Magazines

ધુરંધરની સફળતા બાદ અક્ષયખન્ના હવે પૌરાણિક તેલુગુ ફિલ્મમાં જોવા મળશે

By GS TEAM
28 May 20262 mins read
ધુરંધરની સફળતા બાદ અક્ષયખન્ના હવે પૌરાણિક તેલુગુ ફિલ્મમાં જોવા મળશે


- હિન્દી ફિલ્મ ધુરંધરની જોરદાર સફળતા બાદ અક્ષય ખન્નાના ભાવ ઉંચકાઇ ગયા છે પણ એફલાતુન એક્ટર અક્ષય ખન્ના તેના ચાહકો માટે એક નવું સરપ્રાઇઝ લઇને આવી રહ્યો છે. ગયા વર્ષે અક્ષય ખન્નાએ તેના એકાવનમાં જન્મદિને તેલુગુ ફિલ્મ મહાકાલીમાં તેના શુક્રાચાર્ય તરીકેની તસવીરો જાહેર કરી હતી. 

ધુરંધરની જોરદાર સફળતા બાદ અક્ષય ખન્ના એકશન ફિલ્મ કરી પોતાની જાતને રિપિટ કરવાને બદલે પોતે અગાઉ કદી ન કરી એવી હોય ભૂમિકા કરવાનું પસંદ કર્યું છે. તેલુગુ ફિલ્મ મહાકાલી એ અક્ષય ખન્નાની પ્રથમ પૌરાણિક સુપરહીરો ફિલ્મ બની રહેશે. હનુ-માન ફિલ્મના નિર્દેશક પ્રશાંત વર્મા દ્વારા વિસ્તારવામાં આવી રહેલાં પ્રશાંત વર્મા સિનેમેટિક યુનિવર્સ-પીવીસીયુ-માં મહાકાલી એક પૌરાણિક સુપર હીરો ફિલ્મ છે. જેમાં મહાકાલીની મુખ્ય ભૂમિકા  ભૂમિ શેટ્ટી દ્વારા ભજવવામાં આવી રહી છે. પૂજા અપર્ણા કોલ્લુરૂ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં અક્ષય ખન્ના દૈત્યગુરૂ શુક્રાચાર્યની ભૂમિકામાં જોવા મળશે. અક્ષય ખન્નાએ આ ફિલ્મમાં પોતાના હિસ્સાનું શૂટિંગ પુરૂ કરી નાંખ્યું હોવાનું મનાય છે. હાલ કોલકાતામાં  ડાકિનેશ્વર મંદિર ખાતે ફિલ્મનું અંતિમ તબક્કાનું શૂટિંગ ચાલી રહ્યું છે. જુલાઇ મહિનામાં ફિલ્મનું શૂટિંગ પુરૂ થઇ જશે તેવી ધારણાં છે. ફિલ્મની જાહેરાત કરવામાં આવી ત્યારે ફિલ્મને ૨૦૨૬માં રજૂ કરવાની યોજના હતી પણ હવે આ ફિલ્મ આવતાં વર્ષની શરૂઆતમાં સિનેમાઘરોમાં રજૂ  કરવાનું આયોજન છે.  આ ફિલ્મમાં એક્ટર  રોહિત સરાફ પણ એક  મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. રોહિતની પણ આ પ્રથમ તેલુુગુ ફિલ્મ બની રહેશે. 

ફિલ્મની પૌરાણીક કથા જાણીતી છે. મહાકાલી રાક્ષસોનો સંહાર કરનારી દેવી તરીકે જાણીતા છે તો શુક્રાચાર્ય દૈત્ય ગુરૂ તરીકે જાણીતા છે. મહાકાલીનું કામ દૈત્યોનો સંહાર કરવાનું છે તો શુક્રાચાર્ય દૈત્યોના ગુરૂ તરીકે મૃત રાક્ષસોને સજીવન કરવાનું કામ કરે છે. શુક્રાચાર્યના પાત્રની ખાસિયત એ છે કે તે એક દુષ્ટ વ્યક્તિ નથી. તે એક બુદ્ધિશાળી અને ગેરસમજનો ભોગ બનેલી વ્યક્તિ છે. શુક્રાચાર્યના પાત્રમાં રહેલી આ સંકુલતાને કારણે અક્ષય ખન્નાને આ ભૂમિકા કરવામાં રસ પડયો છે. 

મજાની વાત એ છે કે અક્ષય ખન્નાએ ધુરંધરની સફળતા બાદ ઢગલાબંધ ફિલ્મો સાઇન કરવાનું ટાળ્યું છે. સલમાન ખાનની આગામી ફિલ્મમાં તે ખલનાયક તરીકે કામ કરવા વિશે વિચારણા કરી રહ્યો છે. સની દેઓલ સાથેનો કોર્ટરૂમ ડ્રામા ઇક્કા ટૂંક સમયમાં નેટફલિક્સ પર જોવા મળશે. ઇક્કા દ્વારા અક્ષય ખન્ના અને સની દેઓલ પહેલીવાર ઓટીટી પર રજૂ થનારી ફિલ્મમાં જોવા મળશે.