વડોદરા, તા. 28 જૂન 2020, રવિવાર
એમ.એસ.યુનિ.માં અભ્યાસ કરતો તે દરમિયાન યુનિ.ના પરિસરમાં, એનએસએસના કેમ્પ દરમિયાન અને મારી સોસાયટીમાં ઘણા વૃક્ષો ઉગાડ્યા હતા. પણ સોસાયટીના લોકોએ કચરો થાય તેમ કહી મોટા વૃક્ષો કાઢી નાખ્યા હતા, જેમાં અનેક પક્ષીઓનો વસવાટ હતો. આ ઘટના બાદ પક્ષીઓ માટે જ શહેરથી દૂર એક ખાસ વન બનાવવાનું નક્કી કર્યું હતુ, એમ સિવિલ એન્જિ.સુહાસ મજુમદારનું કહેવું છે.
શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા સુહાસભાઈએ કહ્યું કે, વડોદરાથી 25 કિમી દૂર આવેલ મોટી સંખ્યાડ પાસેની જગ્યા બંજર હતી, રેતાળ જમીન હોવાથી ત્યાં કોઈ વૃક્ષ ઉગાડવું અશક્ય હતું. તેમ છતાં લગભગ છ મહિના સુધી જમીનમાં ઝાડના સૂકા પાન અને છાણીયું ખાતર નાંખી ફળદ્રુપ બનાવી હતી. ત્યારબાદ મધ્યમાં 10થી 15 ફૂટ, ત્યારબાદ 15થી 25 ફૂટ અને તેની આસપાસ 50થી 100 ફૂટ ઊંચાઈના મોટા વૃક્ષો ઉગાડવાનું શરુ કર્યું હતું.
છેલ્લા ચાર વર્ષથી હું આ જમીન પર 500થી વધુ વૃક્ષો ઉગાડીને તેનું જતન કરી રહ્યો છું. ખેતરની આસપાસ ઉગતા રાયણ, સરગવો, બોર જેવા વૃક્ષો ખેતીની જમીન બગાડતા હોવાથી ખેડૂતો કાઢી નાખે છે. પણ પક્ષીઓના આ વૃક્ષ પ્રિય હોવાથી મેં રાયણ, સરગવો, બોરની સાથે જામફળ, ફાલસા, જંગલમાં ઉગતા ગ્રીન મોટા સેતુર, જાંબુ, રુદ્રાક્ષ, સીસુ, સીતા અશોક, મંદાર, કદમ્બ, ગોરસ આંબલી, લીમડો વગેરે વૃક્ષો ઉગાડ્યા છે. વૃક્ષોનું આ વન બનવાથી સુગરી, મોર, ચકલી, બુલબુલ, ભારદ્વાજ, લીલો પતરંગો જેવા 30થી 40 પ્રજાતિના પક્ષીઓ વસવાટ કરે છે.
સાપ ચઢી ન શકે તેવા વૃક્ષો પર સુગરી માળો બાંધે છે. સીસુના ઝાડની સંખ્યા વધતા છેલ્લા ચાર વર્ષમાં પહેલીવાર 50 સુગરીઓએ એકસાથે માળા બાંધ્યા છે. બાકી તો પાંચ છ સુગરીઓના જ માળા જોવા મળતા હતા.
માંજલપુર વિસ્તારમાં 30થી 40 વૃક્ષો ઉગાડશે
સુહાસભાઈએ કહ્યું કે 35 હજાર ફૂટ જગ્યામાં ઉગેલા 500 વૃક્ષોમાંથી ગત વર્ષે મેં અને મારી દીકરીએ વિવિધ વૃક્ષના એક હજાર સીડબોલ બનાવ્યા હતા. જેને વડોદરાથી પાવાગઢ જતા રસ્તાની બંને બાજુ નાંખ્યા હતા. આ વર્ષે દેશી વૃક્ષ જાંબુ, લીમડો અને ગોરસ આંબલીના 30થી 40 રોપા તૈયાર કર્યા છે. જેને થોડો વરસાદ થતા માંજલપુર લક્ષ્મીનારાયણ મંદિર પાસેની જમીનમાં ઉગાડીશું.


