જીવનમાં ચાલતી સુખ-દુ:ખની સંતાકૂકડીનો ભેદ કોણ ઉકેલી શકે ?
ભવોભવની પ્રીત ફરી મળે, ત્યારે કેવું અપૂર્વ મિલન સધાય ? પૂર્વભવના ચક્રવાક અને ચક્રવાદી આ ભવમાં પદ્મદેવ અને તરંગવતી રૂપે મળે છે, ત્યારે એમના આનંદની કોઈ સીમા રહેતી નથી. જગતમાં ભાગ્યે જ આવી ઘટના બનતી હોય છે. ક્યારેક જ થાય એવું કૌતુક સર્જાયું હતું અને તેથી ઉત્કટ પ્રણયભાવ અનુભવતા બંનેએ વિચાર્યું કે માંડ માંડ આ મિલન થયું છે. હવે વિખૂટા પડવું નથી. આથી પદ્મદેવ અને તરંગવતીએ કૌશાંબીના રાજની હદ છોડીને ભાગી જવાનું વિચાર્યું.
કૌશાંબીના નગરશેઠ તરીકે તરંગવતીના પિતા ઋષભદેવનો ઘણો પ્રભાવ હતો. કૌશાંબીના રાજવી ઉદયન રાજા સાથે એમનો ગાઢ સંબંધ હતો. આથી કદાચ નગરશેઠ ઋષભદેવ તરંગવતીનો પદ્મદેવ સાથેનો વિવાહ મંજૂર ન રાખે, તો શું કરવું ? આથી બંનેએ વિખૂટા નહીં પડવા માટે ગમે તેટલાં દુ:ખો, સંક્ટો, આપત્તિઓનાં પહાડ તૂટી પડે, તેમ છતાં ડર્યા વિના રાજ્યની હૃદ છોડીને દૂર ચાલ્યા જવાનું વિચાર્યું. પદ્મદેવે પોતાની સાથે જરૂરી ધન લીધું. તરંગવતીએ વિચાર્યું કે એની સાથે પોતાના અલંકારો પણ લઈને જવું. આથી એણે સારસિકાને કહ્યું,' ઘેર જઇને મારા અલંકારો લઈ આવ. ક્યારેક મુશ્કેલી જાગે તો આ અલંકારોથી નિર્વાહ થઈ શકે.'
સખી સારસિકા નગરશેઠના ઘર ભણી ગઈ, પણ સાથોસાથ પદ્મદેવે તરંગવતીને કહ્યું,' આપણી પાસે સમય નથી. વિલંબએ આપણે માટે વિઘ્નરૂપ બની શકે. કોઈ અણધારી આફત આવી પડે તો આપણી આ યોજના નિષ્ફળ જાય, આથી કૌશાંબીના રાજનો ઝડપથી ત્યાગ કરવો જોઈએ.'
આમ વિચારતા બંનેને લાગ્યું કે અલંકાર લેવા ગયેલી સારસિકાની રાહ જોવી યોગ્ય નથી. આથી હાથમાં હાથ પકડીને બંને ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા યમુના નદીના કિનારે આવ્યા. નગર છોડયું. પિતા છોડયા, વૈભવ છોડયો અને જ્યારે યમુના નદીના કિનારે આવ્યા, ત્યારે એક દોરડાથી બાંધેલી નાવ જોઈ. બંનેને અપાર આનંદ થયો.
જાણે કોઈએ યોજના કરીને નાવ તૈયાર રાખી ન હોય ! એ બંને નાવમાં બેસી ગયા. તરંગવતી રોમાંચિત થઈ ગઈ. પોતાના પૂર્વભવના પ્રેમીને એ ધન્ય બની હતી. એના આનંદની કોઈ સીમા નહોતી. હૈયામાં કેટલાય ભાવો ઊભરાતા હતા. ભવોભવની ઇચ્છા પૂર્ણ થાય તો કોના ચિત્તમાં ઉલ્લાસ ન પ્રગટે ?
થોડીવારે નદીમાં નાવને ઉભી રાખી. પદ્મદેવે તરંગવતીને પોતાની પાસે ખેંચી લીધી અને બંને એકબીજામાં ગૂંથાઈ ગયા. આકાશે પ્રકાશેલો ચંદ્ર પણ આ દૃશ્ય જોઈને શરમાઈ ગયો. પદ્મદેવ અને તરંગવતી ગાંધર્વ વિવાહથી જોડાઈ ગયા. વળી પાછી નાવ આગળ ચાલી. કઈ દિશામાં નાવ જાય છે એની કશી જાણ નહોતી. સમય કેટલો બધો પસાર થાય છે એની કોઈ ખબર નહોતી. બંને એકબીજામાં એવા ગૂંથાઈ ગયા હતા કે આસપાસ કોઈ જગત જ ન હોય.
