Get The App

એક અદ્ભુત એનજી ડ્રિન્ક - નારિયેળ

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
એક અદ્ભુત એનજી ડ્રિન્ક - નારિયેળ 1 - image

નારિયેળીનું વૃક્ષ પામ કુળનું વૃક્ષ છે. તેમાં થતા ફળ નારિયેળ  (Coconut) નું પાણી એક જીવન ઉપયોગી તત્વોનો ભંડાર છે. નારિયેળને 'શ્રીફળ'નો દરજ્જો આપવામાં આવેલ છે. 'શ્રી' એટલે વૈભવ, જે ઉત્કૃષ્ટ મનોવૈભવના દર્શન કરાવે છે. લીલા નારિયેળ જેને આપણે ત્રોફા પણ કહીએ છીએ તેના ઘણા આરોગ્યવર્ધક ગુણો છે. દરેક વ્યક્તિને સ્વસ્થ જીવન માટે 'ઇલેક્ટ્રોલાઇટ્સ'ની જરૂર હોય છે. શરીરમાં ઈલેક્ટ્રોલાઇટ્સનું કામ શરીરમાં પાણીનું બેલેન્સ બરોબર જાળવી રાખવું જેથી સ્નાયુઓ અને જ્ઞાાનતંતુઓ  બરોબર કાર્ય કરી શકે. નારિયેળના પાણીમાં ભરપૂર માત્રામાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને બાયોકાર્બોનેટ્સ જેવા ઈલેક્ટ્રોલાઇટ્સ રહેલા હોય છે.

જ્યારે સ્પોર્ટસમેન વર્કઆઉટ કે કસરત કરે કે રમત દરમિયાન આ ઈલેક્ટ્રોલાઇટ્સનું લેવલ ઘટે છે જેથી ડીહાઇડ્રેશનની સ્થિતિ સર્જાય છે અને થકાવટ તેમજ નિષ્ક્રિયતા અનુભવે છે, પરંતુ વર્કઆઉટ દરમિયાન કે પછી નારિયેળનું પાણી તેને ઝડપી 'રિહાડ્રેટ' કરે છે અને ગુમાવેલો ઈલેક્ટ્રોલાઇટ્સની તુરત ભરપાઇ કરે છે. આ ઉપરાંત લીલા નારિયેળના પાણીમાં કુદરતી શર્કરા હોય છે જે ગુમાવેલી એનર્જી ફરીથી પ્રદાન કરે છે. લીલા નારિયેળનું પાણી લગભગ સંપૂર્ણપણે ફેટ-ફ્રી હોય છે. આથી જ તેને 'સ્પોર્ટસ ડ્રીન્ક' પણ કહેવામાં આવે છે.

આ સિવાય પણ નારિયેળ પાણીમાં ઘણા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામે ઉપયોગી છે. તે એન્ટિઓક્સિડન્ટ છે, તેમાં રહેલ સેલેનિયમ કેન્સર જેવા રોગ માટે જવાબદાર એવા ફ્રી-રેડીકલ્સ સાથે લડવામાં ઉપયોગી છે. તેમાં વિટામીન સી અને વિટામીન બી-કોમ્પલેક્ષ પણ છે. તે ચર્મરોગ, પથરી, ડાયાબિટીઝ, થાયરોડ, બ્લડ સુગર, માઇગ્રેન વગેરે વગેરે  ઘણા રોગોમાં પણ ફાયદાકારક છે.

સામાન્ય રીતે નારિયેળીનું વૃક્ષ દરિયા કિનારે ૪-૫ મજલા જેટલી ઊંચાઇનું હોય છે. તેની ટોચે નારિયેળના લુમ્સ, અને ઘણાં તાલાનો ભાર હોય છે, છતાં દરિયા કિનારાની હવાની જબરદસ્ત થપાટો સામે વર્ષો સુધી અડીખમ રહે છે !