી તેમ સંસારથી વિરકત તત્વજ્ઞાાનાર્થી આત્માઓને પણ ઉપવાસાદિજન્ય શારીરિક કષ્ટો દુઃસહ લાગતા નથી. જેઓને એ ખબર છે કે તપ કર્મનિર્જરાનું કારણ છે તેઓ ઉપવાસાદિજન્ય શારીરિક કષ્ટો ય કેવા હસતા હસતા સહન કરે અને તપને જીવનપરિવર્તનનું કેવું નિમિત્ત બનાવે એ જાણવું છે ? તો વાંચો આ જ ચાતુર્માસની આ સત્ય ઘટના ઃ
અમારા ધર્મપરિચિત પુણ્યાત્મા હરેશભાઈ દેવરાજ શાહ. અમારા પાર્લાસંઘના આ ચાતુર્માસમાં મુખ્ય નિમિત્ત તેઓ છે. જ્યારે માસક્ષમણતપના સામૂહિક અનુષ્ઠાનનો શંખનાદ ફુંકાયો ત્યારે એમના યુવાન સુપુત્ર વૈભવે પણ માસક્ષમણતપ કર્યું. શ્રદ્ધા અને સત્ત્વએનું એવું હતું કે સળંગ સોળ અને ચૌદના કુલ બે જ પચ્ચક્ખાણ દ્વારા એણે માસક્ષમણ પરિપૂર્ણ કર્યું. ઉપવાસના અંતિમ દિવસોમાં વિરાટ સભા સમક્ષ એણે જે ઉલ્લાસથી- ભાવુક્તાથી વકતવ્ય આપ્યું એ નિહાળતા એમ લાગતું હતું શારીરિક કષ્ટ એણે જાણે ગણકાયું જ ન હતું.
આ તપ પછી એક પ્રેરક પરિવર્તન એ આવ્યું કે એને બે પ્રતિક્રમણસૂત્રો કંઠસ્થ કરવાની ભાવના પ્રગટી.સી.એ.હોવાથી વ્યાવસાયિક જવાબદારી અને બાળવયની અપેક્ષાએ યુવાવયમાં ગાથા કંઠસ્થ કરવી મુશ્કેલ હોવા છતાં એણે અમારા શ્રમણો પાસે અભ્યાસ કરી અત્યાર સુધીમાં લગભગ બે પ્રતિક્રમણ કંઠસ્થ કરી પણ લીધા છે. ગત તા.૨૯-૯-૧૯ના પાર્લામાં અમારા માર્ગદર્શનાનુસાર રૂ.પચાસ ક્રોડની માતબર ઉછામણીનો જે સમારોહ યોજાયો તેમાં મુખ્ય નામાંકનના લાભાર્થી બે પૈકીના એક પરિવારનો આ સુપુત્ર છે...
તપસ્વીઓને તપ દરમ્યાન નિરંતર આંતરિક આનંદની વૃદ્ધિ કેમ હોય ? તેનું પ્રતિપાદન કરતા ગ્રન્થકાર ચતુર્થશ્લોક આ લખે છે કે ઃ
સદુપાયપ્રવૃત્તાના- મુપેયમધુરત્વત:
જ્ઞાાનિનાં નિત્યમાનન્દ, વૃદ્ધિરેવ તપસ્વિનામ્.
ઉપાય એટલે પુરુષાર્થ અને ઉપેય એટલે એના દ્વારા પ્રાપ્ત થતું પરિણામ. ઉપાય જો સમ્યક્ હોય અને ઉપેય જો મધુર હોય તો આનંદ આનંદ થાય જ. ઉદાહરણરૂપે, બે પ્રિયજનોનું મિલન મધુર છે અને એ છાનગપતિયાં જેવાગલત માર્ગે નહિ, બલ્કે લગ્ન જેવા સામાજિક માર્ગે થયું છે તો ત્યાં આનંદ આનંદ જ હોય.
