Gujarat

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિ.એમ્બ્યુલન્સ સહીતના વાહનો ભાડેથી લેશે

By GS Team
1 Nov 20211 min read
This article was originally published on 1 Nov 2021
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિ.એમ્બ્યુલન્સ સહીતના વાહનો ભાડેથી લેશે

અમદાવાદ,રવિવાર,31 ઓકટોબર,2021

કોરોનાની સંભવિત લહેરને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આગોતરી તૈયારીઓ શરૃ કરી દીધી છે.એમ્બ્યુલન્સ  ઉપરાંત ધન્વન્તરી અને સંજીવની રથ માટે અલગ અલગ પ્રકારના એ.સી.વાહનો એક વર્ષના રેઈટ કોન્ટ્રાકટથી મેળવવામાં આવશે.

આ અંગે મળતી માહિતી મુજબ, શહેરીજનોને આપવામાં આવેલી મુકિત બાદ દિવાળી પર્વ બાદ કોરોનાના કેસની સંખ્યામાં વધારો થશે એમ માનવામાં આવી રહ્યુ છે.આ સંજોગોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાની સંભવિત લહેરને ધ્યાનમાં રાખી ધન્વન્તરી રથ માટે એ.સી.ટેમ્પો, સંજીવની રથ માટે એ.સી.કાર ઉપરાંત એમબ્યુલન્સ અને ઈકો કાર જેવા વાહનો ભાડેથી મેળવવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોન્ટ્રાકટરોની એક પેનલ તૈયાર કરવામાં આવી છે.એ.સી.ટેમ્પો ટ્રાવેલરને ૧૨ કલાકના ભાડા પેટે રુપિયા ૩૮૦૦ ચૂકવવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.૧૦૪ની સર્વિસ માટે ૧૨ કલાકના રુપિયા ૨૧૫૦ તથા એમ્બ્યુલન્સ અને ઈકો કાર માટે ૧૨ કલાકના ત્રણ હજાર રુપિયા ભાડા પેટે ચૂકવવાની તંત્રે તૈયારી દર્શાવી છે.સંજીવની રથ માટે એ.સી. કાર માટે ૧૨ કલાકના રુપિયા ૧૨૭૫ ચૂકવી આ તમામ પ્રકારના વાહનો ભાડે લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.