રેલ્વેનો એક પ્રોજક્ટ છેલ્લા 29 વર્ષથી ચાલે છે, હજુ પેન્ડીંગ .

- આ પ્રોજેક્ટને લેટ લતીફ તરીકે ઓળખવામાં આવે છે
વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે રેલ્વેનો એક પ્રોજેક્ટ છેલ્લા ૨૯ વર્ષથી ચાલે છે છતાં આજે તે બાકી બોલે છે. ૨૭૪ કિલોમીટર પર ટ્રેક મુકવા પાછળ ૩૫૪૩ કરોડનો ખર્ચ કરાયો છે. આ ગોકળગાયની ગતિએ ચાલતા પ્રોજેક્ટને લેટ લતીફ તરીકે ઓળખવામાં આવે છે. રેલવેના સૌથી વિલંબિત (Delay) પ્રોજેક્ટનો ખિતાબ Muneerabad-Mahaboobnagar Rail Projectના નામે છે. તેલંગાણાને કર્ણાટક સાથે જોડનારા આ પ્રોજેક્ટને વર્ષ ૧૯૯૭માં મંજૂરી મળી હતી, પરંતુ વિતેલા ૨૯ વર્ષથી આ રેલ પરિયોજનાને પૂર્ણ કરી શકાઈ નથી. તેલંગાણાના મહબૂબનગરથી કર્ણાટકના મુનિરાબાદ, જેને હુલિગી પણ કહેવામાં આવે છે, તેની વચ્ચે આ રેલ લાઇનને મંજૂરી મળી હતી.
૧૯૯૭માં એચ.ડી. દેવગૌડાની સરકારે આ લાઇનને લીલી ઝંડી બતાવી હતી, પરંતુ આજ સુધી આ રેલ પ્રોજેક્ટ પૂરો થઈ શક્યો નથી. લાંબી પ્રતીક્ષાને કારણે રેલ લાઇનના કેટલાક હિસ્સાને ખોલી દેવામાં આવ્યો છે. ૨૪૬ કિમીના હિસ્સા પર પેસેન્જર ટ્રેન ચલાવવામાં આવે છે, જ્યારે સિંધાનૂરથી રાયચૂર વચ્ચે હજુ કામ બાકી છે. ૨૭૪ કિમીની રેલ લાઇનમાં વિલંબ પાછળ ઘણા કારણો છે. જમીન સંપાદનમાં વિલંબ, ગ્રીન લેન્ડ પરમિશન, ભૌગોલિક સંરચના જેવા ઘણા પરિબળો છે, જેના કારણે આ પ્રોજેક્ટમાં વર્ષોનો વિલંબ થઈ રહ્યો છે.
ખર્ચની વાત કરીએ તો ૨૭૪ કિમીની રેલ લાઇન બિછાવવા માટેનું બજેટ ૩૫૪૩ કરોડ સુધી પહોંચી ગયું છે. આ રેલ લાઇનને પાંચ ખંડોમાં બનાવવામાં આવી રહી છે, જેમાં દેવારકાદ્ર - કૃષ્ણા, દેવારકાદ્ર - જેકલર, જેકલર - મકથલ, મકથલ - મગનૂર, અને મગનૂર - કૃષ્ણા ખંડ છે. તેમાંથી દેવારકાદ્રથી જેકલર વચ્ચેનો હિસ્સો વર્ષ ૨૦૧૭માં પૂર્ણ થઈ ગયો. મગનૂર થી કૃષ્ણા વચ્ચેની લાઇન વર્ષ ૨૦૨૩માં પૂર્ણ થઈ ગઈ.
ત્યાં જ કૃષ્ણાથી મગનૂર લાઇન ઓક્ટોબર ૨૦૨૩માં પૂર્ણ થઈ ચૂકી છે, બાકી બચેલા હિસ્સાને વર્ષ ૨૦૨૫માં પૂર્ણ કરવામાં આવશે.
આ રેલ લાઇનને પૂર્ણ કરવામાં વર્ષોની લેટલતીફી એક ઇતિહાસ બની ગઈ છે.
જમ્મુ-કાશ્મીરમાં ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પરિયોજનાને પૂર્ણ કરવામાં ૨૦ વર્ષનો સમય લાગી ગયો. વર્ષ ૨૦૦૨માં આ પરિયોજનાને લીલી ઝંડી બતાવવામાં આવી હતી. વર્ષ ૨૦૨૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રેલ પ્રોજેક્ટને લીલી ઝંડી બતાવી.
આ રેલ લાઇને કાશ્મીરને દેશના બાકીના હિસ્સાઓ સાથે રેલ માર્ગે જોડી દીધું છે.








