જૈનાચાર્યશ્રી વજ્રસ્વામીજી આકાશમાં ઉડીને પુષ્પો લઈ આવ્યા !
આંખ છીપ, અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી
પ્રાચીનકાળમાં વિમાન હતું અને સંતો આકાશમાં ઊડી શક્તા હતા તે વાતનો જ્યારે ઉલ્લેખ થાય ત્યારે આચાર્ય વજ્રસ્વામીજીને પણ યાદ કરવા જોઈએ !'
પ્રાચીન પરંપરા અને આધુનિક વિજ્ઞાાનને સમજવા માટે પૂર્વજોના જીવ ચરિત્રને પણ આંખ સામે રાખવા પડશે.
યુગપ્રધાન પૂર્વધરશ્રી વજ્રસ્વામીજી જૈનધર્મના પ્રભાવક શ્રમણોમાં અગ્રણી સ્થાન ધરાવે છે. જૈન સંઘના તેઓ આઠમાં પૂર્વધર છે.
વિ.સં.૨૬માં તેમનો જન્મ થયો. માલવ દેશમાં તંબુવન સન્નિવેશ તેમનું ગામ. પિતાનું નામ ધનગિરી. માતાનું નામ સુનંદા. ધનગિરી અને સુનંદાના ભાઈએ દીક્ષા ગ્રહણ કરી. આર્યસિંહગિરી આર્યસુહસ્તિની પરંપરાના અને કોટિકગણના આચાર્ય હતા. ત્યાગી અને તપસ્વી સંયમીઓનો એ ગણ હતો.
તંબુવન સન્નિવેશમાં તે સાંજ ખુશી ભરેલી ઉગી.
સુનંદાએ પુત્રને જન્મ આપ્યો.
નવજાત શિશુના કાનમાં કોઈ નવકાર મંત્ર બોલ્યું. એ શિશુએ કોઈના શબ્દો પોતાના કાનમાં સાંભળ્યા : ' આ બાળકના પિતા દીક્ષિત ન બન્યા હોત તો આજે નગરમાં મિઠાઈ વહેચત !'
એ શિશુ પૂર્વજન્મમાં દેવ હતો.
શ્રી ગૌતમસ્વામીજી અષ્ટાપદ પર્વત પર પધાર્યા ત્યારે તે દેવે શ્રી ગૌતમસ્વામીજીના દર્શન કરેલા. એ તિર્યક જૃમ્ભક કક્ષાનો દેવ હતો. શ્રી ગૌતમસ્વામીજીએ તેને પુંડરીક કંડરીક અધ્યયનનો પાઠ કહ્યો હતો. એ દેવનો જીવ સુનંદાના પુત્ર તરીકે અવતર્યો. પૂર્વજન્મના સંસ્કાર પ્રગટ થયા. અભૂતપૂર્વ ક્ષણ હતી એ.
નાનકડા બાળકે મનમાં સમજણની ગાંઠ વાળી.
હેતુ પૂર્વક તે રડવા માંડયો. બંધ જ ન થાય. સૌ બધા ઉપાય કરે, રડવાનું બંધ ન થાય : એવા સમયે ધનગિરિ મુનિ સુનંદાના ઘરે ગોચરી અર્થે આવ્યા. કંટાળેલી સુનંદાએ બાળકને જ સાધુની ભિક્ષાની ઝોળીમાં મૂકી દીધો. સાધુ ચમક્યા : ' આ બાળક આપી તો દે છે, પણ પાછો નહિ મળે !'
સુનંદા બોલી : 'ચાલશે. મને પાછો નથી જોઈતો !'
સાધુના હાથમાં રહેલી ઝોળી વજનદાર થઈ ગઈ. આર્ય સિંહગિરિએ બાળકને 'વજ્ર' કહ્યો ને સાધ્વીઓના ઉપાશ્રયમાં શ્રાવિકાઓને ઉછેરવા સોંપ્યો.
અને વજ્રનું રડવાનું ગાયબ થઈ ગયું ! એ તો હસે છે, રમે છે, સાધ્વીઓનાં મુખથી શ્રવણ કરીને અગિયાર અંગ કંઠસ્થ કરી લે છે અને કિલ્લોલ કરે છે !
માતા સુનંદા વજ્રને પાછો લેવા આવી. ધનગિરિ મુનિએ ના કહી. વાત વધી પડી ને રાજદરબારે ગઈ. રાજાએ ન્યાય કર્યો : ' માતા-પિતા બંને સૌની હાજરીમાં બોલાવે ને વજ્ર જેની પાસે જાય તેનો રહે !'
સુનંદા અનેક મીઠાઈ લાવી ને રંગબેરંગી વસ્ત્રો લાવી ને જાતજાતનાં રમકડાં લાવી પણ રે ! વજ્ર તે તરફ જોતો પણ નથી ! મુનિ ધનગિરિએ રજોહરણ (ઓધો) બતાવ્યો ને વજ્ર દોડયો ! એણે રજોહરણ હાથમાં લઈને નાચવા માંડયું !
આર્ય સિંહગિરિસૂરિએ તે જ સમયે તેને ભાવદીક્ષા આપી. વજ્રની ઉંમર હતી ત્રણ વરસની !
એમ કહેવાય છે કે આજે પણ સાધુ- સાધ્વીજીઓ દીક્ષા સ્વીકારતી વખતે રજોહરણ હાથમાં લેતાં જ હર્ષથી નૃત્ય કરી ઊઠે છે તેનો પ્રારંભ ત્યારે થયો !
