મેનોપોઝ એક અવસ્થા છે તેને રોગ સમજવાની ભૂલ કરવી જોઇએ નહીં
વિશ્વભરમાં ૧૮ ઓક્ટોબરે 'વર્લ્ડ મેનોપોઝ ડે' ઉજવાયો
મહિલાઓ માટે મેનોપોઝના તબક્કામાંથી સારી રીતે પસાર થવા કુટુંબનો સ્નેહ-કાળજી જરૃરી : તબીબોનો મત
અમદાવાદ, ગુરુવાર
રજોનિવૃત્તિ એટલે કે મેનોપોઝ એ રોગ નથી પરંતુ અવસ્થા છે. આ એવો સમય છે જેમાં મહિલાઓ માનસિક રીતે સૌથી વધુ મૂંઝવણ અનુભવે છે અને તેમના સ્વભાવમાં બદલાવ જોવા મળે છે. મેનોપોઝના સમયમાં મહિલાઓના સ્વભાવના ફેરફાર માટે યોગ, ધ્યાન, નૃત્ય, સંગીત ઉત્તમ થેરાપી છે તેમ તજજ્ઞાોનું માનવું છે. મેનોપોઝ અંગે પ્રવર્તતી ગેરસમજ દૂર થાય તેના માટે દર વર્ષે ૧૮ ઓક્ટોબરની ઉજવણી 'વર્લ્ડ મેનોપોઝ ડે' તરીકે કરવામાં આવે છે.
તબીબોના મતે મેનોપોઝના ત્રણ તબક્કા હોય છે. પ્રી મેનોપોઝ, પેરી મેનોપોઝ, મેનોપોઝ. સામાન્ય રીતે એવી માન્યતા જોવા મળે છે કે માસિક આવતું બંધ થાય એટલે મેનોપોઝ આવ્યું. પરંતુ આ તબક્કાઓ ૧૦થી ૧૫ વર્ષ પણ ચાલી શકે છે. પ્રી મેનોપોઝમાં મહદ્અંશે શારીરિક અને માનસિક સમસ્યાઓ મહિલાઓને અનુભવાય છે, મૂડ સ્વિંગ થાય અને ક્યારેક વધુ કે ઓછો રક્તસ્ત્રાવ આવે. પેરી મેનોપોઝના સમયે મૂડસ્વિંગ વધુ પ્રમાણમાં અનુભવાય, માસિક વધુ કે ઓછું આવે કે તેનો સમયગાળો પણ વધે છે.
આ તબક્કા બાદ મેનોપોઝનો સમય શરૃ થાય છે. મેનોપોઝ દરમિયાન પ્રત્યેક મહિલાઓનો અનુભવ અલગ હોઇ શકે. દરેકનું બંધારણ-પરિસ્થિતિ જૂદા હોવાથી સમસ્યા પણ અલગ હોય છે. તેમાંથી સારી રીતે પસાર થવા કુટુંબનો સ્નેહ અને કાળજી ખૂબ જ જરૃરી છે.
તબીબો દ્વારા વ્યક્ત કરવામાં આવેલા અભિપ્રાય અનુસાર મેનોપોઝ દરમિયાન સ્ત્રીઓને હાડકાં નબળા પડવા, શરીરમાં ગરમી લાગવી, સ્વભાવ ચીડિયો થવો જેવી અસરો જોવા મળે છે.
આ સમયગાળામાં સ્ત્રીઓએ અતિશય ગરમ પીણું કે તીખો ખોરાક લેવો જોઇએ નહીં. ખોરાકમાં દરરોજ સરગવાના પાન, પતરવેલના પાન અને દૂધ લેવા જોઇએ. વિશ્વમાં મોટાભાગની મહિલાઓની મેનોપોઝની શરૃઆત ૫૦ વર્ષની ઉંમરે થાય છે. પરંતુ ભારતમાં સરેરાશ મહિલાઓ ૪૫થી ૪૭ વર્ષે રજોનિવૃત્ત થાય છે. આ માટેનું મુખ્ય કારણ વાતાવરણ, અંડાશયમાં અંડકોષની ઓછી સંખ્યા છે. અંડકોષની સંખ્યા પૂરી થવાને કારણે ૪૫ પછીની ઉંમરે તેઓ મેનોપોઝ અવસ્થામાં આવી જાય છે.
અમદાવાદમાં ૧૯૯૯થી મેનોપોઝ હેલ્થ ક્લબ પણ ચાલે છે અને 'વર્લ્ડ મેનેપોઝ ડે' નિમિત્તે તેમના દ્વારા ૨૦ ઓક્ટોબરે સદ્વિચાર પરિવારના મદનમોહન સભાગૃહમાં સાંજે ૫ થી ૭ દરમિયાન મેનોપોઝ-એન્ડ્રોપોઝની સમજ આપતો પારિવારીક-સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે.
મેનોપોઝમાં ૬૦-૭૦% મહિલાઓમાં જોવા મળતા શારીરિક લક્ષણ
ઃ અચાનક પુષ્કળ ગરમી આવવી (હોટ ફ્લશ)
ઃ માથાનો દુઃખાવો.
ઃ રાત્રે ઉંઘ ના આવવી.
ઃ વારંવાર થાક લાગવો.
ઃયુરિનને લગતી મુશ્કેલી થવી.
ઃ સ્નાયુનો દુઃખાવો, હાડકા નબળા પડવા.
મેનોપોઝમાં ૮૦-૯૦% મહિલાઓમાં જોવા મળતા માનસિક લક્ષણ
ઃ સ્વભાવ ભૂલકણો થવો.
ઃ વારંવાર ગુસ્સે થવું.
ઃ કારણવિના રડવું આવવું.
ઃ હતાશા અનુભવવી.
ઃ માનસિક તાણ અનુભવવી.
ઃ વારંવાર મૂડ બદલાઇ જવો.