એવામાં નાવ કિનારાની નજીક આવી. અત્યંત સુંદર હરિયાળી ભૂમિ દેખાતી હતી. આથી પદ્મદેવ અને તરંગવતી બંને આનંદભેર એના કિનારે પગલાં પાડવા લાગ્યા. અપાર સુખ ભોગવતા હોય ત્યારે ખ્યાલ હોતો નથી કે દુ:ખ બારણે ટકોરા મારી રહ્યું હોય છે. સુખ અને દુ:ખની આ સંતાકૂકડીનો ભેદ કોણ ઉકેલી શક્યું છે ? સુખની પરાકાષ્ઠાનો અનુભવ કરતા પદ્મદેવ અને તરંગવતી થોડા આગળ ચાલ્યા ત્યાં તો એકાએક ડરામણી માનવ ગર્જનાઓ સંભળાઈ.
ચોતરફ કોલાહલ મચી ગયો અને ગીચ ઝાડીમાંથી જાણે કોઈ પ્રાણી ધસી આવે એ રીતે કેટલાક લૂંટારાઓ ધસી આવ્યા. એમની વિકરાળ આંખોમાં ક્રૂરતા દેખાતી હતી. એમના ચહેરા પર નિર્દયતા જણાતી હતી. એમના હાથમાં મોટાં હથિયારો હતા અને આ લૂટારાઓ એકાએક આ યુગલને ઘેરી વળ્યા.
ગભરાયેલી તરંગવતી તો પદ્મદેવની સોડમાં લપાઈ ગઈ અને જોરથી ચીસ પાડી ઉઠી. 'ઓ બાપ રે ! હવે શું થશે ? આ લૂંટારાઓ જીવ લઈ લેશે ?'
પદ્મદેવે હિંમત આપતા તરંગવતીને કહ્યું,' ગભરાઈશ નહીં, ડરીશ નહીં, આપણે આ લૂંટારાઓનો બરાબર સામનો કરીશું.'
પણ તરંગવતીનું મન માનતું નહોતું. એ વિચારતી હતી કે આટલા બધા લૂંટારાનો પદ્મદેવ એકલો કઈ રીતે સામનો કરી શકશે. વળી એ બધા પાસે તો હથિયારો છે. નિર્દય લોકો છે. જ્યારે પદ્મદેવ તો એકલો અને નિ:શસ્ત્ર છે. આથી તરંગવતીએ કહ્યું,' રહેવા દો. આપણે એમની સામે લડવું નથી, ઝઘડવું નથી. આટલા બધા લૂંટારાઓનો આપણે કઈ રીતે સામનો કરીશું. એને બદલે શરણાગતિ સ્વીકારવી એ જ સાચો રસ્તો છે.'
લૂંટારાઓ એમની પાસે આવી પહોંચ્યા. એમને ડરાવવા પ્રયત્ન કર્યો. પદ્મદેવને બરાબર પકડી લીધો. તરંગવતીના શરીર પરના આભૂષણો નિર્દય રીતે ઊતારી લીધા. તરંગવતી જોરજોરથી રડવા લાગી, ત્યારે લૂંટારાના નાયકે ગર્જનાભર્યા અવાજે કહ્યું,' ચૂપ. રડવાની ધાંધલ- ધમાલ બંધ કર. જો વધારે ઘોંઘાટ કરીશ તો તારા પતિની હત્યા કરી નાખીશ.'
પતિને મારી નાખવાની વાત સાંભળતા જ તરંગવતીના ગાત્રો ધ્રૂજવા લાગ્યા. એની આંખો ભયથી વ્યાકુળ બની ગઈ. એની વાણી ભીતરમાં અટકી ગઈ અને આંખોમાંથી વહેતી અશ્રુધારાને અટકાવવાની કોશિશ કરી.
લૂંટારાઓએ એમની પાસે જે કંઈ કીંમતી ચીજવસ્તુ હોય તે કાઢી આપવાનું કહ્યું. પદ્મદેવ જે રત્નની પોટલી લઈને ઘેરથી નીકળ્યો હતો, તે લૂંટારાઓએ આંચકી લીધી. તરંગવતીની સલાહથી પદ્મદેવ લૂટારાઓ પર મરણિયો બનીને ત્રાટક્યો નહોતો, તો બીજી બાજુ મૂલ્યવાન રત્નો જોઈને લૂટારાઓ રાજી થઈ ગયા. બંનેને બાંધીને ગાઢ જંગલોવાળા રસ્તામાંથી આગળ લઈ ગયા અને પછી એ પર્વતના ભયાનક કોતરોમાં એક ગુફાના મંદિરમાં પહોંચ્યા, ત્યારે એક જૂદું જ દૃશ્ય જોયું. (ક્રમશ :)
ગોચરી : પ્રભુભક્તિના આધારે આપણે જગતમાં 'ભારેખમ' થઈને ફરીએ છીએ. માથા પર ધન, વિદ્યા કે યૌવનનો વજનદાર બોજ લઈને ચાલીએ છીએ. મોટપની મસ્તીને સંભાળતા- સંભાળતા એક એક ડગલું મૂકીએ છીએ અને આથી આપણે મુક્તમને નાચી શક્તા નથી. જ્યારે ભક્તિ જાગે ત્યારે માનવીનું મન માથા પરનો બોજ ઉપાડીને નાચવા લાગે છે.
- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