વજ્રકુમારને ૮ વરસની વયે, વિ.સં.૩૪માં દીક્ષા અપાઈ. ૯ વરસની વયે તો તેઓ સૌને અંગસૂત્રોનો અભ્યાસ કરાવતા હતા. પૂર્વજન્મના મિત્રદેવે આવીને તેમની પરીક્ષા કરીને ચારિત્ર્યમાં અપૂર્વ દૃઢતા જોઈને આકાશગામિની વિદ્યા આપી. ઉત્તમ તપસ્વી, પ્રખર જ્ઞાાની, કુશળ વક્તા, અપૂર્વ ચારિત્ર્યવાન, પ્રભાવક જૈનાચાર્યના નામે શ્રી વજ્રસ્વામીની કીર્તિ પ્રસરી રહી. નાની વયમાં તેઓ આચાર્ય પદારૂઢ થયા, પરંતુ સંવત મળતી નથી. મગધ, માળવા, મધ્ય ભારત, ગુજરાત, રાજસ્થાન અને છેક જગન્નાથપુરી સુધી તેઓ વિહરવા માંડયા. વજ્રસ્વામી જ્યાં પણ પધારતા ત્યાં ધર્મનો પ્રભાવ સ્વયં પ્રકટતો હતો. સૌને આરાધનાના ભાવ થતા હતા.
આચાર્યશ્રી વજ્રસ્વામી પ્રતાપી સાધુપુરૂષ હતા.
શ્રી વજ્રસ્વામીએ દીક્ષાગ્રહણ કરી ત્યારે પૂર્વજન્મના જૃમ્ભક કક્ષાના મિત્ર દેવે તેમની આકરી પરીક્ષા કર્યા પછી તેમને વૈક્રિય લબ્ધિ અને આકાસગામિની બે વિદ્યાઓ આપી હતી. આચાર્ય થયા પછી તેઓ મહાપુરીમાં પધાર્યા ત્યાંના બૌદ્ધ રાજાએ પર્યુષણમાં જૈનોને પુષ્પો ચુંટવા પર પ્રતિબંધ મૂક્યો. પુષ્પ વિના પ્રભુની પૂજા કેમ થાય ? એમ કહેવાય છે કે તે સમયે આચાર્યશ્રી વજ્રસ્વામીજી આકાશગામિની વિદ્યા દ્વારા ઉડીને માહેશ્વરી નગરથી લાખો ફૂલ લઈ આવ્યા. પ્રાચીનકાળમાં વિમાન હતું અને સંતો આકાશમાં ઉડી શક્તા હતા તે વાતનો જ્યારે ઉલ્લેખ થાય ત્યારે આચાર્ય વજ્રસ્વામીજીને પણ યાદ કરવા જોઈએ.
તે સમયે તેઓ હિમવંત પર્વત પર પણ પધાર્યા હતા. શ્રી લક્ષ્મીદેવીને તેઓએ દર્શન આપ્યા હતા. ત્યાંથી પણ પુષ્પો લઈ આવ્યા હતા.
શ્રી વજ્રસ્વામીનો સર્વત્ર યશ પ્રસર્યો.
યુગપ્રધાન શ્રી વજ્રસ્વામીના સમયમાં બાર વર્ષનો દુકાળ પડયો હતો. એવા કુલ બે દુકાળ પડયા. જૈન સંઘની ધર્મભાવના સદૈવ વર્ધમાન રહે તે માટે તેઓ સતત પુરૂષાર્થશીલ રહ્યા અને નિશ્રાવર્તી સાધુઓને હંમેશાં શ્રૂતાભ્યાસ કરાવતા રહ્યા. યુગપ્રધાન આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિજી તેમની પાસે ભણ્યા હતા. વિ.સં.૭૮માં ૫૨ વર્ષની વયે તેઓ યુગપ્રધાન કહેવાયા. સંપૂર્ણ અંગશ્રૂતના તેઓ જ્ઞાાતા હતા. જૈન પરંપરાના તેઓ ૧૦મા પૂર્વધર હતા.
બીજા બાર વર્ષના દુકાળના પ્રારંભે પોતાના શિષ્ય શ્રી વજ્રસેનસૂરિજીએ આગાહી કહી : ' હવે જ્યારે એક લાખ મુદ્રાના ખર્ચે એક કુટુંબ જમે એવી મોંઘવારી થશે તેના બીજા દિવસે સુકાળ થશે માટે ધર્મમાં ચિત્ત રાખજો ને શ્રદ્ધાથી રહેજો.'
એમ જ થયું. એમનું વચન સત્ય ઠર્યું.
આ ભવિષ્યવાણી તેમણે આજીવન કરેલા અપૂર્વ સ્વાધ્યાયનું કેવું નિર્મળ ફળ હશે !
બીજા ભયાનક દુકાળના પ્રારંભે શ્રી વજ્રસ્વામીએ, ૮૮ વર્ષની વયે પર્વત પર જઈને અણશણવ્રત લીધું. દેહત્યાગ પછી ઇન્દ્ર મહારાજાએ ત્યાં આવીને પ્રદક્ષિણા કરી તેથી તે પર્વત'રથાવર્ત' કહેવાયો.વિ.સં.૧૧૪નું એ વર્ષ હતું.