Magazines

અભિષેક બચ્ચન હા, હા... અમારું લગ્નજીવન હર્યુંભર્યું અને સુખરૂપ છે

By GS TEAM
23 Apr 20262 mins read
અભિષેક બચ્ચન હા, હા... અમારું લગ્નજીવન હર્યુંભર્યું અને સુખરૂપ છે

- 'હું અને ઐશ્વર્યા એકબીજાને બહુ સાચી અને સારી રીતે સમજી શકીએ છીએ. અમે ઘરના, અમારા બંનેના, દીકરી આરાધ્યા વિશેના નિર્ણયોમાં એકબીજાનાં સલાહ- સૂચનોનું  સન્માન કરીએ છીએ. અમારી વચ્ચે ઈગોનો કોઈ ટકરાવ નથી...'

અમારું  લગ્ન જીવન સુખરૂપ છે. ભરપૂર અને લીલુંછમ  છે. મારી અને મારી પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે કોઇ જ મતભેદ કે મનભેદ નથી.  અમારા લગ્ન જીવનમાં  નથી તિરાડ પડી કે  ભવિષ્યમાં પણ નથી પડવાની.   હું અને મારી પત્ની ઐશ્વર્યા રાય જેટલાં  પ્રેમાળ   યુગલ છીએ એટલાં જ  મજેદાર  મિત્ર પણ છીએ.   અમારા વિશાળ  બચ્ચન પરિવારમાં બધું સમૂસૂતરું છે... 

હિન્દી   ફિલ્મ જગતના મહેનતુ અભિનેતા અભિષેક બચ્ચને  હજી હમણાં જ એક પોડકાસ્ટ ઇન્ટર્વ્યુમાં  પોતાના લગ્નજીવન વિશે ફેલાઇ રહેલી જાતજાતની અને ભાતભાતની   વાતો તેમજ અફવાઓ વિશે મુક્તપણે વાતો કરી હતી. એક સમયે આ પતિ-પત્ની વિશે જેટલાં મોઢાં એટલી વાત જેવું વાતાવરણ સર્જાયું હતું. ઇન્ડસ્ટ્રીના પંચાતિયા તત્ત્વો અને ઇવન મીડિયાએ અભિષેક- ઐશ્વર્યાના છૂટાછેડા કરાવી નાખ્યા હતા. એવી વાત ફેલાવી દીધી હતી કે બંને વચ્ચે જબરા મતભેદ સર્જાયા છે, એમની વચ્ચે અબોલા છે. ઐશ્વર્યા  અને સાસુ જયા ભાદુરી વચ્ચે ખટરાગ ચાલે છે. બચ્ચન પરિવારના સારા-માઠા પ્રસંગે ઐશ્વર્યા અને એની દીકરી આરાધ્યા હાજર  નથી રહેતાં વગેરે વગેરે. 

પોડકાસ્ટ દરમિયાન અભિષેક બચ્ચને  સ્પષ્ટતા પણ કરી હતી કે હું અને ઐશ્વર્યા પતિ -પત્ની તો છીએ જ, પણ સાથોસાથ, બહુ સારાં મિત્રો પણ છીએ. એટલે જ એકબીજાને બહુ સાચી અને બહુ સારી રીતે સમજી શકીએ છીએ. અમે ઘરના, અમારા બંનેના, અમારી વહાલી દીકરી આરાધ્યાના નિર્ણયોમાં એકબીજાનાં સલાહ- સૂચનોનું  સન્માન કરીએ છીએ. કોઇ ચર્ચા કે નિર્ણયમાં અમારો અહમ નથી ટકરાતો. આમ પણ પતિ  પત્ની વચ્ચે વળી ઇગો શાનો હોય? આરાધ્યા અમારા આખા બચ્ચન પરિવારનું  પ્રેમ બિંદુ છે.  અમે એને જીવનનાં ઉચ્ચ મૂલ્યો વિશે બહુ સરળ રીતે સમજાવીએ છીએ. 

અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે બધું બરાબર છે એ વાત કરતાં મોટા ગુડ ન્યુઝ એમના ચાહકો માટે બીજા કોઈ ન હોઈ શકે.