Magazines

અનન્યા પાંડેનો મંત્ર : હું ફિલ્મની પટકથા એક દર્શકની જેમ વાંચું છું

By GS TEAM
13 Mar 20263 mins read
અનન્યા પાંડેનો મંત્ર : હું ફિલ્મની પટકથા એક દર્શકની જેમ વાંચું છું

- 'હું  કથા-પટકથા વાંચતી વખતે ક્યારેક મારી અંત:સ્ફૂરણાને પણ અનુસરું છું. હું જે-તે પટકથામાં મારું પાત્ર કેવી રીતે આકાર લેશે તે ધ્યાનમાં રાખું છું. જોકે પાત્રાલેખનનો અંતિમ નિર્ણય તો દિગ્દર્શકે જ લેવાનો હોય.'  

હિન્દી ફિલ્મ જગતમાં નવી પેઢીના કલાકારોની કારકિર્દી માટે એક કરતાં વધુ માધ્યમો છે - ફિલ્મ, ટેલિવિઝન, ઓવર ધ ટોપ (ઓટીટી) વગેરે. ખાસ કરીને આજે તો નવી અને જૂની એમ બંને પેઢીના કલાકારોને ઓટીટી પર ભરપૂર તક મળી રહી છે. 

અનન્યા પાંડે એક એવી એક્ટ્રેસ છે, જેની કારકિર્દી પહેલાં બોલિવુડમાં શરૂ થઇ અને ત્યારબાદ  તેને ઓટીટી પર પણ તક મળી.   અનન્યા પાંડે - કાર્તિક આર્યનની લેટેસ્ટ ફિલ્મ 'તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી'ને ઓડિયન્સે સ્વીકારી નથી. 

એંશીના દાયકાના સ્ટાર ચંકી પાંડેની દીકરી અનન્યા કહે છે,   'સૌ જાણે છે કે મારી અભિનય કારકિર્દીની    શરૂઆત બોલિવુડથી થઇ છે. મને નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર - ટુ' (૨૦૧૯)માં પહેલી તક મળી. મારી સાથે ટાઇગર શ્રોફ અને તારા સુતારિયા જેવાં ટેલેન્ટેડ કલાકારો હતાં. કરણ જોહર જેવા  સફળ ફિલ્મ સર્જક પાસેથી મને ઘણું જાણવા-શીખવા પણ મળ્યું. સમય જતાં  મને ઓટીટી પર રજૂ થયેલી  'કોલ મી બૅ' (૨૦૨૪) વેબ સિરીઝમાં કામ કરવાની પણ તક મળી. આમ, મને મનોરંજનના બંને માધ્યમોમાં કામ કરવાની ઉજળી તક મળી હોવાનો આનંદ છે. આધુનિક સાયન્સ અને ટેકનોલોજીનો લાભ ફિલ્મસર્જન અને ઓટીટી જેવા માધ્મયમોમાં પણ થઇ રહ્યો હોવાથી અમારા જેવા નવી  પેઢીના કલાકારોને બહોળી તક મળે  છે. જોકે હું નમ્રપણે  માનું છું કે દરેક એક્ટરે પોતાની કારકિર્દીનું ઘડતર પોતાની પ્રતિભાને જાણી-સમજીને કરવું  જોઇએ. સાથોસાથ પોતે કયા  વિષયો પર કામ કરવા માગે છે તે વિશે સ્પષ્ટ થઈ જવું જોઈએ. આ  બાબત અભિનય કારકિર્દીના વિકાસમાં મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે.' આટલું કહીને અનન્યા ઉમેરે છે, 'હું આમ  તો કોઇની સલાહ કે સૂચના બહુ સાંભળતી નથી. આમ છતાં મને મારા ડેડી ક્યારેક ક્યારેક ઉપયોગી સલાહ જરૂર આપે  છે. ખાસ કરીને ફિલ્મની કથા-પટક્થામાં કયાં પાસાં  દર્શકોને ગમશે  અને કયાં પાસાં નહીં ગમે તે વિશેનું તેમનું મંતવ્ય  બહુ મહત્ત્વનું બની રહે  છે. ફિલ્મની કથા-પટકથા દરેક કલાકારે સૌથી પહેલાં તો એક પ્રેક્ષક બનીને વાંચવી જોઈએ. સાથોસાથ, પોતે જે કોઇ પાત્ર ભજવવાનું હોય તે ફિલ્મના પડદે કેવું લાગશે અને દર્શકો તેનો પ્રતિસાદ કેવો આપશે તેની સૂઝ પણ બહુ ઉપયોગી બની રહે છે.  મને મારા ડેડીએ આવી ઉત્તમ અને ઉપયોગી સલાહ આપી છે.  છેવટે તો માતાપિતા જ આપણાં સાચાં માર્ગદર્શક હોય છે.  બસ, હું એક અભિનેત્રી તરીકે તેમની આ જ સલાહને ધ્યાનમાં રાખું છું. હું  કથા-પટકથા વાંચતી વખતે ક્યારેક મારી અંત:સ્ફૂરણાને પણ અનુસરું છું. હું જે-તે કથા-પટકથામાં મારું પાત્ર કેવી રીતે રજૂ થશે તે પણ ધ્યાનમાં રાખું છું. જોકે પાત્રાલેખનનો અંતિમ નિર્ણય તો દિગ્દર્શક અને નિર્માતાનો જ હોય છે. પોતાની ફિલ્મના કયા પાત્રને કઇ રીતે રજૂ કરવો તેનું ચિત્ર દિગ્દર્શકના મનમાં હોય જ  છે.'