પ્રભાવશાળી જૈનાચાર્ય : શ્રી શાંતિસૂરીશ્વરજી આબુવાળા !
આંખ છીપ, અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી
બ્રિટનના પંચમ જોર્જે જેમને 'હીઝ હોલિનેસ'ની પદવી આપી હતી
ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટ્ટણી લખે છે કે' શ્રી શાંતિવિજયજી એક ઉચ્ચ કોટિના મહાપુરુષ છે. તેમનું હૃદય બાળક જેવું શુદ્ધ અને નિર્મળ છે.
જૈન ધર્મમાં જ્ઞાન અને ધ્યાન અને સંયમની વિરલ વિશિષ્ટતા નિહાળવા મળે છે.
જૈન સાધુપરંપરામાં ઉત્તમ સાધુ સમાન અને જૈન ધ્યાનપરંપરામાં મહાન યોગી સમાન શ્રી શાંતિસૂરીશ્વરજી આબુવાળાને યાદ કરીએ છીએ ત્યારે આપણી આંખ સામે એક અદ્ભુત તસ્વીર તાદૃશ્ય થાય છે.
વિશિષ્ટ સંયમ અને વિરલ યોગસાધનાથી વિખ્યાત થયેલા શ્રી શાંતિસૂરીશ્વરજીનો જન્મ વિ.સં. 194૬ના મહાસુદ પાંચમ (તા.25-1-1890)ના રોજ થયો હતો અને તેમની દીક્ષા સોળ વર્ષની ઉંમરે વિ.સં.19૬1ના મહાસુદ પાંચમ (તા.9-2-1905) ના રોજ થઈ હતી. શ્રી શાંતિસૂરીશ્વરજીના ગુરુ શ્રી તીર્થવિજયજી મહારાજ તેમના સંસારી પક્ષના કાકા થતા હતા.
શ્રી શાંતિસૂરીશ્વરજીએ દીક્ષા ગ્રહણ કરી ત્યારથી તેમનું મન આત્માનું અલૌકિક વિશ્વ નિહાળવા તત્પર થયું હતું. એ માટે તેમણે ગુરુજીની આજ્ઞા મેળવીને અનેક અજાણ્યાં સ્થળોએ ધ્યાનસાધના શરૂ કરી. આ માટે તેઓ પાટનારાયણ, અજારી, કિંવલીં, હિમાણા, ભારજા, ભાવરી, રોહીડા, માઉન્ટ આબુ, બામણવાડા, ધનારી વગેરે અનેક સ્થળોએ સાધના કરી.
ઉગ્ર તપશ્ચર્યા અને અપ્રમત્ત સાધનાને કારણે શ્રી શાંતિસૂરીશ્વરજીને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ.
એમ કહેવાય છે કે શ્રી સરસ્વતી દેવીએ ધૂપદાનીમાંથી પ્રગટ થઈને તેમને વરદાન આપ્યું હતું. સકળ વિશ્વ જેને ચમત્કાર માને છે તે સંતો માટે સહજ હોય છે. સંતોની અનોખી ધ્યાનસાધનાનો એ પ્રભાવ હોય છે.
શ્રી શાંતિસૂરીશ્વરજી તેમના સમયમાં ભોળામુનિ તરીકે ઓળખાતા હતા. તેઓ જ્યાં બિરાજમાન થતાં ત્યાંથી દુકાળ ચાલ્યો જતો અને સુકાળ પ્રવર્તતો હતો. સૂકાં થઈ ગયેલાં નદીને તળાવમાં પાણી ઊભરાઈ જતું.
