VHP પૂર્વ નેતા ડૉ. અતુલ વૈદ્યનો મહાઠગ કિરણ પટેલની પોલ ખોલ્યાનો દાવો
ફાઇલ ક્લીયર કરવાના નામે લાખો રૂપિયા લેતો
દિલ્હીના એક કામ માટે અતુલ વૈદ્યે કિરણ પટેલને ૨૫ લાખ રૂપિયા અપાવ્યા બાદ કામ ન થતા શંકા ગઇ હતી
અમદાવાદ,શુક્રવાર
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ઝડપાયેલા મહાઠગ કિરણ પટેલ અંગે દિલ્હી પીએમઓને માહિતી આપીને શ્રીનગરથી ઝડપી લેવાયો હોવાનો દાવો વીએચપીનો પૂર્વ નેતા ડૉ.અતુલ વૈદ્ય દ્વારા કરવામાં આવ્યો છે. દિલ્હીની એક કામ માટે તેમણે કિરણ પટેલને ૨૫ લાખ રૂપિયા અપાવ્યા હતા. જો કે તે કામ ન થતા તેમને શંકા ગઇ હતી અને તે બાદ તેમણે દિલ્હી જઇને તપાસ કરતા કિરણ પટેલ પીએમઓ ન હોવાનું જાણ થતા દિલ્હીથી કિરણ અંગે સીઆઇડી ક્રાઇમને માહિતી આપીને કિરણ પટેલને ઝડપી લેવાયો હતો. જો કે આ અંગે કોઇ સત્તાવાર બાબત બહાર આવી નથી. અમદાવાદના ઘોડાસરમાં રહેતા મહાઠગ કિરણ પટેલ શ્રીનગરથી જમ્મુ કાશ્મીરના સીઆઇડી ક્રાઇમની બાતમીને આધારે ધરપકડ કરવામાં આવી હતી. જો કે અમદાવાદમાં રહેતા વીએચપીના પૂર્વ નેતા ડૉ. અતુલ વૈદ્ય દ્વારા દાવો કરાયો છે કે તેણે દિલ્હી પીએમઓને આપેલી બાતમીને આધારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ડૉ. અતુલ વૈદ્યનો દાવો છે કે તે કિરણ પટેલને છેલ્લાં ૨૦ વર્ષથી ઓળખતો હતો. જો કે મુલાકાત ખુબ ઓછી થતી હતી. પરંતુ, સપ્ટેમ્બર-૨૦૨૨ શ્રીપંચ પીઠાધીશ્વર આચાર્ય ધર્મેન્દ્ર મહારાજનું નિધન થયું ત્યારે તે જગન્નાથ મંદિરમાં મળ્યો હતો. ત્યારે તેણે પીએમઓમાં કામ કરતો હોવાનું જણાવ્યું હતું. જે બાદ તેણે કાશ્મીર ગયાનો વિડીયો પણ તે ડૉ. અતુલ વૈદ્યને મોકલતો હતો. જેથી તેમણે વિશ્વાસ કરી લીધો હતો. આ દરમિયાન ડૉ. અતુલ વૈદ્યના એક જાણીતા વ્યક્તિને દિલ્હીનું કામ હોવાથી તેમણે કિરણ પટેલને નર્મદા આઇટીસી ખાતે મળીને દિલ્હીના કામ અંગે મિટીંગ કરી હતી. જેમાં તેણે ૨૫ લાખની માંગણી કરી હતી. પરંતુ, ડૉ. અતુલ વૈદ્યને શંકા જતા તેમણે કિરણને પુછ્યું હતું. જેથી કિરણ પટેલે ગુસ્સામાં આવીને ૧૫ લાખ પરત કર્યા હતા. જ્યારે બાકીના ૧૦ લાખ પરત મળ્યા નહોતા. જેથી ડૉ. અતુલ વૈદ્યે પહેલી માર્ચના રોજ દિલ્હી ખાતે જઇને તપાસ કરતા કિરણ પટેલ પીએમઓના નામનો ઉપયોગ કરીને છેતરપિંડી કરતો હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ ડૉ. અતુલ વૈદ્યે કિરણ પટેલને ફોન કરતા તે શ્રીનગર ખાતે હોવાનું કહેતા પીએમઓથી શ્રીનગર પોલીસને જાણ કરવામાં આવી હતી અને તેને ઝડપી લેવાયો હતો. જો કે આ બાબતની સત્તાવાર કાગળ પર લેવામાં આવી નથી.