વડોદરા: કમાટી બાગમાં ત્રિ દિવસીય બાળમેળાની ચાલતી તૈયારીનું કમિશનર અને શિક્ષણ સમિતિ દ્વારા નિરીક્ષણ
Updated: Jan 25th, 2023
- બાળમેળામાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે
- તારીખ 26 મી સાંજે બાળમેળાની પૂર્વ તૈયારી રૂપે સાંજે સયાજી રેલી નીકળશે
વડોદરા,તા.25 જાન્યુઆરી 2023,બુધવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનો 50મો બાળમેળો સયાજી કાર્નિવલ તારીખ 27 થી ત્રણ દિવસ સુધી કમાટીબાગ, શિવાજી પ્રતિમા ગાર્ડન ખાતે યોજવાનો છે, ત્યારે આ બાળમેળા સંદર્ભે થઈ રહેલી તૈયારીઓ અંગે આજરોજ મ્યુનિસિપલ કમિશનર તથા શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને સભ્યોએ સ્થળ વિઝીટ કરી હતી. અને ચાલતી તૈયારીઓ નિહાળી હતી.
બાળમેળાના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે. બાળમેળાની પૂર્વ તૈયારીરૂપે તારીખ 26મી સાંજે સયાજી રેલી ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળશે. આ રેલી કાલાઘોડા ખાતે સમાપ્ત થશે. બાળમેળામાં શિક્ષણ સમિતિની 90 બાલ વાડીમાં થ્રીડી વર્ચ્યુઅલ રિયાલિટી થી અભ્યાસ કરતા પ્રોજેક્ટનું મુખ્ય પ્રધાન ઉદઘાટન પણ કરવાના છે. બાળમેળામાં 40 પ્રોજેક્ટ રજૂ થશે અને 120 સાંસ્કૃતિક કૃતિઓ જોવા મળશે.