રાજસ્થાનના ખીવાણદી ગામ પાસે એક સુકાઈ ગયેલું તળાવ હતું. જનતાને પાણીનો અભાવ અસહ્ય ત્રાસ આપતો હતો. શ્રી શાંતિસૂરીશ્વરજીએ તળાવના કિનારે બેસીને ધ્યાન કર્યું અને કહે છે કે તળાવ પાણીથી છલકાઈ ગયું ! જૈન ધર્મ ત્યાગ, અહિંસા એ અપરિગ્રહના સિદ્ધાંતને વરેલો છે. શ્રી શાંતિસૂરીશ્વરજી આ સિદ્ધાંતોના સંસ્કારનું દાન નિરંતર કરતા રહેતા હતા. અત્યંત સાદગીથી રહેવાને કારણે અને સરળ ભાષાને કારણે તેમનો પ્રભાવ તે સમયમાં જૈનો ઉપરાંત હિંદુ, પારસી, સિંધી, મુસ્લિમ વગેરે કોમોમાં ફેલાયો હતો. વિદેશના હજારો લોકો તેમને માનતા અને તેમનાં દર્શન કરવા તેઓ રાજસ્થાનના જે ક્ષેત્રમાં વિચરતા હોય ત્યાં આવતા.
શ્રી શાંતિસૂરીશ્વરજીએ કેસરિયા તીર્થનો ઉદ્ધાર કર્યો હતો. તેમના હાથે અનેક જિન મંદિરોની પ્રતિષ્ઠા થઈ હતી. તેમની છત્રછાયામાં અનેક સંઘો નીકળ્યા હતા. દેશવિદેશના અનેક રાજનેતાઓ અને ભારતનાં અનેક રજવાડાંઓના રાજાઓ તેમના નિરંતર સંપર્કમાં રહેતા હતા. ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટ્ટણી લખે છે કે' શ્રી શાંતિવિજયજી એક ઉચ્ચ કોટિના મહાપુરુષ છે. તેમનું હૃદય બાળક જેવું શુદ્ધ અને નિર્મળ છે. મહાત્માનું યથાર્થ સ્વરૂપ છે. તેમના સાંનિધ્યમાં રહીને મારા મગજ અને હૃદયના ભાવોમાં એવી એકતા પ્રતીત થઈ કે કેવળ તેમની તરફ જોવાની અને તેમનો ઉપદેશ સાંભળવાની ઇચ્છા સિવાય એકે વાત યાદ આવતી નહોતી.'
બ્રિટનના પંચમ જોર્જે તેમને 'હીઝ હોલિનેસ'ની પદવી આપી હતી. નેપાળના રાજાએ તેમને 'નેપાળ રાજ્ય ધર્મગુરુ' તરીકે સન્માનિત કર્યા હતા. રાજસ્થાનના વિશાલપુર ગામમાં શ્રી શાંતિસૂરીશ્વરજીના હસ્તે જૈન મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને શ્રી ધર્મનાથ ભગવાનની પ્રતિષ્ઠા થઈ.
( આવતા અંકે આગળ..)
પ્રભાવના
'પૂજા સંગ્રહ' જૈન સંઘનો એક અદ્ભુત ગ્રંથ છે. અનેક મહાપુરુષોની રચેલી પૂજાઓનો સંગ્રહ છે. આ પૂજાઓની જેમણે રચના કરી તે મહાપુરુષોએ પૂજાની રચના કરતી વખતે પોતાની શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ એટલા મજબૂત કરેલાં છે કે ન પૂછો વાત, તે દુનિયાનો ઉત્તમ દાખવો છે. આ મહાપુરુષો શ્રદ્ધાળુ હતા. એમણે ક્યાંય પ્રમાદ નથી સેવ્યો. જે જે વિષયોમાં પૂજા રચી તે તમામ પૂજાઓ તેમણે સંપૂર્ણ બનાવી દીધી ઉદાહરણ તરીકે, બાર વ્રતની પૂજા હાથમાં લો તમને બાર વ્રતની પૂજા હાથમાં લો તો તમને બાર વ્રત વિશે બધું જ વિગતવાર અને સંપૂર્ણ જાણવા મળશે. પિસ્તાલીશ આગમની પૂજા લો તો તેમાં આગમો વિશે બધું જ જાણવા મળશે. ચોસઠ પ્રકારની પૂજા લો તો તેમાં કર્મો વિશે બધુંજ જાણવા મળશે.