વિધવાને જીવતી સળગાવનાર વિધર્મી યુવકને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યો
- તારાપુરમાં એક તરફી પ્રેમમાં પાગલ થઈ
- મહિલાનું નિવેદન લીધા બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ નામંજૂર કરાયા
Updated: Jun 14th, 2019
આણંદ,તા. 13 જૂન 2019, ગુુુુરૂવાર
તારાપુર ખાતે રહેતી વિધવા મહિલાના એકતરફી પ્રેમમાં પાગલ બનેલ વિધર્મી યુવાને મહિલાને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કરતા તારાપુર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ હત્યાના પ્રયાસ સંદર્ભે પોલીસ દ્વારા તાત્કાલિક એક્શન લઈ વિધર્મી યુવકને ઝડપી પાડી રીમાન્ડ મેળવવા માટે તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના રીમાન્ડ ના મંજુર કરી જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર તારાપુર તાલુકાના કુંભારવાડા પાસે રહેતી ૩૩ વર્ષીય વિધવા મહિલા મંજુલાબેન વિઠ્ઠલભાઈ ચુનારા પાછળ તારાપુરનો વિધર્મી યુવક કેટલાય વખતથી પડયો હતો તથા તેમને પ્રેમસંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. ગત મધ્યરાત્રિના સમય બાદ ઈમરાન ઘોડાવાળો જબરદસ્તી વિધવા મહિલાના ઘરના પાછળના દરવાજેથી અંદર પ્રવેશી તેમની સાથે બળજબરી કરી તેમની માંગણી સંતોષવા માટે દબાણ કરતા મંજુલાબેને પ્રતિકાર કરી બુમાબુમ કરતા યુવકે ઘરમાં પડેલ કેરોસીનનું ડબલુ ઉઠાવી મંજુલાબેનના શરીર ઉપર છાંટી દીવાસળી ચાંપી દેતા મંજુલાબેન ભડ-ભડ સળગી ઉઠયા હતા તથા યુવક ત્યાંથી નાસી છુટયો હતો.
મંજુલાબેને બુમબરાડા પાડતા આજુબાજુના સ્થાનિકો દોડી આવી તેમને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે મંજુલાબેનના નિવેદનના આધારે વિધર્મી યુવકની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત બીજે દિવસે વિધર્મી યુવકને ઝડપી પાડી તેને રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જો કે કોર્ટે તેના રીમાન્ડ ના મંજુરી કરી જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.