Get The App

કુળદેવીના દર્શન કરીને પરત ફરતાં અકસ્માતમાં પરિણીતાનું મોત

વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા આર્કિટેકટ ડિઝાઇન એન્જિનિયર અને માસૂમ પુત્રને ઇજા

Updated: Oct 30th, 2023

GS TEAM


Google News
Google News
કુળદેવીના દર્શન કરીને પરત ફરતાં અકસ્માતમાં પરિણીતાનું મોત 1 - image

કરજણ તા.૩૦ કરજણ તાલુકાના ઉમજ ગામે કુળદેવીના દર્શન કરીને પરત ફરતા વડોદરામાં તરસાલી વિસ્તારના દંપતી તેમજ માસૂમ પુત્રની બાઇકને કંડારી પાસે પુરપાટઝડપે જતી એક ટ્રકે ટક્કર મારતાં ત્રણે રોડ પર પટકાતા પત્ની પર ટ્રકનું વ્હીલ ફરી વળતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ જ્યારે પતિ અને પુત્રને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા છે.

મળતી માહિતી મુજબ તરસાલી બાયપાસ વડોદરામાં અક્ષર વિહાર સોસાયટીમાં રહેતાં અને એલ એન્ડ ટી નોલેજ સિટી વાઘોડિયા બ્રિજ નજીક આવેલ ઓફિસમાં આકટેકટ ડિઝાઇન એન્જિનિયર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરતાં નયનભાઈ  લક્ષ્મીકાંત ભટ્ટ ગત તા.૨૯ના રોજ પત્ની રિપલબેન અને સાત વર્ષનો પુત્ર ધુ્રવલ મળી ત્રણે બાઇક પર  કરજણ તાલુકાના ઉમજ ગામે આવેલ કુળદેવીના મંદિરે દર્શન કરવા આવ્યા હતાં. 

કુળદેવીના દર્શન કરી પરત ફરતી વખતે કંડારી ગામે રહેતાં તેમના મામાને મળવા માટે ઘરે ગયા હતાં અને સાંજના સુમારે બાઈક લઈને વડોદરા ઘરે પરત જતા નીકળ્યા હતાં.  કંડારી ગામનું નાળું પસાર કરી બસ સ્ટેન્ડની સામે ભરૃચથી વડોદરા ટ્રેક ઉપર જતા હતા ત્યારે પૂરઝડપે જતી એક ટ્રકે બાઈકસવારોને અડફેટે લીધા હતાં. પરિણામે બાઈક પર સવાર દંપતી અને માસૂમ પુત્ર રોડ ઉપર પટકાયાં  હતાં. આ અકસ્માતમાં પત્ની રિપલ(ઉ.વ.૩૩)ના માથા પરથી ટ્રકના વ્હીલ ફરી વળતાં જીવલેણ ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું.

અકસ્માતમાં પુત્ર ધૃવલ અને નયનભાઇને શરીરે ઓછીવત્તી ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત કરી ભાગી છૂટેલા અજાણ્યા ટ્રક ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Tags :