સુંદરપુરાના અભયારણ્યમાં સવારે ફરી આગ લાગતાં ગામલોકોએ 10 હજાર છોડ બચાવી લીધા
વડોદરાઃ વડોદરા નજીક સુંદરપુરા ગામે આવેલા રાજવી પરિવારના કાળિયાર હરણના અભયારણ્યમાં આજે સવારે ફરીથી આગ લાગતાં ગ્રામજનોએ પોતે જ જહેમત ઉઠાવી આગ કાબૂમાં લીધી હતી.
સુંદરપુરા ખાતે અંદાજે ૯૦૦ એકર વિસ્તારમાં આવેલા કાળિયાર હરણના અભયારણ્યમાં વારંવાર આગ લાગતી હોવા છતાં કોઇ પગલાં નહીં લેવાતાં ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી છે.
ગઇકાલે અભયારણ્યમાં લાગેલી આગ બૂઝાવવા માટે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી અને ચારેક કલાકની જહેમત બાદ મોડીરાતે આગ કાબૂમાં લેવાઇ હતી.પરંતુ ફાયર બ્રિગેડની કામગીરી યોગ્ય રીતે નહીં થતાં સવારે ફરીથી આગ લાગી હતી.
સવારે આગ લાગતાં ફાયર બ્રિગેડની મદદ લેવાના બદલે ગામના યુવાનો જ આગ બૂઝાવવા કામે લાગ્યા હતા.સ્મશાનમાંથી ઇલેકટ્રિક મોટર વડે પાણી લેવામાં આવ્યું હતું અને પંચાયતની ટેન્કર વડે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાઇ હતી.આગના બનાવમાં બે કિમી વિસ્તાર ખાક થઇ ગયો હતો પરંતુ ૨૦૦ થી વધુ દુર્લભ કાળીયાર હરણ અને અન્ય વન્ય જીવો સુરક્ષિત રહ્યા છે.
અભયારણ્યની પાસે પંચાયતે વાવેલા ૧૦ હજાર છોડને બચાવી લીધા
સુંદરપુરાના અભયારણ્યમાં લાગેલી આગમાં પંચાયત દ્વારા કરવામાં આવેલા પ્લાન્ટેશનનો છેલ્લી ઘડીએ બચાવ થયો હતો.
સુંદરપુરાના સરપંચ જતિનભાઇ વણકરના કહ્યા મુજબ,અભયારણ્યની બોર્ડર પાસે પંચાયતે થોડા સમય પહેલાં ૧૦ હજાર વૃક્ષો વાવ્યા હતા અને આ સ્થળની આસપાસ ઝાડી અને કાંટાની બોર્ડર બનાવી હતી.
ગઇકાલે લાગેલી આગમાં પ્લાન્ટેશનની બોર્ડર પણ લપેટાઇ હતી.જેથી ફાયર બ્રિગેડને આ પ્લાન્ટેશન બચાવી લેવા વિનંતી કરતાં તેમણે ૧૫ ફૂટના અંતરે આગ અટકાવી દીધી હતી.