Get The App

ભાવનગર અક્ષરવાડી મંદિરમાં 20 ફુટ ઊંચી તપોમૂર્તિ નીલકંઠવર્ણીની સ્થાપના

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગર અક્ષરવાડી મંદિરમાં 20 ફુટ ઊંચી તપોમૂર્તિ નીલકંઠવર્ણીની સ્થાપના 1 - image

- પૂજ્ય મહંત સ્વામીના કરકમળો દ્વારા

ભગવાન સ્વામિનારાયણનું બાળપણનું નામ ઘનશ્યામ. ૧૧ વર્ષની ઉંમરે ઘનશ્યામે ગૃહત્યાગ કરી વનમાં વિચરણ કર્યું ત્યારે તેઓ નીલકંઠવર્ણી તરીકે ઓળખાયા. નીલકંઠવર્ણીએ ઉઘાડે પગે સાત વર્ષ એક માસ અગિયાર દિવસ એટલે કે ૨૫૬૨ દિવસો દરમ્યાન સમગ્ર ભારતના ૧૪ રાજ્યો, ૧૭૦ થી વધુ શહેરો-ગામો, જુદા-જુદા તીર્થોમાં વિચરણ કરી ૧૪૦૦૦ કિ.મી. ની કઠિનતમ દીર્ઘ પદયાત્રા કરી હતી. વિચરણ બાદ નીલકંઠવર્ણી ભગવાન સ્વામિનારાયણ તરીકે વિખ્યાત થયા.

આ મહાન તીર્થયાત્રા પાછળ નીલકંઠની વિશાળ ભાવના હતી. નીલકંઠે વનવિચરણમાં અનેક પ્રકારના કષ્ટો સહન કર્યા હતા. આ બધુ તેમણે અનંત જીવોના કલ્યાણ કરવા માટે વેઠયું હતું. વિચરણ દરમ્યાન અસુરોનો પરાજય કર્યો હતો. ઘર્મમાંથી અનિષ્ટો દૂર કર્યા હતા. નીલકંઠ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમણે અહિંસા અને બ્રહમચર્યનો ઉપદેશ આપ્યો હતો. સ્ત્રી અને ધનના ત્યાગનો મહિમા કહ્યો હતો.

નીલકંઠવર્ણી તીર્થાટન કરતા કરતા ભાવનગરની ભૂમિને પાવન કરવા વડવામાં દેવજી ભગતની ધર્મશાળામાં (હાલ અહીં લક્ષ્મણજીનું મંદિર છે) ત્રણ રાત્રીનું રોકાણ કરી તાંબાની ગોળીમાંથી ત્રણ દિવસ સુધી નગરજનોને સદાવ્રત-અનાજ આપ્યું હતું. છતા ગોળીમાં અનાજ ખાલી જ ન થયું...!!

જેઓએ આ ચમત્કાર સર્જ્યો એ જ પ્રભાવશાળી બાલયોગી તપોમૂર્તિ નીલકંઠવર્ણીની ૨૦ ફુટ ઉંચી મૂર્તિની ભાવનગર અક્ષરવાડી મંદિર પરિસરમાં તા. ૦૩/૦૪/૨૦૨૬ના દિને પૂજ્ય મહંત સ્વામીના કરકમળો દ્વારા સ્થાપના કરવામાં આવી. ભાવનગર અક્ષરવાડી મંદિરના દ્ધિદશાબ્દી મહોત્સવના ઉપક્રમે અક્ષરવાડી પરિસરમાં વધુ એક નૂતન મુકુટમણિ સમાન છોગલું ઉમેરાયું...!!

અક્ષરવાડી પરિસરમાં પ્રવેશતા જ નીલકંઠવર્ણીની ૨૦ ફુટ ઉંચી નયનરમ્ય મૂર્તિ નજરે ચઢે છે. અહીં નીલકંઠવર્ણીના દર્શન કરીને રોજ સેંકડો ભક્તો-ભાવિકો તપ, તિતિક્ષા, સંયમ, શ્રધ્ધા, અડગ ધ્યેય, સેવા, દ્રઢ નિશ્ચિય, કરૂણા, નમ્રતા, પ્રેમ અને ભગવદ્દભક્તિની દિવ્ય પ્રેરણાઓ મેળવે છે...

- કિશોર ગજ્જર