વડોદરા આજે મહાબલી હનુમાનજીની ભક્તિમાં લીન થશે, મંદિરોમાં ભીડ જામશે
શહેરમા આજે હનુમાન જયંતિની ઉજવણીઅનેક સ્થળોએ શોભાયાત્રાના આયોજન મંદિરોમાં મહાઆરતી, સુંદરકાંડ, હનુમાન યાગ અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજાશે
હરણી ભીડ ભંજન હનુમાનજી મંદિરમાં શ્રુંગારની થતી તૈયારીઓ |
વડોદરા : ગુરૃવારે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી થશે. શહેરમા આવેલા નાના-મોટા ૧૫૦થી વધુ હનુમાનજી મંદિરોમાં ગુરૃવારે વિશેષ શણગાર, મહાઆરતી, છપ્પન ભોગના દર્શન યોજાશે. આ ઉપરાંત હનુમાન યાગ, સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના પાઠ પણ યોજાશે.
શહેરના ચાર દરવાજા વિસ્તારમાં બે સ્થળોએથી હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન થયુ છે. રામ નવમીના દિવસે નીકળેલી શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારા બાદ પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયુ છે અને હનુમાન જયંતિની શોભાયાત્રામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે ગોત્રી વિસ્તારમાં પણ હનુમાનજી કી સવારીનું આયોજન કરાયુું છે. જેમાં બાળકો રામ પરિવારની વેશભુષા સાથે જોડાયાશે. ડીજે, મહિલા ભજન મંડળીઓ જોડાશે. સવારી અઢી કિ.મી.ના રૃટ પર ફરીને ભય ભંજન દેવ હનુમાનજી મંદિરે સંપન્ન થશે.
જ્યારે હરણી ખાતે આવેલ પ્રસિધ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પણ વિવિધ કાર્યક્રમોના આયોજન કરાયા છે જેમાં હનુમાનજીના હૃદયમાં બિરાજમાન સિયા-રામના વિશેષ શણગાર દર્શન, ઉપરાંત શ્રુંગાર આરતી, પ્રાગટય આરતી, સુંદરકાંડ, ભજન સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.તો સયાજીગંજ પંચમુખી હનુમાન, વાસણા રોડ પંચમુખી હનુમાનજી, ઉકલા મંદિરના ખાંચામાં આવેલા રોકડનાથ હનુમાનજી, વાડી વિસ્તારમાં પ્રતાપરૃદ્ર હનુમાનજી મંદિરોમાં પણ મહાઆરતી, સુંદરકાંડ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.