ડર-ભયનું નામનિશાન ન હોય. બસ, આવી જ વાત અહીં છે કે ઉપાયનાં સ્થાને રહેલ તપ સમ્યક્ છે અને ઉપેયનાં સ્થાને રહેલ મોક્ષ કર્મક્ષય મધુર છે. જ્ઞાાની-વિચારક તપસ્વી મોક્ષ જેવી મીઠાશ અન્યત્ર ક્યાં ય ન નિહાળે. આ રીતે સમ્યગ્ ઉપાય અને શ્રેષ્ઠ ઉપેયની જુગલબંદીથી તપસ્વીને સદાય આનંદવૃદ્ધિ રહે..
હવે 'જ્ઞાાનસાર' ગ્રન્થકાર શુદ્ધતપના ચાર લક્ષણ દર્શાવતા છટ્વા શ્લોકમાં ફરમાવે છે કે:
યત્ર બ્રહ્મ જિનાર્ચા ચ, કષાયાણાં તથા હતિ ;
સાનુબન્ધા જિનાજ્ઞાા ચ, તત્તપ: શુદ્ધ મિષ્યતે.
જેમ જેમ બાહ્ય- અભ્યંતર તપ વધતો જાય તેમ તેમ વાસના મંદ થતી જવી જોઈએ અને મન- વચન- કાયાથી નિર્મલ બ્રહ્મચર્યપાલન થતું જવું જોઈએ. સાચા તપસ્વીએ જાતનું આ દૃષ્ટિકોણથી નિરીક્ષણ કરવું જોઈએ. બીજું લક્ષણ છે જિનપૂજા. તપસ્વી જો શ્રમણ હોય તો એમણે પ્રભુની ભાવપૂજા અને જો ગૃહસ્થ હોય તો એને દ્રવ્યપૂજા અવશ્ય હોય. પાર્લાસંઘના અમારા વર્તમાન ચાતુર્માસના માસક્ષમણ તપસ્વીઓની વાત કરીએ તો અટ્વાણું ટકા તપસ્પી ત્રીશે ય દિવસ નિત્ય જિનપૂજા કરતા હતા.
ડિમ્પલબેન પરેશભાઈ નામે તપસ્વીએ તો ત્રીશેય દિવસ ભૂગર્ભગૃહના પ્રભુના અભિષેકની ઉછામણી બોલીને લાભ લીધો હતો.. તપસ્વીનું ત્રીજું લક્ષણ કષાયોનો હ્રાસ.' તપસ્વીનું પાણી ગરમ અને તપસ્વીનું દિમાગ ગરમ' આ ઉક્તિ તપસ્વીને લાગુ જ ન થવી જોઈએ. એ તો શાંત- સમતાનિમગ્ન હોય. આ ત્રીજા અને પૂર્વોક્ત પ્રથમ લક્ષણને રજૂ કરતાં એક શ્લોકમાં જણાવાયું છે કે ' વિષય અને કષાયના આહારનો ત્યાગ જ્યાં છે તે જ ખરેખર ઉપવાસ છે. આ બેનું જ્યાં લક્ષ્ય પણ નથી તે તો લાંઘન છે.' ચોથું લક્ષણ દર્શાવતા ગ્રન્થકાર કહે છે કે પરમાત્માની આજ્ઞાાનું સાનુબંધ પાલન કે તેની ઇચ્છા હોય એવો તપ શુદ્ધ કહેવાય છે.
સાતમા શ્લોકમાં તેઓ તપસ્વીને સરસ માર્ગદર્શન આપે છે કે તપ એ રીતે કરવો કે જેમાં (૧) દુર્ધ્યાન ન થાય (૨) આરાધનાયોગોને હાનિ ન થાય અને (૩) ઇન્દ્રિયો ક્ષીણ ન થઈ જાય. જો કે સિક્કાની બીજી બાજુ એ પણ ખ્યાલ રાખવી કે ઇન્દ્રિયક્ષીણતાના નામે સુખશીલતાનું પોષણ ન થઈ જાય.
છેલ્લે એક મજાની વાત: તપ વિના તાપ નહિ, તાપ વિના શુદ્ધિ નહિ અને શુદ્ધિ વિના શાશ્વત સુખ નહિ..